લક્ષ્મી સહેગલ (pronunciation (મદદ·માહિતી) ) (જન્મ લક્ષ્મી સ્વામિનાથન) (૨૪ ઑક્ટોબર ૧૯૧૪ - ૨૩ જુલાઈ, ૨૦૧૨) ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી, અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા.
સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કેપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં કેદી બનાવવામાં આવતા તેણીના નામનો પદ સહિત આ રીતે ઉલ્લેખ થયો હતો.
લક્ષ્મી સહેગલ | |
---|---|
જન્મની વિગત | મલબાર જિલ્લો, બ્રિટિશ ભારત | 24 October 1914
મૃત્યુની વિગત | 23 July 2012 કાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત | (ઉંમર 97)
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | કેપ્ટન લક્ષ્મી |
જીવનસાથી | પી. કે. રાવ ( - ૧૯૪૦) પ્રેમ કુમાર સહેગલ (૧૯૪૭–૧૯૯૨) |
સંતાન | સુભાષિની અલી અને અનિશા પુરી |
લક્ષ્મી સહેગલનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીના એક ભાગ મલબારમાં લક્ષ્મી સ્વામિનાથન તરીકે ૨૪ ઓક્ટોબર ૧૯૧૪ ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ એસ. સ્વામિનાથન હતું તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં એક વકીલ હતા. તેમની માતાનું નામ એ. વી. અમ્મુકુટી હતું, જેઓ કેરળના પાલઘાટના વડક્કથ તરીકે ઓળખાતા અંક્કારના રાજવી નાયર કુટુંબના વ્યક્તિ અને એક સમાજસેવિકા અને સ્વતંત્રતા કાર્યકર હતા અને તેઓ અમ્મૂ સ્વામિનાથન તરીકે જાણીતા હતા. તેઓ મૃણાલિની સારાભાઈની મોટી બહેન છે.
સહેગલે ક્વીન મેરીસ્ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેમણે વૈદક ક્ષેત્રે અભ્યાસ કરવાનું પસંદ કર્યું અને ઈ. સ. ૧૯૩૮ માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવી. એક વર્ષ પછી, તેમણે સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિવિજ્ઞાનનો ડિપ્લોમા મેળવ્યો. તેમણે ચેન્નઈના ટ્રીપ્લીકેનમાં આવેલી કસ્તુરબા ગાંધી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી હતી.
ઈ. સ. ૧૯૪૦ માં, પાયલોટ પતિ પી. કે. એન. રાવ સાથેના લગ્નમાં નિષ્ફળતા પછી તેઓ સિંગાપુર ગયા. સિંગાપોર ખાતેના રોકાણ દરમિયાન તેઓ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના કેટલાક સભ્યોને મળી હતી.
ઈ. સ. ૧૯૪૨ માં, બ્રિટિશરો દ્વારા જાપાનીઓને સિંગાપોરના સમર્પણ દરમ્યાન, સહેગલે ઘાયલ થયેલા યુદ્ધના કેદીઓની સારવાર કરી, જેમાંના ઘણાને ભારતીય સ્વતંત્રતા સેનાની રચના કરવામાં રસ હતો. સિંગાપુરમાં તે સમયે ઘણા રાષ્ટ્રવાદી ભારતીયો કાર્યરત હતા. કે. પી. કેસવા મેનન, એસ. સી. ગુહા અને એન. રાઘવન જેવા આગેવાનોએ એક્શન કાઉન્સિલની રચના કરી હતી. અલબત્ તેમની આઝાદ હિંદ ફોજને જાપાની દળો દ્વારા યુદ્ધમાં તેમની ભાગીદારી અંગે કોઈ કડક પ્રતિબદ્ધતા કે મંજૂરી મળી ન હતી.
આ પૃષ્ઠભૂમિમાં સુભાષચંદ્ર બોઝ ૨ જુલાઈ ૧૯૪૩ ના દિવસે સિંગાપોર પહોંચ્યા. લક્ષ્મીએ સાંભળ્યું હતું કે બોઝ મહિલાઓનું એક સંગઠનમાં ઘડવા માટે ઉત્સુક છે તેથી તેણીએ તેમની સાથે એક બેઠકની વિનંતી કરી. આહીંથી તેમને રાણી ઝાંસી રેજિમેન્ટની તરીકે ઓળખાયેલી મહિલા રેજિમેન્ટ સ્થાપવાનો આદેશ મળ્યો હતો. પૂર્ણ રીતે સ્ત્રીઓને બનેલી આ બ્રિગેડમાં જોડાવા ઘણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો અને ડૉ. લક્ષ્મી સ્વામિનાથન કેપ્ટન લક્ષ્મી બન્યા, અને એજ નામ અને ઓળખ તેમની સાથે જીવનભર રહ્યું.
આઝાદ હિંદ ફોજે ડિસેમ્બર ૧૯૪૪ માં જાપાની સૈન્ય સાથે બર્મા તરફ પ્રયાણ કર્યું, પરંતુ માર્ચ ૧૯૪૫ માં, યુદ્ધમાં પલટો આવ્યો, ભારતીય સૈન્યે તેઓ ઇમ્ફાલમાં પ્રવેશ કરે તે પહેલાં શરણાગતી સ્વીકારવી પડી. કેપ્ટન લક્ષ્મીની મે ૧૯૪૫ માં બ્રિટીશ સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, માર્ચ ૧૯૪૬ તેઓ સુધી બર્મામાં રહ્યા, ત્યાર બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા. તે સમયે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજ પરના મુકદ્દમાને કારણે લોકોમાં અસંતોષ વધતો હતો અને અંગ્રેજ શાસનનો અંત નજીક જણાતો હતો.
ઈ.સ. ૧૯૭૧ માં તેઓ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)માં જોડાયા અને રાજ્ય સભામાં પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. બાંગ્લાદેશ કટોકટી દરમિયાન, તેમણે બાંગ્લાદેશથી ભારતમાં આવેલા શરણાર્થીઓ માટે કલકત્તામાં રાહત શિબિરો અને તબીબી સહાયનું આયોજન કર્યું હતું. ઈ.સ.૧૯૮૧ માં ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા અને તે સંસ્થાની ઘણી પ્રવૃત્તિઓ અને અભિયાનોનું તેમણે નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૮૪ માં ભોપાલ ગેસ દુર્ઘટના બાદ તેણીએ ભોપાલ તરફ એક તબીબી ટુકડી દોરી અને તેનું નેતૃત્વ કર્યું હતું, ૧૯૮૪ ના શીખ વિરોધી રમખાણો બાદ કાનપુરમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે કામ કર્યું હતું અને ૧૯૯૬ માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ સ્પર્ધા સામેના વિરોધ અભિયાનમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૬ સુધી તેઓ કાનપુરમાં તેમની ક્લિનિકમાં ૯૨ વર્ષની ઉંમર સુધી દર્દીઓની નિયમિત જોતી હતી.
ઈ. સ. ૨૦૦૨ માં, ચાર ડાબેરી પક્ષો ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (ક્રાંતિકારક સમાજવાદી પાર્ટી) અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લૉકે સાથે મળી તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સહેગલને ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. તેઓ અબ્દુલ કલામના એકમાત્ર પ્રતિદ્વંધી હતા.
સહેગલે લાહોરમાં માર્ચ ૧૯૪૭ માં પ્રેમ કુમાર સહેગલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી, તેઓ કાનપુર સ્થાયી થયા, જ્યાં તેમણે પોતાની તબીબી સેવા ચાલુ રાખી અને ભારતના ભાગલા બાદ મોટી સંખ્યામાં પહોંચેલા શરણાર્થીઓને મદદ કરી. તેમને બે પુત્રી હતી: સુભાશિની અલી અને અનિસા પુરી.
સુભાશિની અગ્રણી સામ્યવાદી રાજકારણી અને મજૂર કાર્યકર છે. અલીના કહેવા પ્રમાણે લક્ષ્મી સહેગલ નાસ્તિક હતા. ફિલ્મ નિર્માતા શાદ અલી તેના પૌત્ર છે.
૧૯ જુલાઈ, ૨૦૧૨ ના દિવસે, સહેગલને હૃદય રોગના હુમલો આવ્યો અને ૨૩ જુલાઈ, ૨૦૧૨ ના દિવસે સવારે ૧૧:૨૦ વાગ્યે કાનપુરમાં ૯૭ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તબીબી સંશોધન માટે તેમના શરીરને ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૯૯૮ માં, સહેગલને ભારતીય રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન દ્વારા પદ્મવિભૂષણ એનાયત કરાયો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article લક્ષ્મી સહેગલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.