પાલીતાણાના જૈન મંદિરો એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે.
આ શહેર પહેલાં પાદલિપ્તપુર નામે જાણીતું હતું, તેને મંદિરોનું નગર કહેવાતું હતું. શત્રુંજયનો અર્થ "આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર સ્થળ" અથવા "આંતરિક શત્રુને જીતનાર" એવો થાય છે.
શ્રી શત્રુંજય તીર્થ, પાલીતાણા | |
---|---|
સિદ્ધાચલ, વિમલગિરિ, સિદ્ધગિરિ | |
શત્રુંજય પહાડ પર આવેલ જૈન મંદિર સમુહ | |
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | ઋષભદેવ |
તહેવારો | મહાવીર જયંતી, ફાગણ ફેરી |
સંચાલન સમિતિ | આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ |
સ્થાન | |
સ્થાન | પાલીતાણા, ભાવનગર જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21°28′58.8″N 71°47′38.4″E / 21.483000°N 71.794000°E |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૮૬૩ |
સ્મારકો | ૨૭૦૦ |
ઊંચાઈ | 603 m (1,978 ft) |
શ્વેતાંબર જૈનો દ્વારા શત્રુંજય ટેકરી પરના મંદિરો પવિત્ર ગણવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ૨૪માંના ૨૩ તીર્થંકરો (નેમિનાથ સિવાયના) એ આ ટેકરી ઉપર આવ્યા હતા. અહીં લગભણ આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે તેમનો સમાવેશ મુખ્ય ૯ સંકુલોમાં થયેલો છે. અમુક સંકુલો ખૂબ મોટા છે, જ્યારે મોટા ભાગના સંકુલો નાના છે. અહીંનું મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજકો માટે આ સૌથી પવિત્ર સ્થળ છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા ૩૫૦૦ પગથિયાં ચડવા પડે છે. જૈન સમાજમાં ઝારખંડમાં આવેલા શિખરજી અને પાલીતાણા સૌથી પવિત્ર યાત્રાધામો છે. જૈનો માને છે કે નિર્વાણ પામવા માટે જીવનમાં આ બે સ્થળોની યાત્રા આવશ્યક છે.
દિગંબર જૈનો આ ટેકરીઓ ઉપર માત્ર એક જ મંદિર ધરાવે છે.
રસપ્રદ વાત એ છે કે હિંગરાળ અંબિકાદેવી કે હિંગળાજ માતા આ ટેકરીની અધિષ્ઠાતા દેવી મનાય છે. તેઓ હિંદુ દેવી છે જેઓ પ્રાય: બલુચિસ્તાન, સિંધ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પુજાય છે.
આ ટેકરીઓ ઉપર અંગાર પીર નામના એક મુસ્લિમ સંતની દરગાહ પણ છે. કહેવાય છે કે ૧૪મી સદીના શરૂઆતના મુસ્લીમ આક્રમણ સમયે તેમણે આ મંદિરોની રક્ષા કરી હતી હતી.
આ મંદિર નગર દૈવી શક્તિઓના નિવાસ તરીકે વસાવેલું હોવાથી અહીં સાંજ પછી રહેવાની પુજારી સહિત કોઈને પણ પરવાનગી નથી.
શત્રુંજયનો અર્થ "આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર સ્થળ" અથવા "આંતરિક શત્રુને જીતનાર" એવો થાય છે. શત્રુંજયના ૧૦૮ નામ છે પરંતુ અમુક જ નામો સામાન્ય રીતે વપરાય છે.
શત્રુંજય ટેકરીઓની દક્ષિણે ખંભાતનો અખાત આવેલો છે અને ઉત્તર તરફ ભાવનગર શહેર આવેલું છે અને વચ્ચે શેત્રુંજી નદી વહે છે. પાલીતાણા મંદિર સંકુલ ભાવનગરથી વાયવ્ય દિશામાં દૂર આવેલું છે. મંદિર સંકુલથી પાલીતાણા નગર ૨ કિમી દૂર આવેલું છે. પાલીતણા નગર સમુદ્ર સપાટીથી માત્ર ૬૬ મીટર (૨૧૭ ફૂટ) ઊંચાઈએ આવેલું છે. પાલીતાણા મંદિર સંકુલ બે શિખરો અને તેમને જોડતી ધાર પર બાંધવામાં આવ્યું છે. શિખર ૭૨૮૮ ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં સુધી પહોંચવા લગભગ ૩,૭૫૦ પથ્થરના પગથિયા ચઢવા પડે છે.
ચોમાસાની ઋતુમાં મંદિર ભક્તો માટે બંધ રહે છે.
૩.૫ કિલોમીટરનું ચઢાણ ચડવા લગભગ ૨ કલાક જેટલો સમય લાગે છે. ઉપર જવાના વિભિન્ન રસ્તાઓ છે. ઔથી ટુંકો રસ્તો મંદિરની બાહ્ય દીવાલોને ફરતો જઈ, અંગાર પીરની દરગાહ આગળથી પસાર થાય છે. પાલીતાણા પર મુસ્લીમ આક્રમણ સમયે તેમણે આ સ્થળની રક્ષા કરી હોવાનું મનાય છે. બીજો રસ્તો પહાડની તળેટી આગળથી પસાર થાય છે. ચાલી ન શકે અથવા મોટી ઉંમરની વ્યક્તિઓ ડોલી દ્વારા ઉપર જાય છે. એ પ્રવાસનો ખર્ચ પ્રવાસીના વજન પર આધાર રાખે છે.
ફાગણ મહિનામાં જાત્રાએ આવતા મોટા ભાગના પ્રવાસીઓ ત્રીજા માર્ગે આવે છે. આ માર્ગ ૪૫ કિલોમીટર (૨૮ માઈલ) જેટલો લાંબો છે અને પાંચ મંદિરો વટાવે છે.
શત્રુંજય ટેકરીની ઉપરથી જોતા શત્રુંજી નદી અને આસપાસની ઝાંખર ધરાવતું શુષ્ક ભુપૃષ્ઠ જોઈ શકાય છે. મંદિર સંકુલમાંની સાંકડી તંગ ગલીઓ મધ્ય યુગના યુરોપીય શહેરોની ગલી જેવી લાગે છે. મંદિર સંકુલની ઊંચી દીવાલો તેને કિલ્લા જેવું સ્વરૂપ આપે છે. અશોક વૃક્ષ, છૈત્ર વૃક્ષ, જયતળેટી, મહાવીર સ્વામીની ચતુર્મુખી મૂર્તિ, હિંગળાજ અંબિકાદેવી (હિંગળાજ માતા તરીકે ઓળખાતા હિંદુ દેવી, જે આ પર્વતના અધિષ્ઠાત્રી દેવી મનાય છે.), કુમારપાળ, વિમલશાહ અને સંપ્રતી અહીંના ખાસ આકર્ષણો છે.
શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થંકર તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાની પ્રથમ દેશના આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. તેમના પૌત્ર પુંડરિકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં "પુંડરિકગિરિ" તરીકે પ્રસિદ્ધ હતું. અહીં પુંડરિક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત ૧૦૬૪ (ઈ.સ. ૧૧૨૦) માં વિધ્યાધરકુળના મુનીની દીક્ષા એટલે કે સંલેખણા પ્રસંગની યાદગીરિમાં શ્રેષ્ઠી અમેયક દ્વારા સ્થાપિત કરાઈ હતી. પુંડરિકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વખત આવતા હતા. પોતાના પિતા ઋષભ દેવની યાદમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે. દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણાં અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે.:249
પાલીતાણાના મંદિરો ૧૧મી સદીથી શરૂ કરીને ૯૦૦ વર્ષના સમયગાળામાં બંધાયા છે.સૌથી પ્રાચીન કુમારપાળ સોલંકી, નામના મહાન જૈન દાનવીરે બંધાવ્યા હોવાનું મનાય છે.[સંદર્ભ આપો] એમ કહેવામાં આવે છે કોતરકામ કરનારનું મહેનતાણું તેણે દિવસ દરમ્યાન કરેલ કોતરણી કરતા પડેલી આરસની કરચ ભૂકી પરથી નક્કી થતું હતું અને આ કોતરણી ખરબચડા દોરડા દ્વારા કરવામાં આવતી. ૧૩૧૧ની સાલમાં તુર્ક આક્રમણ સમયે તેનો નાશ કરવામાં આવ્યો. તે સમયે ૫૦ વર્ષીય મુનિ જીનસૂરી આ મંદિરોના પ્રમુખતિ હતા. બે વર્ષ પછી જીર્ણોદ્ધાર શરૂ થયો. અમુક મંદિરોનો જીર્ણોદ્ધાર સમર શાહના સમય માં શરૂ થયો. જોકે આ કાર્યને બે શતાબ્દી પછી ઈ.સ. ૧૫૩૯માં વેગ મળ્યો જ્યારે તપગચ્છના આચાર્ય હીરવિજયસૂરીએ તેજપાલ સોની નામના વેપારી દ્વારા નિર્મિત ઋષભદેવ મંદિરના અભિષેક નિમિત્તી અહીંની જાત્રા કરી હતી. તે સમય પછી અહીં મંદિરોનો વિસ્તાર વધતો ગયો.
આજે આ સ્થળે રહેલા મંદિરો ૧૬મી શતાબ્દી સુધી બંધાયેલા છે.
ઈ.સ. ૧૬૫૬માં શાહજહાં નો પુત્ર અને ગુજરાતનો સુબા મુરાદ બક્ષે પાલીતાણાના ગામો જાણીતા શ્વેતાંબર જૈન વ્યાપારી શાંતિદાસ ઝવેરી ને લખી આપ્યા હતા, અને ત્યાર બાદ તેમનો કરવેરો પણ માફ થયો હતો આને કારણે આ શહેરની સમૃદ્ધિ વધી હતી. ૧૭૩૦માં મોગલ સમયમાં આ સંકુલ સહિત ઘણાં અન્ય જૈન મંદિરો આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના કબ્જા હેઠળ આવ્યાં.
ઇતિહાસમાં અજમેરના લુણિયા શેઠ ત્રિલોકચંદનો ઉલ્લેખ આવે છે. તેમણે સાંભળ્યું કે ટેકરી પરના અંગારશાહ પીર આગળ કાંઈ ખટરાગ થયો છે તેમ છતાં તેઓ મોટો સંઘ લઈ શત્રુંજય ટેકરી પર આવ્યા અને પીરને ભેટ સોગાદો આપી ખુશ કર્યાં. તેમના વારસદારો દ્વારા આજ દિવસ સુધી આ પરંપરા ચાલી આવે છે, તેમના વારસદારો પીરની મૂલ્યવાન કપડાની ચાદર ચડાવે છે.
આદિનાથ, કુમારપાળ, સંપ્રતિરાજા, વિમલશાહ, સહસ્રકુતા, અષ્ટાપદ અને ચૌમુખ મંદિરો પાલીતાણાના મુખ્ય મંદિરો છે. અમુક મંદિરોના નામ ધનવાન દાનવીરોના નામ પરથી પડ્યા છે.
અહીંના ઘણાં મંદિરોને તેની મૂળ સ્થિતિમાં જ રાખવામાં આવ્યા છે. તેના રખરખાવ માટે જૈન વ્યાપારીઓ મોટા દાન આપે છે.
ઈ. સ. ૧૯૪૭માં ભારતમાં વિલીનીકરણ થયું તે પહેલાં પાલિતાણા રજવાડું હતું. રાજપીપળાના રાજ્ય અને ગોહીલ કુળની આ રાજધાની હતી.
એમ માનવામાં આવે છે કે જૈનો મોટે ભગે જાત્રા પગપાળા કરે છે, આથી પગપાળા અંતર ઘટાડવાના આશયથી મંદિરોને સંકુલ સ્વરૂપે બાંધવામાં આવતા, તે સંકુલને "ટૂંક" કહેવાય છે. પૂજા કરતી વખતે જૈનો પોતાના મુખને કાપડથી ઢાંકેલું રાખે છે જેથી પૂજા કરતી વખતે કોઈ જીવજંતુ તેમના ખુલ્લા મોંમાં પડી ન મરે. આ જ કારણે તેઓ ખુલ્લા દીવે આરતી નથી કરતાં, તેમની આરતીનો દીવો કંદીલમાં ઢાંકેલો હોય છે. શત્રુંજયની જાત્રા દરમ્યાન ઉપવાસ રાખવાની પર રીતિ પ્રચલિત છે. તળેટીમાં આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના સભાખંડમાં પાછા આવી ઉપવાસ છોડવામાં આવે છે. પવિત્રતાના ચિન્હ તરીકે તેઓ પોતાના મંદિર આરસપહાણના બાંધે છે. જાત્રા કરતાં શિખર પર ચઢતી અને ઉતરતી વખતે મૌન અને પ્રાર્થાના કરવામાં આવે છે. ગિરિરાજ પર કાંઈ પણ ખાવા પીવાને પાપ ગણાય છે.
અહીંના મંદિરોના ઘણાં જીર્ણોદ્ધાર થયા છે, તેમાંના મોટા ભાગના ૧૬મી શતાબ્દીમાં થયા છે. નવા મંદિરોનું નિર્માણ પણ સતત થયા કરે છે. અવસર્પિણીકાળમાં ઓછામાં ઓછા ૧૬ વ્ખત અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે.
જીર્ણોદ્ધાર | કરાવનાર | કાળ | નોંધ |
---|---|---|---|
૧લો | ભરત ચક્રવર્તી | આદિનાથ | આદિનાથના પુત્ર |
૨જો | રાજા દંડવીર્ય | આદિનાથ અને અજીતનાથ વચ્ચેનો સમયગાળો | – |
૩જો | ઈશાનેશ્વર | દેવલોક ઈંદ્ર | |
૪થો | મહેન્દ્ર | ચોથા દેવલોકના ઈંદ્ર | |
૫મો | બ્રહ્મેંદ્ર | પાંચમા દેવલોકના ઈંદ્ર | |
૬ઠ્ઠો | ચમરેંદ્ર | ભવનપતિનો ઈંદ્ર | |
૭મો | સાગર ચક્રવર્તી | અજીતનાથ | બીજા ચક્રવર્તી |
૮મો | વ્યંતરેન્દ્ર | અભિનંદનનાથ | – |
૯મો | રાજા ચંદ્રયશ | ચંદ્રપ્રભુ | – |
૧૦મો | ચક્રયુદ્ધ | શાંતિનાથ | શાંતિનાથનો પુત્ર |
૧૧મો | રામ અને લક્ષ્મણ | મુનિસુવ્રત | રામાયણના રાજાઓ |
૧૨મો | પ પાંડવ | નેમિનાથ | મહાભારત ના રાજાઓ |
૧૩મો | મહુવાના જાવડ શાહ | વિક્રમ સંવત ૧૦૮ | તેમણે ૧૦ લાખ સોનામહોરો ખર્ચી હતી. |
૧૪મો | બાહુદ સલાહકાર | વિક્રમ સંવત ૧૨૧૩ | કુમારપાળના સમયમાં |
૧૫મો | સમર શાહ ઓસવાલ | વિક્રમ સંવત ૧૩૭૧ | ૨૭,૭૦,૦૦૦ ખર્ચ |
૧૬મો | ચિતોડના કરમ શાહ | વિક્રમ સંવત ૧૫૮૭ | વૈશાખ વદ ૬ |
એવી માન્યતા છે કે ૧૭મો જીર્ણોદ્ધાર દુપ્પશાહસૂરીના કાળમાં વિમલવાહન દ્વારા કરાવવામાં આવશે.
પાલીતાણા મંદિરોને જૈનોના સૌથી પવિત્ર તીર્થોમાં માનવામાં આવે છે.
અહીંના સંકુલોમાં મંદિરોની સંખ્યા લગભગ ૮૬૩ અને ૧૦૦૮ની વચ્ચે હોવાનો અંદાજ છે. મોટાં મંદિરો ખૂબ મોટા ખંડ અને ઊંચા શિખરો ધરાવે છે. હિંદુ મંદિરોથી વિપરીત અહીંના મંદિરો એકથી વધારે દરવાજાઓ ધરાવે છે. મોટા મંદિરો ચારે તરફથી ઉંચા કોટ સમાન દીવાલો ચણાવેલી હોય છે. નાના મંદિરો ૩ ચો ૩ ચોરસ ફુટ (૦.૨૮ મી૨), જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. આરસની ફર્સબંધી પર ભૌમિતિક રચનાઓ કરેલી હોય છે. આ મંદિરોના ઘુમ્મટ સુંદર ભૌમિતિક રચનાઓની કોતરણી ધરાવે છે. મંદિરોને તેમના વિવિધ કદ અને આકાર સાથે જૂથોમાં બાંધવામાં આવ્યા છે. આરસપહાણમાં કરેલીકોતરણીને પથ્થર પર રચેલી પ્રાર્થના સમાન ગણવામાં આવે છે. અહીં મંદિરોને નવ મુખ્ય સંકુલમાં બાંધવામાં આવ્યા છે આ સંકુલને ટુંક કહે છે. આ ટુંક મધ્યમાં એક મોટું મંડિર ધરાવે છે અને તેની આસ પાસ ચારે તરફ નાને નાની દેરીઓ આવેલી હોય છે. અહીનાં મંદિરો ચૌમુખ મંદિર સંરચના ધરાવે છે. આ ંઅંદિરોના મંડપ ગૃહો મોટાં હોય છે આથી મોટા ધાર્મિક અનુષ્ઠાનો તેમાં યોજી શકાય છે. આની સંરચના પ્રથમ તીર્થંકરની દેશનાને અનુકરણ કરતી કરવામાં આવી છે. આ મંદિરો ચાર દિશમાં ચાર મૂર્તિઓ તથા દરવાજા ધરાવે છે આથી દરેક દિશામાંથી તીર્થંકરના દર્શન કરી શકાય. આવિ ચૌમુખી મૂર્તિને ચૌબિંબ કહેવાય છે જેનું દર્શન દરેક દિશામાંથી શુકનવંતુ મનાય છે. જૈન ધાર્મિક લેખનોમાં પાલીતાણા અને રાણકપુર જેવા મંદિર નગરના નિર્માણને મહત્ત્વ આપવામાં આવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article પાલીતાણાના જૈન મંદિરો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.