હિમાલય એશિયામાં સ્થિત એક પર્વતમાળા છે.
તે ભારત ઉપમહાદ્વીપને તિબેટ ઉચ્ચપ્રદેશથી અલગ પાડે છે. હિમાલયમાં કારાકોરમ અને હિંદુ કુશ જેવા પર્વતો પણ ગણાય છે. હિમાલયનું નામ સંસ્કૃતના શબ્દ હિમ (એટલે કે બરફ) અને આલય (એટલે કે રહેઠાણ) થી આવ્યુ છે. આ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ સુધી લગભગ ૧૬૦૦ માઈલ લાંબો અને ૨૦૦ માઈલ પહોળો છે. તેની સરાસરી ઊંચાઈ ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ ફૂટ છે. તેમાંનાં ૭૦ શિખરો તો ૨૪ હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંચા છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગૌરીશંકર ૨૯,૦૦૦ ફૂટ એટલે લગભગ ત્રણેક ગાઉ જેટલું ઊંચું છે. તેના ઉપર ચડવાને તેનસિંગ શેરપાએ યત્ય કર્યો ત્યાંસુધી તે અજેય હતું. આખી દુનિયામાં આટલું ઊંચું બીજું કોઈ સ્થળ નથી; અને તેથી જ હિમાલયને ગિરિરાજ એટલે પર્વતોને રાજા કહ્યો છે. પર્વતનાં બધાં ઊંચાં શિખરો નિરંતર બરફથી ઢંકાયેલાં રહે છે, કેમકે તે બધાં હિમરેખાથી ઊંચાં છે. હિમરેખા ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવે છે. કશ્મીર, નેપાળ, સિક્કિમ, દાર્જિલિંગ, ભૂતાન અને બીજાં ઘણાં રાજ્યો હિમાલયની તળેટીમાં રહેલાં છે. વિવિધ ભાષા અને આકૃતિનાં માણસો ત્યાં રહે છે. તિબેટ પણ હિમાલયની તળેટીમાં છે. ઉત્તર દિશા તરફ જનારી પર્વત શ્રેણી મનુષ્યોથી અગમ્ય છે. હિમાલયમાં પ્રુથ્વીના સૌથી ઊંચા પર્વત છે. તેમાંથી એક માઉંટ એવરેસ્ટ પણ છે જે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.
ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. હિમાલય આયુર્વેદની અનંત ઔષધિઓનો અખૂટ ભંડાર છે, વિવિધ વનરાજીના બહારનો વિભૂષિત વિસ્તાર છે. અવનિમાં ઉચ્ચતમ પદ ધારણ કરી વ્યોમમાં વાતો કરતો આર્યભૂમિનો આ એકલ કોટ અનુલ્લંઘનીય છે, અદ્વિતીય છે, અજોડ છે. હિમાલય એ શંકર પાર્વતીનું નિવાસ્થાન છે. હિમાલયની વાયવ્ય મર્યાદા સિંધુ નદી સુધી છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ તે પૃથ્વીનો માનદંડ છે. પૌરાણિક કોષમાં લખ્યા મુજબ એની પૂર્વ પશ્ચિમ લંબાઈ એંસી સહસ્ત્ર યોજન છે. પૂર્વ પશ્ચિમ બંને છેડે સમુદ્રને અડકેલો છે. અલકનંદાના સપ્ત પ્રવાહ માંહેના ગંગા નામના પ્રવાહનું મૂળ આ પર્વતમાં હોઇને તે ઉદ્ગમ સ્થળમાંથી તે કન્યાકુમારી ભૂશિર સુધી એક હજાર યોજન લંબાઈ છે. હિમાલયના મૂર્તિમાન દેવ હિમાલયને મેના સ્ત્રી હતી. તેને પેટે મેનાક, ક્રૌંચ પુત્રો અને અપર્ણા પર્ણા અને એકપર્ણા એમ ત્રણ પુત્રીઓ હતી.
કાકાસાહેબ કાલેલકર લખે છે કે,
હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાં પાક્યાંનો વિસામો, નિરાશી જનોનું સાંત્વ, ધર્મનું પિયેર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતાની પથારી છે. પુરાણ પ્રમાણે તે અજનાભ અથવા ભારતવર્ષની ઉત્તરે અને હૈમવત અથવા કિંપુરુષની દક્ષિણે એમ એ દેશની વચ્ચે સીમારૂપ આવેલો પર્વત છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article હિમાલય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.