જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા.
જ્યોતીન્દ્ર દવે | |
---|---|
જન્મ | જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે 21 October 1901 સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | 11 September 1980 મુંબઈ, ભારત | (ઉંમર 78)
ઉપનામ | યયાતિ, ગુપ્તા, અવળવાણીયા |
વ્યવસાય | હાસ્યલેખક, પ્રાધ્યાપક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ., એમ.એ. |
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | કરસુખબેન દવે (લ. 1929; તેમના મૃત્યુ સુધી 1980) |
જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે 'ગુજરાત' માસિકનું સહ-સંપાદન પણ કરેલું. ૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું. તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ, અસિતના તેઓ પિતા બન્યા.
એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
તેમનું ઘર સુરતના આમલિરણ વિસ્તારમાં આવેલું છે.
તેમની મુખ્ય રચનાઓમાં 'રંગતરંગ' 'ભાગ ૧ થી ૬' (૧૯૩૨-૧૯૪૬), 'જ્યોતીન્દ્ર તરંગ', 'રેતીની રોટલી' (૧૯૫૨), 'વડ અને ટેટા' (હાસ્ય નિબંધો), 'અમે બધાં' (નવલકથા, ૧૯૩૬), 'વ્યતીતને વાગોળું છું' (આત્મકથા), 'હાસ્ય નિબંધ સંગ્રહ' - ૧૦, 'હાસ્યનવલકથા' - ૧, 'આત્મકથા' વગેરે મુખ્ય છે. વળી તેમના 'અવસ્તુદર્શન', 'અશોક પારસી હતો', 'મહાભારત: એક દ્રષ્ટિ', 'મારી વ્યાયામસાધના', 'સાહિત્યપરિષદ' જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. કાવ્યોમાં તેમણે 'આત્મપરિચય', 'એ કોણ હતી?' તથા 'લગ્નના ઉમેદવાર' જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો. ઉપરાંત 'વિષપાન' (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 'વડ અને ટેટા' (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન 'માઈઝર' નું રૂપાંતર છે. 'સામાજિક ઉત્ક્રાન્તિ' (૧૯૩૦) તથા 'એબ્રહમ લિંકન-જીવન અને વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે. 'ખોટી બે આની', 'લગ્નનો ઉમેદવાર', 'પાનનાં બીડાં', 'સોયદોરો', 'ટાઈમટેબલ', વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.
તેમને ૧૯૪૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને 'જ્યોતીન્દ્ર દવે પારિતોષિક' અપર્ણ થાય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article જ્યોતીન્દ્ર દવે, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.