બચેન્દ્રી પાલ (જ.
૨૪ મે ૧૯૫૪) એક ભારતીય મહિલા પર્વતારોહક છે, જે ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા ૧૯૮૪માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને ૨૦૧૯માં ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
બચેન્દ્રી પાલ | |
---|---|
જન્મની વિગત | |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | પર્વતારોહક અને સાહસિક કાર્ય પ્રોત્સાહક |
પ્રખ્યાત કાર્ય | ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા |
પુરસ્કારો | પદ્મભૂષણ, પદ્મશ્રી, અર્જુન પુરસ્કાર |
વેબસાઇટ | tsafindia |
બચેન્દ્રી પાલનો જન્મ ૨૪ મે, ૧૯૫૪ના રોજ ભારતીય રાજ્ય ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નકુરી ગામમાં એક ભોટિયા પરિવારમાં થયો હતો. તેઓ હંસા દેવી અને કિશન સિંહ પાલના પાંચ સંતાનો પૈકીના એક હતા. તેમના પિતા એક સરહદી વેપારી હતા, જે ભારતથી તિબેટ કરિયાણું પૂરું પાડતા હતા. બચેન્દ્રીનો જન્મ તેનઝિંગ નોર્ગે અને એડમંડ હિલેરી દ્વારા માઉન્ટ એવરેસ્ટના મૂળ આરોહણની પ્રથમ વર્ષગાંઠના પાંચ દિવસ પહેલાંજ થયો હતો. તેમણે દહેરાદૂનની ડી.એ.વી. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાંથી એમ.એ. અને બી.એડ. પૂર્ણ કર્યા હતા. તેમણે ૧૨ વર્ષની ઉંમરે પર્વતારોહણ શરૂ કર્યું હતું. તેમણે તેમના મિત્રો સાથે મળીને શાળાના પિકનિક દરમિયાન ૧૩,૧૨૩ ફૂટ (૩૯૯૯.૯ મીટર) ઊંચું શિખર સર કર્યું હતું. શાળાના આચાર્યના આમંત્રણ પર, તેમને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં મોકલવામાં આવ્યા હતા અને નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં તેમના અભ્યાસક્રમ દરમિયાન, ૧૯૮૨માં માઉન્ટ ગંગોત્રી ૨૩,૪૧૯ ફૂટ (૭,૧૩૮.૧ મીટર) અને માઉન્ટ રુદ્રગારિયા ૧૯,૦૯૧ ફૂટ (૫,૮૧૮.૯ મીટર) ચઢનારા પ્રથમ મહિલા બન્યા હતા. તે સમયે, તેઓ નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશન (એનએએફ)માં પ્રશિક્ષક બન્યા હતા, આ સંસ્થાએ મહિલાઓને પર્વતારોહણ શીખવાની તાલીમ માટે એક એડવેન્ચર સ્કૂલની સ્થાપના કરી હતી.
જ્યારે તેમણે શાળાશિક્ષકને બદલે વ્યાવસાયિક પર્વતારોહક તરીકે કારકિર્દી પસંદ કરી ત્યારે પાલને તેમના પરિવાર અને સંબંધીઓના સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટૂંક સમયમાં જ તેમને તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળતા મળી હતી. સંખ્યાબંધ નાના શિખરો સર કર્યા પછી, ૧૯૮૪માં માઉન્ટ એવરેસ્ટ અભિયાન માટેની ભારતની પ્રથમ સ્રી-પુરુષ મિશ્ર ટુકડીમાં જોડાવા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.
૧૯૮૪માં, ભારતે માઉન્ટ એવરેસ્ટ પર પોતાનું ચોથું અભિયાન નક્કી કર્યું હતું, જેનું નામ "એવરેસ્ટ ૮૪" રાખવામાં આવ્યું હતું. બચેન્દ્રી પાલને માઉન્ટ એવરેસ્ટ (નેપાળીમાં સાગરમાથા)ના આરોહણનો પ્રયાસ કરવા માટે છ ભારતીય મહિલાઓ અને અગિયાર પુરુષોની ટુકડીના સભ્યોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માર્ચ ૧૯૮૪માં ટુકડીને નેપાળની રાજધાની કાઠમંડુ લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ટુકડી આગળ વધી હતી. માઉન્ટ એવરેસ્ટની પોતાની પ્રથમ ઝલકને યાદ કરતાં બચેન્દ્રી જણાવે છે કે, "અમે, પહાડી લોકો, હંમેશાં પર્વતોની પૂજા કરતા રહ્યા છીએ… તેથી, આ વિસ્મયજનક તમાશામાં મારી અતિશય લાગણી ભક્તિભાવની હતી." ટુકડીએ મે ૧૯૮૪માં આરોહણ શરૂ કર્યું હતું. જ્યારે હિમસ્ખલને તેમની છાવણીને દફનાવી દીધી ત્યારે તેમની ટુકડીને લગભગ આપત્તિનો સામનો કરવો પડ્યો હતો, અને અડધાથી વધુ ટુકડીએ ઈજા અથવા થાકને કારણે આ પ્રયાસ છોડી દીધો હતો. બચેન્દ્રી પાલ અને ટુકડીના બાકીના સભ્યો શિખર પર પહોંચવા માટે આગળ વધ્યા હતા. બચેન્દ્રી પાલ યાદ કરે છે, "હું મારા સાથી ખેલાડીઓ સાથે કેમ્પ III (ત્રીજા)માં ૨૪,૦૦૦ ફૂટ (૭,૩૧૫.૨ મીટર)ની ઊંચાઈ પર એક તંબૂમાં સૂતી હતી. ૧૫-૧૬ મે, ૧૯૮૪ની રાત્રે, લગભગ ૦૦:૩૦ કલાકે, મને જોરદાર ઝટકો લાગ્યો; મને કંઈક જોરથી વાગ્યું હતું; મેં એક ગગનભેદી અવાજ પણ સાંભળ્યો અને તરત જ મેં જોયું કે હું ખૂબ જ ઠંડી સામગ્રીએ મને આવરી લીધી હતી.
૨૨ મે, ૧૯૮૪ના રોજ, એંગ ડોર્જે (શેરપા સિરદાર) અને અન્ય કેટલાક પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચઢવા માટે ટુકડીમાં જોડાયા; આ ટુકડીમાં બચેન્દ્રી એકમાત્ર મહિલા હતા. તેઓ સાઉથ કોલ પહોંચ્યા અને ત્યાં ૨૬,૦૦૦ ફૂટ (૭,૯૨૪.૮ મીટર)ની ઊંચાઈ પર કેમ્પ IV (ચોથા) માં રાત વિતાવી. ૨૩ મે, ૧૯૮૪ના રોજ સવારે ૬ કલાક અને ૨૦ મિનિટે, તેઓએ "થીજેલા બરફની ઊભી ચાદરો" પર ચઢતા આરોહણ ચાલુ રાખ્યું; લગભગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક (૬૨ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને તાપમાન −૩૦થી −૪૦ °સે (−૨૨ થી −૪૦ °ફે)ને સ્પર્શતું હતું. ૨૩ મે, ૧૯૮૪ના રોજ ટીમ બપોરે ૧:૦૭ વાગ્યે માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચી હતી અને બચેન્દ્રી પાલે ઇતિહાસ રચી દીધો હતો. તેમણે પોતાના ૩૦મા જન્મદિવસના આગલા દિવસે અને માઉન્ટ એવરેસ્ટના પ્રથમ આરોહણની ૩૧મી વર્ષગાંઠના છ દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી હતી.
બચેન્દ્રી પાલ, પ્રેમલતા અગ્રવાલ અને માઉન્ટ એવરેસ્ટ શિખરના પર્વતારોહકોના જૂથ સાથે ઉત્તરકાશી પહોંચ્યા હતા અને ૨૦૧૩ના ઉત્તર ભારતના પૂરમાં તબાહ થયેલા હિમાલયના દૂરના ઊંચાઇવાળા ગામોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બચેન્દ્રી પાલને નીચે મુજબના પુરસ્કારો અને સન્માન એનાયત કરવામાં આવ્યા છે:
This article uses material from the Wikipedia ગુજરાતી article બચેન્દ્રી પાલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.