મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું.
તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
મહાગુજરાત આંદોલન | |||
---|---|---|---|
જૂના કૉંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે આવેલું મહાગુજરાત સ્મારક | |||
તારીખ | ૮ ઓગસ્ટ ૧૯૫૬ - ૧ મે ૧૯૬૦ | ||
સ્થળ | મુંબઈ રાજ્ય, ભારત | ||
ધ્યેયો | દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય | ||
વિરોધની રીતો | દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ, તોફાનો | ||
પરિણામ | ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યોની સ્થાપના | ||
આંદોલનમાં સામેલ પક્ષો | |||
| |||
મુખ્ય વ્યક્તિઓ | |||
મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત (તળ ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરે છે.
કનૈયાલાલ મુનશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. ૧૭ જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું કે "ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી".
૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી.જી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેમનું ધ્યેય એ જ હોવું જોઇએ. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની આલોચના કરી.
૧૯૫૨ સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજ્ય અલગ કરવાની માંગણી આવી. ૧૬ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યો. ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીનો તણખો ઝર્યો.
ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન (SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશન કહેવાયું. ૧૯૫૬ માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો.
SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.
ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.
મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો. ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા. દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા. આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી. નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
આ આંદોલનમાં ભાગ લેનારા મહત્વના વ્યક્તિઓ નીચે પ્રમાણે હતા:
આંદોલનના ઘણા નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિકની નવલકથા માયા આંદોલનની પાશ્વભૂમિકા ધરાવે છે. જયંતિ દલાલ, યશવંત શુક્લા, વિનોદિની નીલકંઠ, ઇશ્વર પેટલીકર, ઉશનસ્ વગેરેએ પણ આંદોલન પરથી પ્રેરણા લઇને સર્જન કર્યું હતું.
સલમાન રશ્દીની નવલકથા, મિડનાઇટ્સ ચિલ્ડ્રન, જેને બૂકર પુરસ્કાર મળ્યો હતો, મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન બંનેની પાશ્વભૂમિકા ધરાવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article મહાગુજરાત આંદોલન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.