સત્યવતી (સંસ્કૃત: सत्यवती) મહાભારતના મહત્વપૂર્ણ પાત્રોમાંનુ એક પાત્ર છે.
તેમનો વિવાહ હસ્તિનાપુર નરેશ રાજા શંતનુ સાથે થયો હતો. વિચિત્રવિર્ય અને ચિત્રાંગદ તેમના પુત્રો હતા. તેમની કુખે મહર્ષિ વેદવ્યાસનો જન્મ પરાશર મુનિથી, લગ્ન પૂર્વે થયો હતો.
પ્રાચીન કાળમાં સુધન્વા નામના એક રાજા હતા. એક દિવસ તેઓ વનમાં શિકાર કરવા માટે ગયા. તેમના ગયા બાદ તેમની પત્ની રજસ્વલા થઈ અને તેણે આ સમાચાર પોતાના પાળેલા એક શિકારી પક્ષી દ્વારા રાજાને મોકલ્યા. સમાચાર મળતા મહારાજ સુધન્વાએ તેમનું વીર્ય એક પાત્રમાં કાઢી તે પક્ષી સાથે રાણી માટે મોકલ્યું. પક્ષી ને માર્ગમાં એક બીજા શિકારી પક્ષી સાથે ભેટો થયો અને તેમના વચ્ચે યુદ્ધ જામ્યું. યુદ્ધ દરમિયાન વીર્ય ભરેલુ પાત્ર છૂટીને યમુના નદીમાં પડ્યું. યમુનામાં બ્રહ્માજીના શ્રાપથી એક અપ્સરા માછલી બનીને રહેતી હતી. આ માછલી રૂપી અપ્સરા વહેતું વીર્ય ગળી ગઈ અને તેના પ્રભાવથી તે ગર્ભવતી થઈ. ગર્ભાધાન પૂર્ણ થવાનો જ હતો કે એક નિષાદે તે માછલીને પોતાની જાળમાં ફસાવી લીધી. નિષાદે જ્યારે માછલી ચીરી, ત્યારે તેના ગર્ભમાંથી એક બાળક તથા એક બાળકી નિકળ્યાં. નિષાદ આ બાળકોને લઈને મહારાજ સુધન્વા પાસે ગયો. મહારાજ સુધન્વાને પુત્ર ન હોવાથી તેમણે બાળકને પોતાની પાસે રાખી લીધો અને તેનું નામ મત્યરાજ રાખ્યું. બાળકી નિષાદ પાસે જ રહી અને તેનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું કારણકે, તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી. આ ઉપરાંત તેની વાસ એક યોજન (અંદાજે તેર કિલોમીટર) સુધી ફેલાતી માટે તેનું નામ યોજનગંધા પણ પ્રસિદ્ધ છે. આ જ કન્યાને આપણે સત્યવતીના નામથી પણ ઓળખીએ છીએ તે મોટી થઈને નાવિકા બની.
એકવાર ભગવત્ પ્રેરણાથી પરાશર મુનિ સત્યવતીની હોડીમાં પ્રગટ થયા અને બોલ્યા, "દેવી! હું તમારી સાથે એક વિશેષ બાળકની પ્રાપ્તિ માટે સહવાસ કરવા માંગું છું." સત્યવતીએ કહ્યું, "હે મુનિવર! તમે તો બ્રહ્મજ્ઞાની છો અને હું તો એક સામાન્ય નિષાદ કન્યા છું, આપણો સહવાસ સંભવ નથી." ત્યારે પરાશર મુનિ બોલ્યા, "હે કન્યા, તુ ચિંતા કર નહી, પ્રસૂતિ બાદ પણ તું અક્ષતયોનિ જ રહીશ અને એક અનુપમ બાળકને જન્મ આપીશ." એટલું કહી તેમણે સત્યવતીના ઉદરમાં ગર્ભ રોપ્યો અને આશીર્વાદ આપ્યા કે તેના શરીરમાંથી નીકળતી વાસ સુગંધમાં પરિવર્તિત થઈ જશે.
સમય જતાં વેદ-વેદાંગમાં પારંગત એક પુત્ર જન્મ્યા અને બોલ્યા, "હે માતા! તું જ્યારે વિપત્તિમાં હો ત્યારે મને યાદ કરજે, હું પ્રગટ થઈ જઈશ." એટલું કહી તેઓ દ્વૈપાયન દ્વિપ પર તપસ્યા કરવા ચાલ્યા ગયા. દ્વૈપાયન દ્વિપ પર તપસ્યા કરતાં-કરતાં તેમનું શરીર કાળુ પડી ગયું તેથી તેઓ કૃષ્ણ દ્વૈપાયનના નામે ઓળખાવા લાગ્યા. આગળ જતાં તેઓએ વેદનું વિભાજન કર્યું તેથી તેઓ વેદવ્યાસના (સંસ્કૃતમાં વ્યાસનો અર્થ વિભાજન કરવું તેવો થાય છે, તે પરથી વ્યાસ શબ્દ આવ્યો છે) પ્રખ્યાત થયા.
હસ્તિનાપુર ના રાજા પ્રતીપ એક વખત ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના રુપ થી મોહિત થઇને દેવી ગંગા તેમના જમણા સાથળ પર આવી ને બેસી ગયા. રાજાને આશ્ચર્ય થયું ત્યારે ગંગા બોલ્યા, "હે રાજન! હું જાન્હું ઋષિની પુત્રી ગંગા છું અને આપની સાથે વિવાહ કરવા માંગુ છું". મહારાજા પ્રતીપ બોલ્યા, "હે ગંગા! તમે મારા જમણા સાથળ પર બેઠા છો અને પત્ની તો વામભાગ (ડાબી બાજુ) પર હોય. આથી હું તમને પુત્રવધૂ ના રુપ મા સ્વિકારુ છું". આ સાંભલી ગંગા ત્યા થી ચાલ્યા ગયા.
જ્યારે મહારાજ પ્રતીપે પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપ કર્યું ત્યારે તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ શંતનુ રાખવામા આવ્યું. શંતનુ ને ગંગા સાથે વિવાહ કરવાની આજ્ઞા આપી તેઓ સ્વર્ગ સિધાવ્યા. પિતાનો આદેશ માની શંતનુગંગા પાસે વિવાહનો પ્રસ્તાવ લઇ ને ગયા. ગંગા બોલ્યા, "રાજન! હું તમારી સાથે એક જ શરતે વિવાહ કરું કે જો આપ મને વચન આપો કે તમે મારા કોઇ પણ કાર્યમા હસ્તક્ષેપ નહીં કરો અને હું જે કંઇ કરુ તમે મને કોઇ વખત પ્રશ્ન નહી કરો". શંતનુ એ ગંગા ને વચન આપી તેમની સાથે વિવાહ કર્યો. ગંગાથી રાજા શંતનુ ને આઠ પુત્રો થયા જેમા થી સાત ને ગંગા એ એક પછી એક ગંગા નદી મા વહેવડાવી દિધા. વચનબદ્ધ હોવાને લીધે શંતનુ કંઇ બોલી શકતા નહીં. પરંતુ જ્યારે ગંગા પોતાના આઠમા પુત્રને વહેડાવવા જઇ રહ્યા હતા ત્યારે શંતનુ થી સહન નો થયુ અને ગંગાને આમ કરતા અટકાવ્યા અને કારણ પુછી બેઠા. ગંગા બોલ્યા કે હે રાજન તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે માટે હું તમારો ત્યાગ કરી ને જતી રહીશ. આમ કહી તેઓ પુત્રની સાથે અંતરધ્યાન થઇ ગયા. ત્યાર પછી મહારાજ શંતનુ એ સૉળ વર્ષ બ્રમ્હચર્ય મા વ્યતિત કર્યા. એક વખત શંતનુ ગંગા કિનારે જઇ ગંગાને બોલ્યા: "હે ગંગા! આજે મને મારા પુત્રને જોવાની પ્રબળ ઇચ્છા થઇ છે જેને તમે તમારી સાથે લઇ ગયા હતા". ગંગા એ પુત્ર સાથે પ્રગટ થઇ ને બોલ્યા, "હે રાજન! આ તમારા મહાન પ્રતાપિ પુત્ર દેવવ્રત તમને સોપુ છું. આ પરાક્રમી હોવા ઉપરાંત પરમ વિદ્વાન પણ છે. અસ્ત્ર વિદ્યામાં તે પરશુરામ જેવો છે." મહારાજ શંતનુ દેવવ્રત જેવા પુત્રને મેળવી ને ધન્ય થઇ ગયા અને હસ્તિનાપુર આવી દેવવ્રતને યુવરાજ બનાવ્યો.
આ સમય દરમિયાન શંતનુ નાવિકની કન્યા સત્યવતીના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકિ કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શંતનુ સાથે પરણાવશે.
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહિં. પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યુંકે તેઓ રાજપદ જતુ કરવા તૈયાર છે. આમ છતા જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢિ પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી. આવી કઠોર પ્રતિજ્ઞા કરવાને લીધે તેઓ દેવવ્રત ઉપરાંત ભીષ્મના નામે ખ્યાતિ પામ્યા. પુત્રના આવા મહાન બલીદાનથી શંતનુ ખુબ પ્રભાવિત થયા અને ભિષ્મને ઇચ્છામૃત્યુ નુ વરદાન આપ્યું.
સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય નામના બે પુત્રો થયા. મહારાજ શંતનુ નો સ્વર્ગવાસ ચિત્રાંગદ અને વિચિત્રવિર્યના બાલ્યકાળ દરમિયાન જ થઇ ગયો હોવાથી તેમનો ઉછેર ભીષ્મએ કર્યો. ચિત્રાંગદ શંતનુ બાદ હસ્તિનાપુરના રાજા બન્યા. ચિત્રાંગદ નામે ગંધર્વ રાજા પણ હતો જેને હસ્તિનાપુરના રાજા ચિત્રાંગદથી ઇર્ષા થઇ અને તેણે ત્રણ વર્ષના યુદ્ધ બાદ તેનો વધ કર્યો. ચિત્રાંગદના મૃત્યુ બાદ વિચિત્રવિર્ય હસ્તિનાપુરના રાજા બન્યા. થોડા વર્ષો બાદ તેઓ જ્યારે લગ્ન કરવાની વય ના થયા તે સમય દરમિયાન કાશીના રાજાએ તેમની ત્રણ પુત્રીઓ માટે સ્વયંવરનુ આયોજન કર્યું. તેમની કાચિ ઉંમરને ધ્યાનમા લઇ ભીષ્મ પોતે જઇને સ્વયંવર જીતી કાશી નરેશની ત્રણે પુત્રીઓ; અંબા, અંબિકા તથા અંબાલિકાને વિચિત્રવિર્ય સાથે પરણાવવા હસ્તિનાપુર લઇ આવ્યા. સૌથી મોટી અંબા પહેલેથી જ મનોમન શાલ્વરાજને વરી ચુકી હોવાથી ફક્ત અંબીકા તથા અંબાલીકા ને વિચિત્રવિર્ય સાથે પરણાવવામા આવી. આમ અંબા પોતાના પ્રેમી રાજા શાલ્વ પાસે જ્યારે પાછી ફરી ત્યારે તેણે તેનો અસ્વિકાર કર્યો કારણકે તે સ્વયંવરમાં ભીષ્મ દ્વારા પરાજિત થયો હતો. આવી પરીસ્થિતિમા અંબા ફરીથી પાછી ફરી અને ભીષ્મ પાસે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા.
અંબા ભીષ્મ પર ક્રોધિત થઇ ઋષિ પરશુરામ પાસે પોતાની વ્યથા કહીં. આથી પરશુરામજી એ ભીષ્મને યુદ્ધ માટે લલકાર્યા ત્યાર બાદ ખુબ ભયાનક સંગ્રામ ૨૩ દિવસ સુધિ ખેલાણો. બન્ને યોદ્ધા પરમ પ્રતાપિ હોવા ઉપરાંત, પરશુરામજી ચિરંજીવિ તથા ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન હોવાથી હાર-જીતનો ફેસલો ન થઇ શક્યો. આમ, અંબા નિરાશ થઇ, આવતા જન્મમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા સાથે વનમાં તપ કરવા ચાલી ગઇ. તેનો પુનર્જન્મ દ્રુપદ રાજાને ત્યાં શિખંડી તરીકે થયો જે ભીષ્મના મૃત્યુનુ કારણ બન્યો.
લગ્ન પછી થોડા સમયમા વિચિત્રવિર્યને ક્ષયનો રોગ થવાથી નિ:સંતાન મૃત્યુ પામ્યા. અંબીકા તથા અંબાલીકાથી રાજ્યને ઉત્તરાધિકારી આપવા માટે સત્યવતીએ ભીષ્મને વિનવ્યા પરંતુ ભીષ્મ પોતાની બ્રમ્હચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. ત્યાર બાદ સત્યવતીએ તેમના પહેલા પુત્ર ઋષિ વેદવ્યાસને અંબીકા તથા અંબાલીકાથી સંતાનોત્પત્તિ માટે આજ્ઞા આપી. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબિકાથી આંખો મીચાઇ ગઇ, આમ તે અંધ ધૃતરાષ્ટ્રની માતા બની. ત્યાર પછી, સત્યવતીએ અંબાલિકાને આંખો ખુલ્લી રાખવા ચેતવી હતી અન્યથા તે અંધ બાળકને જન્મ આપત. ઋષિ વેદવ્યાસનું તેજ તથા તેમના ભયંકર રુપને જોતાજ અંબાલિકાએ આંખતો મીચી નહીં પરંતુ તેનો ચહેરો ફિક્કો પડી ગયો, આમ તે રોગીષ્ઠ પાંડુની માતા બની. આ સમાચાર સાંભળી સત્યવતી વ્યથીત થયા અને ફરીથી તેણે ઋષિ વેદવ્યાસને અંબિકા પાસે જવા કહ્યું. પરંતુ અંબિકાએ સ્વયં ન જતા પોતાની દાસીને ઋષિ પાસે મોકલી. અને આમ દાસીથી પરમ વિદ્વાન વિદુરનો જન્મ થયો.
This article uses material from the Wikipedia ગુજરાતી article સત્યવતી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.