મૌલાના મુહમ્મદ ઝકરિયા કાંધલવી ઇસ્લામ ધર્મના સૂફી સંપ્રદાય (તસવ્વુફ)માંની ચિશ્તી સાબરી ઈમ્દાદી પરંપરાનાં ધર્મગુરુ હતા.
તેમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૯૮ (૧૧ રમઝાન, ૧૩૧૫ હિજરી સં.)નાં રોજ હાલના ઉત્તર પ્રદેશના કાંધલા ખાતે થયેલો. તેમનો જન્મ ઇસ્લામિક વિદ્વાનોનાં એવા કુટુંબમાં થયેલો જેનાં પૂર્વજોનાં મૂળ પયગંબર મુહમ્મદનાં સાથી અબુ બક્ર અસ-સિદ્દિક સાથે જોડાયેલા છે. તેઓ સુન્ની દેવબંદી હનફી પંથનાં અનુયાયી હતા. દેવબંદી ઉલેમાઓ તથા તબ્લીગ જમાતની સેવામાં તેઓનું ઘણું મોટું યોગદાન છે. તેઓ વિદ્વાન આલિમ (શિક્ષક) હતા અને હદીસ વિદ્યા (ઇસ્લામ ધર્મનાં ધર્મ પુસ્તકોનું જ્ઞાન)માં પારંગત હતા. તેમણે ભારત ઉપરાંત અરબસ્તાનના અનેક લોકોને ધાર્મિક શિક્ષણ આપ્યું હતું.
મુહમ્મદ ઝકરિયા કાંધલવી | |
---|---|
જન્મની વિગત | મુહમ્મદ ઝકરિયા ૨ ફેબ્રુઆરી ૧૮૯૮ કાંધલા, ઉત્તર-પશ્ચિમ પ્રાંત, બ્રિટિશ ભારત (હાલ ઉત્તર પ્રદેશ) |
મૃત્યુની વિગત | ૨૪ મે ૧૯૮૨ મદીના, સાઉદી અરેબિયા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરીકતા | ભારતીય સાઉદી અરેબિયન |
અભ્યાસ | મદરેસામાં ધાર્મિક શિક્ષણ |
શિક્ષણ સંસ્થા | મઝાહિરુલ ઉલૂમ મદરેસા, સહારનપુર |
વ્યવસાય | વિદ્વાન આલિમ, સૂફી પરંપરાનાં ધર્મગુરુ |
ખિતાબ | શેખ અલ-હદિસ કુત્બ અલ-અક્તાબ બરકત અલ-અસર |
ધર્મ | સુન્ની, ઇસ્લામ |
જીવનસાથી | ૨ પત્ની (પ્રથમ પત્નીના અવસાન બાદ બીજી પત્ની) |
સંતાન | ૧૧ (પ્રથમ પત્નીથી ૩ પુત્ર, ૫ પુત્રી બીજી પત્નીથી ૧ પુત્ર, ૨ પુત્રી) |
માતા-પિતા | પિતા- મૌલાના યહ્યા કાંધલવી |
તેઓએ ૮ વર્ષની ઉમર સુધી ગંગોહમાં તેમનાં પિતા મૌલાના યહ્યા કાંધલવી પાસે રહી શિક્ષણ મેળવ્યું પછી મઝાહિરુલ ઉલૂમ મદરેસામાં મૌલાના ખલીલ અહમદ સહારનપુરી પાસેથી શિક્ષણ મેળવ્યું. તે ઉપરાંત મૌલાના ઇલ્યાસ, મૌલાના ઝફર અહમદ ઉસ્માની અને મૌલાના અબ્દુલ લતીફ પાસેથી પણ ધાર્મિક શિક્ષણ મેળવ્યું. ત્યાર પછી ૧૯ વર્ષની ઉમરથી તેમણે તાલીમી સેવા (તદરીસ) આપવાની, શિક્ષણકાર્યની, શરૂઆત કરી અને ૨૬ વર્ષની ઉમરે બુખારી શરીફ ભણાવવાની શરૂ કરી.
તેઓએ વિવિધ વિષયો પર લેખનકાર્ય પણ કરેલું છે, તેમણે ૧૦૩ પુસ્તકો લખ્યા. તેમનું પ્રથમ પુસ્તક અલ્ફિયા ઈબ્ન મલિક નામનું ત્રણ ભાગમાં લખાયેલું છે જે તેમણે ૧૩ વર્ષની ઉમરે લખેલું. એમનાં ફદાઇલ એ કૂરાન નામક પુસ્તકનો ૧૧ ભાષાઓમાં અનુવાદ થયેલો છે તેમ જ, ફદાઇલ એ રમઝાનનો ૧૨ અને ફદાઈલ એ સલાહનો ૧૫ ભાષાઓમાં અનુવાદ થયેલો છે.
૧૯૭૩માં તેઓ સાઉદી અરેબિયાનાં મદીનામાં સ્થાઈ થયેલા જ્યાં સાઉદી અરેબિયાના શાસક શાહ ફૈઝલે તેમનું વિશેષ સન્માન કર્યુ અને ત્યાંની નાગરીકતા આપી. ૨૪ મે ૧૯૮૨ નાં રોજ મદીના ખાતે જ, શ્વાસની ગંભીર તકલીફને કારણે તેમનું અવસાન થયું. તેમને મદીનાના કબ્રસ્તાન જન્નતુલ બકીમાં દફનાવવામાં આવેલા. મુહમ્મદ ઝકરીયાની ઈચ્છા હતી કે તેઓને પયગંબરનાં કુટુંબીઓની કબર (અહલ અલ-બયત) પાસે દફનાવવામાં આવે, તેમની ઈચ્છાપૂર્તિ માટે તેમની કબર ત્યાં નજીક ખોદવામાં આવેલી.
This article uses material from the Wikipedia ગુજરાતી article મુહમ્મદ ઝકરિયા કાંધલવી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.