ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
ગરબા | |
---|---|
ઉજવવામાં આવે છે | ગુજરાતના લોકો |
પ્રકાર | ભક્તિનો તહેવાર |
ઉજવણીઓ | ગુજરાત, ભારત |
શરૂઆત | આસો માસ, શુક્લ પક્ષ એકમ |
અંત | આસો માસ, શુક્લ પક્ષ નોમ |
આવૃત્તિ | વાર્ષિક |
નૃત્ય ઉપરાંત નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓને પણ ગરબા કહે છે. નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે - કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે:
નાદ અને નર્તન આદિમાનવના આંતરિક આવેગ અને ઉર્મિઓની અભિવ્યક્તિ છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.
’ગરબો’ શબ્દની વ્યુત્પતિ માટે આપણા વિદ્વાનો હજુ સુધી પૂરેપૂરા એકમત નથી પરંતુ दीपगर्भो घटः / दीपगर्भो / गभो / गरभो / गरबो (ગરબો) આ ક્રમે ગરબો શબ્દ વ્યુત્પન્ન થયો હોવાનું જણાય છે.
ગરબાને તાલરાસકનાં પ્રકાર તરીકે સ્વીકારતાં શ્રી ગોવર્ધન પંચાલ લખે છે કે, ’ઐતરૈય આરણ્યક પરંપરાના અનુસંધાનરૂપે તાલરાસક તાલ વગાડીને થતો કોઈ નર્તન પ્રકાર ઉષાના સમયમાં પ્રચલિત હોવાનું સમજાય છે. ઉષાનું લાસ્ય તાલરાસક કે ગરબા જેવો કોઈ પ્રકાર તો નહીં હોય ને ? ઈ.સ.ની ૧૩મી સદીના શારદાતનય રાસક ને લાસક પણ કહે છે ને એ રાસક કે લાસક લાસ્ય સાથે સામ્ય ધરાવે છે અથવા તો જો બન્ને સ્વીકારીએ તો ઉષાના લાસ્યને ગરબા જેવા નર્તન પ્રકાર સાથે જોડી શકાય, કારણ કે ઉપર કહેલી ઐતરૈય આરણ્યકની પ્રણાલિકા સ્ત્રીઓના તાલરાસક જેવા પ્રકારનો ઉલ્લેખ તો કરે છે. આમ જોતાં ગરબા જેવા કોઈ પ્રકારની નર્તન પ્રણાલિકા ગુજરાતમાં જ પ્રથમ ઉષા દ્વારા પ્રચારમાં આવી હોય એમ દેખાય છે.’
’ગરબો’ સંજ્ઞાની અર્થછાયાઓ ક્રમશઃ વિસ્તાર પામતી રહી. ’ગરબો લખાય’, ’ગરબો છપાય’, ’ગરબો ગવાય’, ’ગરબે ઘુમાય’, ’ગરબો ખરીદાય’ આવા બધા અર્થો ગરબા શબ્દમાં સમાયેલા છે. નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ઘડામાં દીપ પ્રગટાવીને એની સ્થાપના કરીએ, એ ઘટ તે ’ગરબો’. આ ઘટને મધ્યમાં મૂકીને, એની આસપાસ સ્ત્રીઓ ગોળાકાર ઘૂમે તે નર્તન પ્રકાર પણ ’ગરબો’. પછી આ નર્તન સાથે ગવાતું ગીત પણ ’ગરબો’ સંજ્ઞા પામ્યું અને અંતે તો, મધ્યમાં ગરબાની સ્થાપના ના થઈ હોય તો પણ એ પ્રકારે વર્તુળાકાર થતું સામૂહિક નર્તન અને એની સાથે ગવાતું ગીત ’ગરબો’ તરીકે પ્રચાર પામ્યા.
ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વગેરે પ્રકાર ઉભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયાં ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.
ગરબાનાં બે પ્રકાર છે:
લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે. આ નર્તનમાં સહિયારા સમાનવેગ, સમાન અંગભંગ, સમાનગતી, સમાનસ્ફૂર્તિ, હાથની તાળી અને હાથના હિલ્લોળની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા હોવી જરૂરી છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, સૂર અને તાલની મિલાવટ હોય છે. માત્ર તાલીઓના તાલ આપી સંગીતપૂર્વક પગના ઠેકા સાથે સ્ત્રીઓ-સ્ત્રીઓ, પુરુષો-પુરુષો કે સ્ત્રીઓ-પુરુષો ગોળાકારે સાથે ફરીને રાસ નર્તન કરે તેને તાલીરાસક કે મંડલરાસક કહેવાય છે. જે હલ્લીસકનૃત્તનો એક પ્રકાર છે. ’અભિનય દર્પણ’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને શીખવ્યું અને દ્વારકાની ગોપીઓ એ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું. આ રીતે પરંપરાગત રીતે લાસ્યનૃત્ય લોકજીવનમાં પ્રતિષ્ઠિત બન્યું. એક અનુમાન પ્રમાણે શ્રી કૃષ્ણના હલ્લીસકનૃત્તના પદગતિ અને હલનચલનમાં ઉષાએ હાથતાળીનું નર્તન ઉમેર્યું તેમજ પુરુષોને તેમાંથી દૂર કર્યા કારણ એકલી સ્ત્રીઓ હશે તો લાસ્ય સવિશેષ લલિત, લાવણ્યમય અને સૌદર્યયુક્ત પ્રસ્તુત થશે. તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકાર તાલી રાસના મુખ્ય અંગો ગણી શકાય.
ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના ને સંઘોર્મિના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી (ન હોય તો પણ ચાલે). નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. બબ્બે, ચાર ચારની ગુંથણી કે અર્ધવર્તુળમાં રચાતાં રચાતાં ગોળાકાર થાય છે. આ લોકનર્તન ગોળાકારનું સ્વરૂપ જાળવી રાખતાં રાખતાં તેની પ્રવેશ અને પ્રસ્થાનની રચનાઓ અનેકવિધ તાલ, શબ્દો અને તેમાંથી ઊઠતા વિચારો દ્વારા સર્જતું રહે છે. આવું પ્રવેશ અને પ્રસ્થાનનું નાવિન્ય વિશ્વનાં લોકનર્તનમાં અનન્ય છે. પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. આ ઉપરાંત માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું નર્તન જોવા મળે છે. તાલીરાસમાં ગવાતા વૃંદગીતોમાં, ગરબે ઘૂમતી વખતે, એકનું એક ગીત પ્રથમ વિલંબિત પછી મધ્ય અને ત્યાર પછી દ્રુતલયમાં સામાન્ય રીતે લેવાય છે.
પ્રાચીન લોકકૃતિ, લોકગીત અથવા દયારામ સુધીના કવિઓની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં થાય છે. વિષયવસ્તુ વિશેષતઃ ભક્તિપ્રધાન હોય છે. શક્તિની આરાધના, શ્રી કૃષ્ણની લીલાઓ તેમજ લોકજીવનને સ્પર્શતા વિષયોના સાધારણ લોકસમુદાય સહજતાથી ગાઈ શકે તેવા ગેયતા પ્રધાન લોકઢાળના વૃંદગીતો જ હોય છે. મહાકાળી, અંબા, બહુચર, ચાચર, આશાપુરા વગેરે અસંખ્ય દેવીઓનું સ્મરણ કરીને ગરબો ગવાય છે.
ઈ.સ. ૧૭૨૧માં ભાણદાસજીએ રચેલી ગરબી;
અને ઈ.સ. ૧૭૮૦માં વલ્લભ મેવાડાએ રચેલો ગરબો;
આ પહેલાંનું, આ વિશેનું, અન્ય સાહિત્ય હજુ મળેલું નથી. વલ્લભ મેવાડો પ્રાચીન ગરબાઓના પર્યાયરૂપ ગણાય છે. તેના ગરબા (ગરબારૂપે લખાણ)નું કેન્દ્ર માતાની પ્રગટ ભક્તિ છે. "મા તું પાવાની પટરાણી.." એ તેનો અતિપ્રસિદ્ધ પ્રાચીન ગરબો છે.આ ઉપરાંત કડીના સાંકળેશ્વર, જુનાગઢના દીવાન રણછોડજી, શામળ, પ્રેમાનંદ, દયારામ, પ્રીતમ વગેરે સર્જકોએ ગુજરાતીમાં ગરબા અને ગરબીઓ આપ્યા છે.ગરબાની મધ્યકાલિન રચનાઓ સુધી ગરબામાં ભક્તિ કે ધાર્મિક ઓચ્છવોનું પ્રતિબિંબ જોવા મળે છે. પછી ધીમે ધીમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો. લોકગીતો અને લોકસાહિત્ય તેમાં ભળતા ગયાં.
મુખ્યત્વે લોકસંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંદી, કેરવા, ઘુમાળીને હીંચ વિશેષ લેવાય છે. ત્રણ-ચાર માત્રાના પણ લોકતાલો હોય છે. રાગોમાં સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંડ, કાફી, કાલીંગડા, દેશ, ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. રાગની સંપૂર્ણતા નહિવત્ હોય છે. આ પ્રકારના પ્રાચીન ગરબાને અનુરૂપ સાદા લોકતાલ, લોકરાગ, લોકઢાળ હોય છે. અને એવાં જ સાદા લોકવાદ્યો હોય છે.
ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. તે ગુજરાતી સંસ્કૃતી સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બીન-ગુજરાતીઓ (અને ક્યારેક ક્યારેક ગુજરાતીઓ પણ) ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબા એવું અર્થઘટન આપોઆપ કરી લે છે. ગુજરાતભરમાં માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ગરબા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.