અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે, જે અન્ય ત્રણ વેદો પછીથી લખાયો હોવાનું માનવામાં આવે છે.
અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે. ૨૦મી સંહિતામાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી હતી. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે. જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.
This article uses material from the Wikipedia ગુજરાતી article અથર્વવેદ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.