૨૦૦૧ ગુજરાત ધરતીકંપ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો.
આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે (23°25′08″N 70°13′55″E / 23.419°N 70.232°E) હતું. આ ધરતીકંપ ૭.૭ માપનો હતો. ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા (જેમાનાં ૧૮ દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના હતા), ૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.
ગુજરાત ભારતીય તકતી અને યુરેશિયન તકતીઓની સીમાઓથી ૪૦૦ કિમી અંદર આવેલું છે, પરંતુ આ તકતીઓ વચ્ચે સતત સીમા પર અથડામણ થતી રહે છે. જ્યુરાસિક યુગમાં ગોંદવાના ખંડના ભંગાણ સમયે, આ વિસ્તાર પશ્ચિમ-પૂર્વ પ્રવાહના કારણે ભારે અસર પામ્યો હતો. યુરેશિયા તકતી સાથેના અથડામણના કારણે આ વિસ્તારની તકતીમાં ટૂંકા ગાળાના ભંગાણો તેમજ નવા ભંગાણો પડ્યા હતા. મધ્ય કચ્છમાં આને સંબંધિત ભંગાણો પડ્યા હતા. આ ભાત ૧૮૧૯માં આવેલા કચ્છના રણના ધરતીકંપ સાથે સંબંધિત છે. ૨૦૦૧નો ધરતી કંપ પહેલાં અજાણ્યા એવા દક્ષિણ ભંગાણને કારણે ઉદ્ભવ્યો હતો.
કચ્છમાં મૃત્યુઆંક ૧૨,૩૦૦નો હતો. ભૂજ શહેર, જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી. આ ગામોમાં લાખો ઘરો જેમાં ઐતહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો સમાવેશ થતો હતો - પણ નાશ પામ્યા હતા. ધરતીકંપને કારણે ભૂજના ૪૦ ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. શહેરનું ઐતહાસિક સ્વામીનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આયના મહેલને પણ ભારે નુકશાન થયું હતું. અમદાવાદમાં, ૫૦ બહુમાળી ઇમારતો નાશ પામી હતી અને સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા તેમજ આશરે કુલ ૫.૫ બિલિયન ડોલરની સંપતિનું નુકશાન થયું હતું. કચ્છમાં ધરતીકંપને કારણે ૬૦ ટકા ખોરાક અને પાણીનો પુરવઠો અને આશરે ૨,૫૮,૦૦૦ ઘરો નાશ પામ્યા હતા - જે જિલ્લાના ૯૦ ટકા ઘરો હતા. ભૂજની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પણે નાશ પામી હતી. ભારતીય સૈન્યે તાત્કાલિક મદદ પૂરી પાડી હતી અને ત્યારે બાદ રેડ ક્રોસ અને રેડ ક્રિસેન્ટ જેવા આંતર રાષ્ટ્રીય સંગઠનો મદદે આવ્યા હતા. રેડ ક્રોસની કામચલાઉ હોસ્પિટલ જ્યાં સુધી નવી હોસ્પિટલ બંધાઇ નહી ત્યાં સુધી ભૂજમાં કાર્યરત રહી હતી.
ભુજિયા ડુંગર ઉપર ધરતીકંપમાં મૃત્યુ પામેલા લોકો માટે સ્મૃતિવન યાદગીરી રૂપે બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિને સમર્પિત એવા ૧૩,૮૨૩ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ બાગમાં ૧૦૮ નાના તળાવો બનાવવામાં આવ્યા છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.