હરદ્વાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું છે.
હરદ્વાર હરદ્વાર જિલ્લા નું મુખ્ય મથક છે. હરદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરદ્વારનો અર્થ હરિ("ઇશ્વર")નું દ્વાર થાય છે. હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે.
હરદ્વાર સમુદ્રની સપાટીથી ૩૧૩૯ મીટરની ઊંચાઇ પર સ્થિત છે. ગંગા નદીના મુખ(ગંગોત્રી હિમશિખર)થી ૨૫૩ કિલોમીટરની પહાડોમાં સફર ખેડી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે.
પ્રકૃતિ પ્રેમીઓ માટે હરદ્વાર સ્વર્ગ સમાન છે. હરદ્વાર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિવિધસ્વરૂપોને પ્રસ્તુત કરે છે. હરદ્વારનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવેલ છે. હરદ્વાર ચારધામ યાત્રા માટેનું પણ પ્રવેશદ્વાર છે.(ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી), આથી જ ભગવાન શિવના અનુયાયીઓ હરદ્વાર અને ભગવાન વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વાર નામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ.
મહાભારતના બાણપર્વમાં ધૌમ્ય ઋષિ, રાજા યુધિષ્ઠિરને ભારતનાં તીર્થસ્થળો વિશે કહે છે ત્યારે એ વેળાએ એમાં ગંગાદ્વાર અર્થાત હરદ્વાર અને કનખલનાં તીર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કપિલ ઋષિનો આશ્રમ પણ અહીં જ હતો, એથી અહીંનુ પ્રાચીન નામ કપિલ અથવા કપિલ્સ્થાન મળે છે. મહાન રાજા ભગીરથ, જે સૂર્યવંશી રાજા સગરના પ્રપૌત્ર (ભગવાન શ્રીરામના એક પૂર્વજ) હતા, ગંગાજીને સતયુગમાં વર્ષોની તપસ્યા પછી પોતાના ૬૦,૦૦૦ પૂર્વજોના ઉધ્ધાર અને કપિલ ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે પૃથ્વી પર લાવ્યા હતા. આ એક એવી પરંપરા છે, જેને કરોડો હિંદુ આજે પણ નિભાવે છે. તેઓ પોતાના પૂર્વજોના ઉધ્ધારની આશા રાખી એમની ચિતાની રાખ(અસ્થિકુંભ) લાવે છે અને ગંગાજીમાં વિસર્જિત કરે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ એક પથ્થર પર પોતાનાં પદ-ચિન્હોની છાપ રાખી છે જે હરકી પૈડીમાં એક ઉપરી દિવાલ પર સ્થાપિત છે, જ્યાં નિત્ય પવિત્ર ગંગાજી એને પાવન કરતી રહે છે.
હરદ્વાર શહેર સડકમાર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૮ સાથે જોડાયેલું છે, જે દિલ્હી અને માનાપસ શહેરને એકબીજા સાથે જોડે છે. નજીકનું રેલ્વે સ્ટેશન હરદ્વાર ખાતે જ આવેલું છે, જે ભારતનાં અન્ય મુખ્ય શહેરો સાથે હરદ્વારને સાંક્ળે છે. નજીકનું હવાઇમથક જૌલી ગ્રાંટ, દહેરાદૂન ખાતે આવેલું છે, પરંતુ નવી દિલ્હી ખાતે આવેલા ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકને પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article હરદ્વાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.