આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ ૫૬/૨૬૨ના સ્વીકાર સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને ઔપચારિક માન્યતા આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૧૬ મે ૨૦૦૭ના રોજ ઠરાવ ક્રમાંક ૬૧/૨૬૬, માં સ્વીકાર્યું હતું કે માતૃભાષા દિવસ એ "વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા" વ્યાપક પહેલનો એક ભાગ છે. આ ઠરાવની સાથે જ વર્ષ ૨૦૦૮ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવાનો મૂળ વિચાર બાંગ્લાદેશની પહેલ હતો. ૨૧ ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે. તે ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે.
૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૦થી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. આ ઘોષણા બાંગ્લાદેશીઓ (તે સમયે પૂર્વ પાકિસ્તાનીઓ) દ્વારા કરવામાં આવેલી ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી.
૧૯૪૭માં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના બે અલગ અલગ ભાગ હતા: પૂર્વ પાકિસ્તાન (જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) અને પશ્ચિમ પાકિસ્તાન (જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે). સંસ્કૃતિ અને ભાષાના અર્થમાં બંને ભાગો એકબીજાથી ખૂબ જ ભિન્ન હતા.
બંગાળી અથવા બાંગ્લા ભાષા એ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના બહુસંખ્યક લોકો દ્વારા બોલાતી ભાષા હતી. તેમ છતાં, ૧૯૪૮માં પાકિસ્તાનની તત્કાલીન સરકારે ઉર્દૂને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ આ જાહેરાતનો વિરોધ કર્યો, કારણ કે મોટાભાગની વસ્તી પૂર્વ પાકિસ્તાનની હતી અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. તેમણે બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી કરી હતી. આ માગણી સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં ઉઠાવી હતી.
આ વિરોધ પ્રદર્શનને તોડી પાડવા માટે પાકિસ્તાનની સરકારે જાહેર સભા અને રેલીઓને ગેરકાયદેસર ઠેરવી હતી. સામે પક્ષે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય જનતાના સમર્થનથી જંગી રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ પોલીસે રેલીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અબ્દુસ સલામ, અબુલ બરકત, રફીક ઉદ્દીન અહમદ, અબ્દુલ જબ્બાર અને શફીઉર રહેમાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના હતી, જ્યારે લોકોએ તેમની માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
આજના દિવસે બાંગ્લાદેશીઓ માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપનારા શહીદોની યાદમાં બાંધવામાં આવેલા 'શહીદ મિનાર' સ્મારકની મુલાકાત લે છે અને શહીદોની પ્રતિકૃતિઓ સમક્ષ તેમના પ્રત્યેનું ઊંડું દુ:ખ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના રોજ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત કેનેડાના વાનકુંવરમાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે કરી હતી. તેમણે ૯ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને એક પત્ર લખીને ૧૯૫૨માં ભાષા ચળવળ દરમિયાન ઢાકામાં થયેલી હત્યાની યાદમાં ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની ભાષાઓને લુપ્ત થતી બચાવવા માટે એક પગલું ભરવા જણાવ્યું હતું.
“આપણા મૂર્ત અને અમૂર્ત વારસાને જાળવવા અને વિકસાવવા માટે ભાષાઓ એ સૌથી શક્તિશાળી સાધન છે. માતૃભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવા માટેના તમામ પગલાં માત્ર ભાષાકીય વૈવિધ્ય અને બહુભાષીય શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક પરંપરાઓની સંપૂર્ણ જાગૃતિ વિકસાવવા અને સમજણ, સહિષ્ણુતા અને સંવાદ પર આધારિત એકતાને પ્રેરિત કરવા માટે પણ કામ કરશે.”
— સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માઇક્રોસાઇટ પરથી.
રફીકુલ ઈસ્લામનો પ્રસ્તાવ બાંગ્લાદેશની સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બાંગ્લાદેશની સરકાર દ્વારા યુનેસ્કોને આ સંદર્ભનો એક ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. યુનેસ્કોની નિયમનકારી વ્યવસ્થા દ્વારા આ દરખાસ્તને આગળ ધપાવવાની પ્રક્રિયા ફ્રાન્સમાં બાંગ્લાદેશના તત્કાલીન રાજદૂત અને યુનેસ્કોમાં કાયમી પ્રતિનિધિ સૈયદ મુઆઝ્ઝેમ અલી અને તેમના પુરોગામી ટોઝામ્મેલ ટોની હક દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેઓ તે સમયે યુનેસ્કોના સેક્રેટરી જનરલ ફેડરિકોના મેયરના ખાસ સલાહકાર હતા. છેવટે ૧૭ નવેમ્બર, ૧૯૯૯ના રોજ યુનેસ્કોની ૩૦મી જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે ૧૯૫૨માં આજના જ દિવસે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં સમગ્ર વિશ્વમાં ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે.
યુનેસ્કો દરેક આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માટે એક વિષય પસંદ કરે છે, અને તેના પેરિસ મુખ્યમથકમાં સંબંધિત કાર્યક્રમોને પ્રાયોજિત કરે છે. વર્ષ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ પર ભાષાઓના આંતરરાષ્ટ્રીય વર્ષની શરૂઆત થઇ હતી. તે ચિલી, રશિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત અને કેનેડામાં ઉજવવામાં આવે છે.
બાંગ્લાદેશીઓ શહીદ સ્મારક અને તેની પ્રતિકૃતિઓ પર પુષ્પમાળાઓ અર્પણ કરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે. ૧૯૫૩થી આ દિવસે દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે, તેને શોહિદ દિબોશ (શહીદ દિવસ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ, યુનેસ્કોની સામાન્ય પરિષદે ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે માન્યતા આપી હતી. બાંગ્લાદેશીઓ તેમની ભાષા અને સંસ્કૃતિને માન આપીને સામાજિક મેળાવડાનું આયોજન કરે છે, સાહિત્યિક સ્પર્ધાઓ યોજે છે, રસ્તાઓ પર રંગોળી પૂરે છે, ઉત્સવનું ભોજન લે છે અને ગીતો સાંભળે છે. બાંગ્લા અકાદમી સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન ઢાકામાં અમાર એકુશે પુસ્તક મેલા(એકવીસમી (ફેબ્રુઆરી)નો અમર પુસ્તક મેળો) નું આયોજન કરે છે.
ડિજિટલ ઇન્ડિયા પહેલના ભાગરૂપે ડિજિટલ રૂપે સામગ્રી દેશની ૨૨ અનુસૂચિત ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ભારતની અન્ય ૨૩૪ માન્ય ભાષાઓમાં વિસ્તૃત કરવામાં આવશે. મૈસૂરની ભારતીય ભાષા કેન્દ્રીય સંસ્થાનમાં ભારતવાણી પરિયોજના મારફતે જૂન ૨૦૧૬માં ડિજિટાઇઝેશનની શરૂઆત થઈ હતી અને ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં ૬૦ ભારતીય ભાષાઓમાં સામગ્રી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને કેનેડાની સંસદમાં ૫ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ મેથ્યુ કેલવે દ્વારા ખાનગી સભ્ય વિધેયક સી-૫૭૩ તરીકે માન્યતા આપવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૫માં બ્રિટિશ કોલંબિયા અને મેનિટોબાએ ૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની ઘોષણાઓ બહાર પાડી હતી. એડમોન્ટને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી.
માતૃભાષા દિવસને અનુલક્ષીને ૨૦૧૭થી વોશિંગ્ટન, ડી.સી.માં માતૃભાષા ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
૧૯૯૯માં લંડનમાં અલ્તાબ અલી પાર્ક, વ્હાઇટચેપલમાં ઢાકાના શહીદ મિનારની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. સમુદાયના સભ્યો અહીં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી માટે પુષ્પાંજલિ અર્પણ કરીને, ક્રાંતિકારી ગીતો ગાય છે. ગ્રેટર માન્ચેસ્ટરના વેસ્ટવૂડમાં પણ શહીદ મિનારની પ્રતિકૃતિ છે. સ્મારક પર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે સમુદાયના સભ્યો ઉત્તર ઇંગ્લેંડથી આવે છે.
લિંગુપેક્સ પુરસ્કાર બાર્સેલોનામાં લિંગુપેક્સ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર દર વર્ષે આપવામાં આવે છે. આ ઇનામ ભાષાકીય વિવિધતાની જાળવણી, ભાષાકીય સમુદાયોના પુનર્જીવન અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવાની ઉત્કૃષ્ટ સિદ્ધિને માન્યતા આપે છે.
બાંગ્લાદેશ હેરિટેજ એન્ડ એથનિક સોસાયટી ઓફ આલ્બર્ટા (બીએચઇએસએ) દ્વારા વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલા વાર્ષિક એકુશે હેરિટેજ એવોર્ડમાં શિક્ષણ, સામાજિક કાર્ય અને સામુદાયિક સેવા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિને બિરદાવવામાં આવે છે. આ એવોર્ડની જાહેરાત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર કરવામાં આવે છે.
આલ્બર્ટાના માહિનુર જાહિદ મેમોરિયલ ફાઉન્ડેશન (એમજેએમએફ) દ્વારા વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલો અને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર જાહેર કરવામાં આવેલો એકુશે યુવા પુરસ્કાર દર વર્ષે શિક્ષણ, રમતગમત, યુવા પ્રવૃત્તિઓ, સાહિત્ય અને સામુદાયિક સેવાના ક્ષેત્રોમાં યુવાનોને પ્રેરિત કરનારા વિજેતાઓને એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આલ્બર્ટાના રહેવાસીઓ પૂરતો મર્યાદિત છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.