ભરવાડ ભારતના ગુજરાત રાજ્યની એક હિંદુ જ્ઞાતિ છે.
ઇતિહાસકારો ના મતે ભરવાડ એક ગોત્ર સમુદાય તરીકે ઓળખાય છે.'ભરવાડ' શબ્દ, 'ભરુ' શબ્દ ઉપરથી નિષ્પન્ન થયેલો જણાય છે. ભરું પ્રદેશ (ભૃગૃકચ્છ-ભરૂચ)માં રહેવાથી ભરવાડ નામ પડયુ હશે તેમ માનવું છે. ગોપાલક ભરવાડ જ્ઞાતિએ સમગ્ર ગુજરાતમાં એક સાહસિક, નીડર અને બહાદુર જ્ઞાતિ છે. ભરવાડ જ્ઞાતિનું સમગ્ર ગોપાલક ભરવાડ સમાજની ગુરુગાદી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરા ગામે આવેલ છે. ઝાઝાવડા અને ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલ છે, આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ થી યાદવો (આહીર) સાથે દ્વારકા આવ્યા ત્યારે પ્રથમ રાતવાસો માટે રોકાણા હતા. ત્યાં ભગવાન શ્રી ગ્વાલીનાથ ની સ્થાપના કરી હતી. ત્યાં સમગ્ર ગુજરાતના ભરવાડ સમાજ એક સાથે એક મંચ ઉપર આવે છે. ઠાકર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને માનનારો સૌથી મોટો વર્ગ છે. આ સમુદાય મુખ્યત્વે ગાયનું રક્ષણ અને તેને પાળતો હોવાથી 'ગોપાલક' કહેવાય છે.સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં તેઓને'આપા'તરીકે સંબોધે છે.
ઈતિહાસમાં આ સમાજનો ઊલ્લેખ પ્રથમવાર ૮મી-૯મી સદીમાં જોવા મળે છે. મેરુતુંગના ૧૩૦૫માં રચાયેલ ગ્રંથ 'પ્રબોધ ચિંતામણી' અનુસાર ચાવડાવંશના રાજા વનરાજને ગાદી મેળવવા તે સમયે અણહિલ આપા નામના ભરવાડે ખુબ મદદ કરી હતી. વનરાજ ચાવડાએ તેની યાદમાં અણહિલ પટ્ટન અથવા પાટણ નામનું સ્થળ વસાવ્યું.આ સિવાય આ સમાજમાંથી ઘણા એવા શૂરવીર યોદ્ધાઓ ઓએ ઘણા રાજવીઓને પોતાનું રાજ મેળવવામાં મદદ કરી એવો પણ ઉલ્લેખ છે.ઇતિહાસ માં ભરવાડ સમાજ માટે ગોપ અથવા આભિર (ahir)તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
ભરવાડ જ્ઞાતિ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે. નાનાભાઈ ભરવાડ અને મોટાભાઈ ભરવાડ. ખરી રીતે તો આ બન્ને સગા ભાઈ જ હતા જે જુદા પડતા ગયા નાનો ભાઈ હતો તેના વંશજ નાનાભાઈ ભરવાડ અને મોટો ભાઈ હતો તેના મોટાભાઈ ભરવાડ બન્યા.
સૌરાષ્ટ્રમાં મોટાભાઈ ભરવાડના લોકો મચ્છુ માતાજી અને ઠાકર ને પુજે છે. પુર્વે ગુજરાત, સૌરાષ્ટ્ર માં મોટાભાઈ ભરવાડના લોકો વસે છે. જ્યારે નાનાભાઈ પંચાલ (તરણેતર વિસ્તાર),ઝાલાવાડ,ભાલ,ચરોતર, દક્ષિણ ગુજરાત તેમજ ખાનદેશ (મહારાષ્ટ્ર)માં પણ વસે છે.
બન્ને વર્ગમાં ગોળ કે ગોર તરીકે જુદા જુદા પરંગણામાં લોકો વસે છે. કુલ ૯૫ પરંગણામા વિભાજીત ભરવાડમાં ૭૯ પરંગણા મોટાભાઈના અને ૧૭ પરંગણા નાનાભાઈના છે. ઠુંગા(જાદવ),વેહરા (સોલંકી) ભુંડીયા(સિંધવ),ઝાપડા, મુંધવા, રાતડીયા,ગળીયા તરીકે મોટાભાઈ ભરવાડ ઓળખાય છે.
નાનાભાઈ ભરવાડના લોકો મુખ્યત્વે સોહલા, ભોકળવા, મેર, સાટીયા, જોગરાણા, ભૂવા, અલગોતર, ડાંગર ,મારુ ,સભાડ, બોળીયા, પરમાર, ખોડા ,મીર, કસોટીયા , શિયાળીયા અને સિંધવ(રાઠોડ) તરીકે ઓળખાય છે.જે બાવળીયાળી ગામ ભાવનગર નજીક નગાલાખા ના ઠાકર મંદિર અને બીજ અને જન્માષ્ટમી મહોત્સવ વિશેષ માને છે.
ભરવાડ એ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતી ધરાવતો રંગીલો સમાજ છે. ભરવાડનો હુડારાસ ગોપસંસ્કૃતીનું દર્શન કરાવતો નૃત્ય પ્રકાર છે. ભરવાડને હુળારાસ લેતા જોવા એ પણ એક આગવો લાહ્વો છે. ઢોલના તાલની રમઝટ અને ભરવાડના ઠેકડા સાથેનો અવાજ ખુબ જ સુંદર હોય છે. તેમાં ગીતને સ્થાન બહું ઓછુ હોય છે. લાકડીયોને ફેરવી કળાથી ફેરવાતું દ્રશ્ય જોવા લાયક હોય છે.
હૂળારાસમાં ભરવાડ અને ભરવાડણ સામસામે તાલ પર હાથ અને પગના ઠેકડા સાથે રાસે રમે છે.
રાસડા ભરવાડ સ્ત્રીપુરુષ તેમાં એકસાથે રાસ લેવામાં જોડાય છે. તેમાં સંગીતનું આગવું સ્થાન હોય છે.
ભરવાડ મુખ્ય ત્રણ વ્યવસાય છે જેમાં (1)ગાય, ભેસ,ગાડરુ(sheep),બકરી,ખેતરોમાં ચરાવવી (2)દુધ વ્યવસાય દુધની ડેરી (3) ચા ની હોટલો કહેવાય છે કે માલધારી ની ચા પીવાની મજા કંઈક અલગજ હોય છે . ભરવાડ ના વ્યવસાય તો ઘણા પ્રકારના કરે છે પણ આ ત્રણ મુખ્ય વ્યવસાય છે
ગુજરાતના સૌથી વધારે મહત્વ ધરાવતા મેળા ભરવાડ સમાજ સાથે અનેરો નાતો ધરાવે છે. સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો ભરવાડ સમાજની ભાતીગળ સંસ્કૃતીનું દર્શન કરાવે છે. પરંપરાગત પોષાક અને ભરત ભરેલી છત્રી વાળો યુવાન જોવા લાયક હોય છે. અમદાવાદનો વૌઠાનો મેળો પણ ભરવાડ સમાજ સાથે નાતો ધરાવે છે. દ્રાકાનોમેળો તથા ડાકોરના મેળાનું પણ ભરવાડ સમાજમાં ખુબ મહત્વ છે. ઝાઝાવડાનો મેળો અને ગેડીયાનો મેળો ભરવાડ સાથે સંકળાયેલ છે. તેમના માટે ગોકુળ આઠમ સૌથી મોટો તહેવાર હોય છે.
ભરવાડ લોકોનો પરંપરાગત પોશાક ચોરણી-કમીજ , પાઘડી,બોરી(એક જાતનુ રંગીન વસ્ત્ર જેમા લાલ વાદળી અને કથ્થઈ રંગ મુખ્ય) અને કેડિયુ છે. ઘરડા અને પ્રોઢો સફેદ ઓસાડ (ધોતી જેવુ વસ્ત્ર) પહેરે છે. આ સિવાય તે હિરાકંઠી (એક પ્રકારની માળા), કંદોરો (કેડે પહેરવાના પટ્ટા જેવુ ચાંદી), પોકરવા, કડિયા, ફૂલ (કાનમાં પહેરવાની વસ્તુઓ), કડુ, લકી વગેરે પહેરે છે. તેઓ માથામાં પાઘડી પહેરે છે અને ઘણીવાર ખભા પર મોટો રુમાલ રાખે છે.
ટાંગલિયા શાલ જે હાથથી વણેલ હોય છે તે પહેરવામાં આવે છે. ભરવાડની આ શાલને GI ટેગg મળેલ છે. કચ્છમાં માલધારી અજરક નામની શાલ પણ પહેરાય છે.
ભરવાડ માથે જે આંટીવાળી પાઘડી બાંધે તેને ભોજપરા કહેવાય છે. જે રાતારંગના છેડાવાળા હોય છે. ભાલના ભરવાડ ભરત ભરેલ પટ્ટાવાડી બાંધણીની પાઘડી બાંધે છે.
ભરવાડ ફુલવારી બોરી તથા ચૂડ વાળા કેડીયા પહેરે છે જેમાં પીઠ પર ભરત ભરેલ હોય છે. તો ક્યાંક કેડિયાની જગ્યાએ તુઈ મુકીને મોરલા ભરેલ બંડ્ડી પહેરે છે.
ભરવાડણો ઊનનું થેપાડું, લીલારંગનું કાપડુ જે પેટ સુધીનું અને ખુલ્લી પીઠનું હોય છે તથા આભલા ભરેલ ધાખળી ઓઢે છે.
નાનાભાઈ ભરવાડની સ્ત્રીઓ કાળી પરમેટાની જીમિયું અને લીલી ચુંદડી ઓઢે છે.
મોટાભાઈની સ્ત્રીઓ જીમી-કાપડા બાધણી, ટંગલીયો જે ઊનનો બનેલ હોય છે તે, સરમલિયું, ધુંહલું અને બાવન બાગનું સાળનું કપડું પહેરે. માથે ઊનના કીડિયા, ગલખકડી અને ગલેટા ઓઢે. ઊમરલાયક સ્ત્રી ખડી છાપેલ ઘાઘરા પહેરે જ્યા યુવાન સ્ત્રી હાથથી ભરેલ રંગબેરંગી મોર, પોપટ, કાનગોપીના ઘાઘરા પહેરે.
બાળકો દાડમ ડોડવરી અને કેવડા ભાતનું અતલયનું કેડિયું કે બંડ્ડી પહેરે.
સ્ત્રીઓ ના ઘરેણાં વેઢલા,પોખાની,બરઘલી,ઝવલા,માછલીયુ,પઈહાર, કાંબીયું, કોકરવા, રામનોમી, ઝરમર, કાંબી, કેરડા, કણસું, ખોલેરિયું, ડાળ્યુ, પાદડિયું, હાથીદાંતના બલોયા,કડલા,ડોડી, બાજરીયું પહેરે છે. જ્યારે પુરુષ કડલા, ફુલ, કાકરવા, ચોરસી, દોરો, સલ્લડ, દાણાવાળી વીંટી, કંદોરો પહેરે છે.
સ્ત્રીઓ અને પુરુષ શરીર પર ત્રાજવા પડાવે છે. સ્ત્રીઓ પગની પાનીથી ઢીંચણ સુધી, હાથની આંગળીથી લઈને કોણી સુધી અને ડોકથી મોં સુધી તથા કપાળે છુંદણા પડાવે છે. તેમાં ગોપાલક સંસ્કૃતીના પ્રતીક ગાય, જોતર, લાડવો, દાણા, વાવ દેરડી હોય છે. પુરુષોના હાથે કાનુડો, સાપ કે વિંછી દોરેલ હોય છે. તેઓ એકબીજાના યાદગીરી રુપે મીત્રોના નામ પણ છુંદાવે છે જેમ કે વાલો, જકસી, નઘો, લક્ષ્મી, કંકુ વગેરે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ભરવાડ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.