જન્મે આઞેજ઼ા ગોઞ્જે બોયાજિઉ (aˈɲɛzə ˈɡɔndʒɛ bɔjaˈdʒiu), મધર ટેરેસા (ઑગસ્ટ ૨૬, ૧૯૧૦–સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કૅથલિક નન હતાં.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
1950માં તેમણે ભારતના કોલકતા (કલકત્તા)માં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી.સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
મધર ટેરેસા | |
---|---|
જન્મ | ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ |
મૃત્યુ | ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ કોલકાતા |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://motherteresa.org |
સહી | |
પદની વિગત | superior general |
1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના બેલી/વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં અને તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર તથા માલ્કોમ મુગગ્રેરીજ કૃત પુસ્તક, સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ , પણ લખાઈ ચૂકયું હતું. 1979માં તેમને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે 1980માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન, ભારત રત્ન, દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. મધર ટેરેસાની ચૅરિટિ મિશનરિઝ વિસ્તરતી રહી. તેમનાં મૃત્યુ સમયે 123 દેશોમાં આવાં 610 મિશન ચાલતાં હતાં, જેમાં એચઆઈવી/એડ્સ (HIV/AIDS), રક્તપિત અને ક્ષયના રોગીઓ માટે રુગ્ણાલય અને ઘર, અસહાયો/ગરીબો માટેનું રસોડું, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અનાથાલયો અને શાળાઓનો સમાવેશ થતો હતો.
અનેક વ્યકતીઓ, સરકારો અને સંગઠનોએ તેમની પ્રશંસા કરી હતી; અલબત્ત તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમનું ગર્ભપાત વિરોધી તીવ્ર વલણ, ગરીબાઈમાં આધ્યાત્મિક સારાપણું રહેલું છે તેવી માન્યતા અને મરણમથારી હોય તેવા લોકોના ધર્મરૂપાંતરણ કરાવતાં હોવાનો આક્ષેપ સહિત તેમનાં વટલાવ-કેન્દ્રી કાર્યો સામે ક્રિસ્ટોફર હિચેન્સ, મિશેલ પારેન્ટી, અરૂપ ચેર્ટજી, વિશ્વ હિન્દુ પરિષદ જેવાં વિવિધ વ્યકિતઓ અને સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનાં રુગ્ણાલયોમાં રાખવામાં આવતી તબીબી કાળજીનાં ધોરણો અંગે કેટલીક મેડિકલ જર્નલોમાં વાંધો ઉઠાવાયો હતો તેમ જ દાનમાં અપાયેલાં નાણાંનો ઉપયોગ અપારદર્શક રીતે થતો હોવાની બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
તેમનાં મૃત્યુ બાદ, પોપ જહોન પોલ II એ તેમને બ્લેસિડ ટેરેસા ઓફ કલકત્તા (કલકત્તાની આશીર્વાદિત ટેરેસા)નું બિરુદ આપ્યું હતું.
આગ્નેસ ગોનએક્સહે બોજાક્ષહિયુ (આલ્બેનિયનમાં ગોનએક્સહે એટલે "ગુલાબની કળી")નો જન્મ 26 ઑગસ્ટ, 1910ના ઓટ્ટોમાન સામ્રાજય(હવે સ્કોપ્જે, પ્રજાસત્તાક મૅસેડોનિયાની રાજધાની)ના ઉસ્કુબમાં થયો હતો. ભલે તેમનો જન્મ 26મી ઑગસ્ટના થયો હતો પણ તેઓ પોતાનો "સાચો જન્મદિવસ" 27 ઑગસ્ટને ગણાવે છે, એ દિવસે તેમને ધર્મની દીક્ષા આપવામાં આવી હતી. આલ્બેનિયાવાસી શ્કોદેર પરિવાર, નિકોલ અને દ્રના બોજાક્ષહિયુના તેઓ સૌથી નાના સંતાન હતાં. તેમના પિતા આલ્બેનિયન રાજકારણમાં સક્રિય હતા. 1919માં એક રાજકીય સભાને અંતે સ્કોપ્જેને આલ્બેનિયાની બહાર કરી દેવાયું તે પછી તેઓ બીમાર પડ્યા અને આગ્નેઝ માત્ર આઠ વર્ષની હતી ત્યારે અવસાન પામ્યા. તેમના પિતાના અવસાન બાદ, તેમનાં માતાએ તેમને એક રોમન કૅથલિક તરીકે ઉછેર્યાં. જોન ગ્રાફ કલુકાસે લખેલી તેમની જીવનકથા અનુસાર, બાળપણમાં અંગેનીઝ મિશનરીઓના જીવન અને તેમનાં સેવાકાર્યોથી ખૂબ પ્રભાવિત હતી અને 12 વર્ષની ઉંમર સુધીમાં તો તેમને ખાતરી થઈ ગઈ હતી કે પોતે પોતાની જાતને ધાર્મિક જીવન પ્રત્યે જ સમર્પિત કરવી જોઈએ. 18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડ્યું. ત્યારબાદ તેઓ કદી પોતાની માતા કે બહેનને જોવા-મળવા માટે પાછા ફર્યાં નહીં.
શરૂઆતમાં આગ્નેસ આર્યલેન્ડના રથફર્નહામમાં આવેલા લોરેટો મઠમાં ગઈ અને ત્યાં લોરેટોની સિસ્ટર્સ ભારતનાં શાળાનાં બાળકોને ભણાવવા જે ભાષાનો ઉપયોગ કરતી હતી તે અંગ્રેજી ભાષા શીખવા માંડી. 1929માં તેઓ ભારત આવ્યાં અને દીક્ષાર્થી તરીકેનો પોતાનો અજમાયશી કાળ હિમાલય પર્વતમાળા નજીકના દાર્જિંલિંગમાં શરૂ કર્યો. મે 24, 1931ના તેમણે નન તરીકે પ્રથમ ધાર્મિક શપથ લીધા. મિશનરીઓના આશ્રયદાતા/પ્રોત્સાહક સંત થેરેસે દે લિસિઅકસના નામ પરથી તેમણે એ વખતે પોતાના માટે ટેરેસા નામ પસંદ કર્યું. પૂર્વ કલકત્તાની લોરેટો કોન્વેન્ટ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતાં હતાં ત્યારે મે 14, 1937ના તેમણે વિધિપૂર્વકના શપથ લીધાં.
ટેરેસાને શાળામાં ભણાવવું ગમતું હતું, છતાં કલકત્તામાં તેમની આજુબાજુ પથરાયેલી ગરીબીથી તેઓ વધુ ને વધુ વિક્ષુબ્ધ થતાં જતાં હતાં. 1943ની અછતના પગલે પગલે શહેરમાં દુઃખ અને મૃત્યુના ઓળા ઊતરી આવ્યા; અને ઑગસ્ટ 1946માં ફાટી નીકળેલા હિન્દુ/મુસ્લિમ રમખાણોએ શહેરને નિરાશા અને ભયમાં જકડી લીધું.
સપ્ટેમ્બર 10, 1946ના પોતાનો વાર્ષિક એકાંત સમય ગાળવા માટે કલકત્તાથી દાર્જિંલિંગની લોરેટો કોન્વેન્ટ જતી વખતે ટેરેસાને જે અનુભવ થયો તેને તેમણે પાછળથી "અંતરાત્માનો અવાજ" તરીકે વર્ણવ્યો હતો. "મારે કોન્વેન્ટ છોડવાની હતી અને ગરીબો વચ્ચે રહીને તેમને મદદ કરવાની હતી. આ સ્પષ્ટ આદેશ હતો. જો હું એને માનવામાં નિષ્ફળ નીવડું તો મેં મારો ધર્મ ચૂકયો કહેવાય." 1948માં તેમણે ગરીબો સાથેનું પોતાનું મિશનરી કાર્ય શરૂ કર્યુ તેમણે લોરેટોના પરંપરાગત પોશાકના સ્થાને ભૂરી કિનારવાળી સાદી સફેદ સુતરાઉ સાડી અપનાવી તથા ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યુ અને ઝૂંપડપટ્ટીમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે મોતીજહિલમાં એક શાળા શરૂ કરી; પરંતુ થોડા જ સમયમાં તેઓ વંચિતો/નિરાધારો અને ભૂખે મરતા લોકોની સંભાળમાં લાગી ગયાં. તેમણે હાથ ધરેલી સેવા અને પ્રયત્નોએ ખૂબ ઝડપથી ભારતીય અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું અને વડાપ્રધાન સુદ્ધાંએ તેમના કાર્ય માટે પ્રશંસા વ્યકત કરી.
પોતાનું શરૂઆતનું વર્ષ મુશ્કેલીઓ/જોખમોથી ભરપૂર રહ્યું હતું તેમ ટેરેસાએ પોતાની રોજનીશીમાં લખ્યું છે. તેમની પાસે ત્યારે આવકનો કોઈ સ્રોત નહોતો અને એટલે તેમણે ખોરાક અને અન્ય આવશ્યકતાઓ માટે ભીખનો આશરો લેવો પડ્યો હતો. શરૂઆતના આ મહિનાઓમાં ટેરેસાએ શંકા, એકલતા અને પોતાના કોન્વેન્ટના આરામદાયક જીવનમાં પાછા ફરી જવાની લાલચ અનુભવ્યાં હતાં. તેમણે પોતાની રોજનીશીમાં લખ્યું છેઃ અહીં વધુ વાંચો
Our Lord wants me to be a free nun covered with the poverty of the cross. Today I learned a good lesson. The poverty of the poor must be so hard for them. While looking for a home I walked and walked till my arms and legs ached. I thought how much they must ache in body and soul, looking for a home, food and health. Then the comfort of Loreto [her former order] came to tempt me. 'You have only to say the word and all that will be yours again,' the Tempter kept on saying ... Of free choice, my God, and out of love for you, I desire to remain and do whatever be your Holy will in my regard. I did not let a single tear come.
ઑકટોબર 7, 1950ના ટેરેસાને વેટિકન તરફથી બિશપ સંબંધી ઉપાસકમંડળ શરૂ કરવાની પરવાનગી મળી, જે ચૅરિટિ મિશનરિઝ બન્યાં. તેમના શબ્દોમાં તેમનું મિશન હતું, "આખા સમાજમાં જે પણ ભૂખ્યા છે, નાગાં છે, ઘરવિહોણાં છે, અપંગ છે, આંધળા છે, રક્તપિતિયા છે, એવા તમામ લોકો જે પોતાને ન જોઈતા, પ્રેમવિહોણાં, સારસંભાળ-કાળજીવિહોણાં અનુભવે છે, એવા લોકો જે સમાજ પર ભારરૂપ બની ગયા છે અને જેમને દરેક જણ ટાળે છે" તેમની સંભાળ રાખવાનું. શરૂઆત થઈ કલકત્તામાં 13 સભ્યોની નાની સંખ્યાથી; આજે તેમાં 4,000થી વધુ નન છે, જે વિશ્વભરમાં અનાથાલયો, એડ્સના રુગ્ણાલયો અને અન્ય ચૅરિટિ કેન્દ્રો ચલાવે છે અને શરણાર્થીઓ, આંધળા, અશકત, વૃદ્ધ, દારૂડિયાઓ, ગરીબો અને ઘરવિહોણાં લોકો તથા પૂર, રોગચાળા અને અછતગ્રસ્તોની સારસંભાળ રાખે છે.
1952માં કલકત્તા શહેર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જગ્યા પર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણપથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું હતું. ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેનું ઘર- કાલિઘાટ, એટલે કે ગરીબો માટેનું નિઃશુલ્ક રુગ્ણાલય શરૂ કર્યું. તેમણે એને કાલિઘાટ, પવિત્ર હૃદય(નિર્મળ હૃદય)નું ઘર -એવું નવું નામ આપ્યું. અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પણ તેમને પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર ગરિમાપૂર્વક મરવાની તક પૂરી પાડવામાં આવતી; મુસ્લિમોને કુરાન વાંચી સંભળાવાતું, હિન્દુઓને ગંગાજળ આપવામાં આવતું અને કૅથલિકને અંતિમવિધિ મળતી. "એક સુંદર મૃત્યુ," તે કહેતાં, "જે લોકો પ્રાણીઓની જેમ જીવ્યા તેમના માટે દેવદૂતોની જેમ- પ્રેમભર્યા અને તેઓની જરૂર છે એવા વાતાવરણમાં મૃત્યુ." થોડા વખતમાં મધર ટેરેસાએ હાંસેન રોગના, પ્રચલિત ભાષામાં રક્તપિતના નામે ઓળખાતા રોગથી પીડાતા લોકો માટે એક ઘર ખોલ્યું, અને આ રુગ્ણાલયને શાંતિનગર (શાંતિનું શહેર) નામ આપ્યું. ચૅરિટિના મિશનરીઓએ આખા કલકત્તામાં કેટલાંક ચાલતાં રક્તપિત દવાખાનાં પણ ઊભાં કર્યાં, જે દવા, પાટાપિંડી અને ખોરાક પૂરો પાડતાં.
જેમ જેમ ચૅરિટિ મિશનરીઓને વધુ ને વધુ સંખ્યામાં ખોવાયેલાં બાળકો મળતાં ગયા તેમ મધર ટેરેસાને તેમના માટે એક ઘર બનાવવાની જરૂરિયાત અનુભવાઈ. 1955માં તેમણે અનાથ અને ઘરવિહોણાં યુવાનો માટે સ્વર્ગસમું નિર્મળ શિશુ ભવન, શુદ્ધ હૃદયનાં બાળકોનું ઘર ખોલ્યું.
સેવાની આ અલખે થોડા જ વખતમાં સ્વયંસેવકો અને ધર્માદા દાન એમ બંનને આકર્ષિત કરવા માંડયા, અને 1960ના દાયકા સુધીમાં તો ભારતભરમાં તેમણે રુગ્ણાલયો, અનાથાલયો અને રક્તપિતના દર્દીઓ માટેનાં ઘરો ખોલ્યાં. ત્યારબાદ આ કાર્યોને મધર ટેરેસાએ આખા વિશ્વમાં વિસ્તાર્યાં. ભારતની બહાર પાંચ સિસ્ટર સાથે આવું પહેલું ઘર 1965માં વેનુઝુએલામાં ખુલ્યું. એ પછી 1968માં રોમ, તાન્ઝાનિયા અને ઓસ્ટ્રિયામાં ખુલ્યાં; અને 1970ના દાયકામાં તો એશિયા, આફ્રિકા, યુરોપ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં આવાં ડઝનબંધ ઘરો અને ફાઉન્ડેશનો ખોલવામાં આવ્યાં. તેમની ફિલસૂફી અને કામ કરવાની રીત અમુક અંશે ટીકાપાત્ર પણ બન્યાં. મધર ટેરેસા સામે તેમના ટીકાખોરોને કેટલા નહિવત્ પુરાવાઓ સાંપડ્યા હતા તેની નોંધ કરીને ડેવિડ સ્કોટે લખ્યું કે મધર ટેરેસાએ ગરીબી હટાવવાનું કામ ઉપાડવાની જગ્યાએ માત્ર લોકોને જીવતાં રાખવા સુધી પોતાને સીમિત બનાવી રાખ્યાં છે. વેદના/પીડા અંગેના તેમના વિચારો માટે પણ તેઓ ટીકાપાત્ર બન્યાં: અલ્બેર્ટા અહેવાલમાં પ્રકાશિત એક લેખ અનુસાર, વેદના લોકોને જિઝસની વધુ સમીપ લાવે છે એવું તેઓ માનતાં હતાં. મૃત્યુશૈયાએ પડેલાઓ માટેના ઘરમાં જીવલેણ રોગથી પીડાતા દર્દીઓની જે રીતે સારસંભાળ લેવાતી હતી તે અંગે પણ મેડિકલ પ્રેસમાં ટીકા થઈ હતી, ખાસ કરીને ધ લેન્સેટ અને બ્રિટિશ મેડિકલ જર્નલ માં ત્યાં હાઈપોડેમિક સોયનો ફેરઉપયોગ થતા હોવાના, તમામ દર્દીઓને નહાવા માટે ઠંડા પાણી અપાતું હોવાની બાબત જેવા ત્યાંના નબળા જીવનધોરણના અને પદ્ધતિસર નિદાનને અશકય બનાવતો ભૌતિકતા-વિરોધી અભિગમ અંગેના અહેવાલ છપાયાં હતાં.
1963માં મિશનરિઝ ઓફ ચૅરિટિ બ્રધર્સની સ્થાપના થઈ અને તેના પગલે 1976માં સિસ્ટર્સની ચિંતનશીલ શાખાની પણ સ્થાપના થઈ. મધર ટેરેસાના સહકાર્યકરો તરીકે સામાન્ય કે પછાત કૅથલિક અને બિનકૅથલિકોની ભરતી કરવામાં આવી અને આમ માંદા અને પીડાતા સહકાર્યકરોએ મળીને સામાન્ય મિશનરિઝ ઑફ ચૅરિટિ શરૂ કરી. અનેક પાદરીઓ તરફથી થતી વિનંતીઓના અનુસંધાનમાં મધર ટેરેસાએ 1981માં પાદરીઓ માટેની એકત્રિત ખ્રિસ્તી ચળવળ (કોર્પસ ખ્રિસ્તી મુવમેન્ટ ફોર પ્રીસ્ટ્સ) પણ શરૂ કરી, 1984માં ફાધર જોસેફ લેંગફોર્ડના સહયોગથી મિશનરિઝ ઓફ ચૅરિટિ ફાધર્સની સ્થાપના કરી, જેથી ચૅરિટિ મિશનરીઓનાં ધ્યેય અને હોદ્દા પર નિમાયેલા પાદરીઓના સ્રોતોનો યોગ્ય સંયોજનમાં ઉપયોગ થઈ શકે. 2007ની સ્થિતિ મુજબ, વિશ્વભરની મિશનરિઝ ઓફ ચૅરિટિમાં આશરે 450 બ્રધર્સ અને 5,000 નન છે, જે કુલ 120 દેશોમાં પથરાયેલા 600 મિશન, શાળાઓ અને આશ્રયસ્થાનોનું સંચાલન સંભાળે છે.
1982માં બૈરુતના ઘેરાની ચરમસીમા પર, મધર ટેરેસાએ ઈઝરાયેલી લશ્કર અને પેલેસ્ટેનિયન ગોરીલ્લાઓ વચ્ચે થયેલા ક્ષણિક શસ્ત્રવિરામના સમયમાં આગળની હરોળમાં એક હોસ્પિટલમાં ફસાયેલા 37 બાળકોને બચાવ્યાં હતાં. રેડ ક્રોસના કાર્યકરોને સાથે લઈને તેમણે યુદ્વ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ઉજ્જડ કરાયેલા હોસ્પિટલમાંથી એ નાનાં દર્દીઓને બહાર લઈ આવ્યાં.
1980ના દાયકામાં જયારે પૂર્વ યુરોપમાં ખુલ્લાપણાનો વાયરો વાયો ત્યારે તેમણે પહેલા એકવાર તેમને નકારી ચૂકેલા સામ્યવાદી દેશોમાં પણ મિશનરિઝ ઓફ ચૅરિટિને વિસ્તારવાના પ્રયાસ કર્યા અને ડઝનબંધ પ્રોજેકટો પર કામ શરૂ કરી દીધું. ગર્ભપાત અને છૂટાછેડા અંગેનાં પોતાનાં દઢ મંતવ્યો સંદર્ભે થયેલી ટીકા સામે તેઓ અણનમ રહ્યાં, અને કહ્યું, "કોઈ ભલે ગમે તે કહે, તમારે તેને સ્મિતસહ સ્વીકારવું જોઈએ અને તમારું કામ કર્યા કરવું જોઈએ."
ઈથોપિયાના ભૂખ્યાઓની, કેમોબિય્લ ખાતેના કિરણોત્સર્ગના પીડિતોની અને અર્મેનિયાના ભૂકંપપીડિતોની સહાય કરવા અને તેમની સારસંભાળ લેવા મધર ટેરેસા પ્રવાસ કરતાં રહ્યાં. 1991માં પહેલીવાર મધર ટેરેસા પોતાના વતન પાછાં ફર્યાં અને ત્યાં તિરાના, આલ્બેનિયામાં મિશનરિઝ ઓફ ચૅરિટિ બ્રધર્સ ખોલ્યું.
1996 સુધીમાં તો તેઓ 100થી વધુ દેશોમાં 517 મિશન ચલાવતાં હતાં. વર્ષો વીતતાં ગયાં તેમ મધર ટેરેસાના મિશનરિઝ ઓફ ચૅરિટિ બારમાંથી હજારો બન્યાં અને વિશ્વભરમાં 450 કેન્દ્રોમાં "ગરીબમાં ગરીબ" લોકોની સેવામાં પરોવાયાં. યુનાઈટેડ સ્ટેટ્સમાં પહેલું મિશનરિઝ ઓફ ચૅરિટિ હોમ દક્ષિણ બ્રોન્કસ, ન્યૂ યોર્કમાં સ્થપાયું; 1984 સુધીમાં તો આ ક્રમ દેશભરમાં 19 આવાં ચૅરિટિમાં પરિણમ્યો.
ધર્માદા દાનમાં મળતા રૂપિયાના ઉપયોગ અંગે પણ ટીકા/નિંદા કરવામાં આવી હતી. ક્રિસ્ટોફર હિચેન્સ અને જર્મન સામયિક સ્ટર્ન ના મત મુજબ મધર ટેરેસા દાનમાં મળતા નાણાનો ઉપયોગ ગરીબી નિર્મૂલન માટે કે પછી પોતાનાં રુગ્ણાલયોની સ્થિતિ સુધારવા માટે નહીં પણ નવી કોન્વેન્ટો અને પોતાનું મિશનરી કાર્ય આગળ ધપાવવા માટે કરતા હતાં.
વધુમાં, અમુક સ્રોતો તરફથી મળતા દાનના સ્વીકાર કરવા બાબતે પણ ટીકા કરવામાં આવી હતી. હેઈતીના નિરંકુશ અને ભ્રષ્ટ ડુવાલિએર પરિવાર પાસેથી મધર ટેરેસાએ દાન સ્વીકાર્યું હતું અને તેમની જાહેરમાં પ્રશંસા પણ કરી હતી. તેમણે કેટિંગ ફાઈવ સ્કેન્ડલ (કેટિંગના પાંચ કૌભાંડ) તરીકે જાણીતી કપટી અને ભ્રષ્ટ યોજનામાં સંડોવાયેલા ચાર્લ્સ કેટિંગ પાસેથી પણ 1.4 મિલિયન ડોલર સ્વીકાર્યા હતા, અને એ વ્યકિતની ધરપકડ પહેલાં અને પછી તેમને ટેકો આપ્યો હતો. લોસ એન્જલસ માટેના નાયબ જિલ્લા એટર્ની પોલ ટુરલેયે મધર ટેરેસાને કેટિંગે જેમને છેતર્યા હતા તે લોકોને, જેમાં એક "ગરીબ સુથાર" પણ હતો, દાનની રકમ પાછી આપી દેવા બાબતે પત્ર લખ્યો હતો. દાનની આ રકમ ગણતરીમાં લેવાઈ નહીં અને ટુરલેયને કોઈ પ્રત્યુત્તર પણ મળ્યો નહીં. મિશનરી ઓફ ચૅરિટીની એક ભૂતપૂર્વ સભ્ય, કોલેટ્ટે લિવમોરે પોતાનાં છૂટા પડવાનાં કારણો પોતાનાં પુસ્તક હોપ એન્ડ્યોર્સઃ લિવિંગ મધર ટેરેસા, લૂઝિંગ ફેઈથ, એન્ડ સર્ચિંગ ફોર મિનિંગ માં વર્ણવ્યાં છે. એક સારા અને હિંમતવાન વ્યકિત હોવા છતાં લિવમોર જેને મધર ટેરેસાનું "વેદનાનું ધર્મશાસ્ત્ર" કહે છે, તે ક્ષતિપૂર્ણ/અપૂર્ણ જણાયું. મધર ટેરેસાએ આમ તો તેમના અનુયાયીઓને પ્રભુનો સંદેશો ધાર્મિક સત્રોને બદલે તેમની વર્તણૂકથી ફેલાવવાની અગત્યતા સમજાવી હતી, છતાં લિવમોરને સંગઠનની અમુક બાબતો તેમની એ શીખ સાથે સુસંગત ન લાગી. તેમણે આપેલાં ઉદાહરણોમાં જયારે જરૂરિયાતમંદ મદદ માટે નિયત સમયને બદલે અયોગ્ય સમયે નનનો સંપર્ક કરે ત્યારે વિના કારણ તેમને મદદ નકારવાની બાબત, જે માંદગીઓ સાથે નને વારંવાર કામ પાર પાડવાનું હોય છે તેના માટે તેને તબીબી તાલીમ લેવા માટે હતોત્સાહ કરવી (પ્રભુ નબળા અને અજ્ઞાની લોકોને શકિત પૂરી પાડે છે એમ કહીને તેને વાજબી ઠેરવવું), અને મિત્રોથી દૂર બદલી કરી દેવી જેવી "અન્યાયી" સજાઓ લાદવી-નો સમાવેશ થાય છે. લિવમોર કહે છે કે ધર્મનિરપેક્ષ પુસ્તકો અને વર્તમાનપત્રો વાંચવા પર પ્રતિબંધ લાદીને તથા સ્વતંત્ર વિચાર અને સમસ્યાનો ઉકેલ શોધવા કરતાં વધુ આજ્ઞાંકિતપણા પર ભાર મૂકીને મિશનરિઝ ઓફ ચૅરિટિ પોતાની તમામ નનને "બાલિશ" રાખે છે.
મધર ટેરેસા જયારે 1983માં પોપ જહોન પોલ બીજાની મુલાકાત લેવા માટે રોમ ગયા હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. 1989માં બીજા હુમલા પછી, તેમને કૃત્રિમ ગતિ-નિર્ધારક (પૅસમેકર) મૂકવામાં આવ્યું હતું. 1991માં તેઓ જયારે મેકિસકોમાં હતાં ત્યારે તેમને ન્યુમોનિયા થયો હતો અને ત્યારબાદ હૃદયની તકલીફ વધી હતી. આ સમયે તેમણે મિશનરિઝ ઓફ ચૅરિટિના પ્રમુખ હોદ્દા પરથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો. પરંતુ સંગઠનની નનોએ ગુપ્ત મતદાન થકી આપેલા મતો અનુસાર તેમનું રાજીનામું નકાર્યું હતું અને તેઓ હોદ્દા પર રહે તે તરફી મતદાન કર્યું હતું. મધર ટેરેસા સંગઠનના પ્રમુખ તરીકે પોતાનું કામ ચાલુ રાખવા સહમત થયાં હતાં.
એપ્રિલ 1996માં, મધર ટેરેસા પડી ગયાં અને તેમનું હાંસડીનું હાડકું તૂટી ગયું. ઑગસ્ટમાં તેમને મેલેરિયા થયો અને તેમના હૃદયના ડાબા પોલાણને નુકસાન થયું. તેમનાં હૃદયની સર્જરી કરવામાં આવી, પરંતુ એટલું તો સ્પષ્ટ હતું કે તેમનું સ્વાસ્થ્ય રોજબરોજ કથળતું જાય છે. તેમને લઈને થયેલા વિવાદોમાં એક એ પણ હતો કે જયારે તેઓ માંદા પડ્યા ત્યારે પોતાના એકાદ રુગ્ણાલયમાં સારવાર લેવાને બદલે તેમણે અત્યાધુનિક સાધનોથી સુસજ્જ એવી કેલિફોર્નિયાની હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું. માર્ચ 13, 1997ના તેમણે મિશનરિઝ ઓફ ચૅરિટિનો પ્રમુખ હોદ્દો છોડ્યો અને સપ્ટેમ્બર 5, 1997ના રોજ તેમનું અવસાન થયું. કલકત્તાના વડા પાદરી, હેન્રી સબાસ્ટીયન ડિસોઝાના કહેવા મુજબ મધર ટેરેસા જયારે પહેલી વાર હૃદયરોગની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે તેઓ કોઈ શેતાનના હુમલાની અસર હેઠળ છે એવું લાગતાં તેમણે મધર ટેરેસાની પરવાનગી લઈને વળગાડમુકિત માટે એક પાદરીને બોલાવ્યા હતા.
મધર ટેરેસાના અવસાન સમયે, મિશનરિઝ ઓફ ચૅરિટિ હેઠળ કુલ 123 દેશોમાં, 610 મિશન ચલાતાં હતાં, જેમાં લગભગ 4,000 સિસ્ટર્સ[સંદર્ભ આપો], લગભગ 300 બ્રધર્સ[સંદર્ભ આપો] અને આશરે 100,000 સામાન્ય સ્વયંસેવકો કાર્યરત હતાં[સંદર્ભ આપો]. આ મિશનોમાં એચઆઈવી/એડ્સ, રક્તપિત, ક્ષયના રોગીઓ માટેનાં ઘર તથા રુગ્ણાલયો, ગરીબો માટેનાં રસોડાં, બાળકો અને પરિવાર માટેના સલાહ કાર્યક્રમો, અંગત મદદનીશો, અનાથાલયો અને શાળાઓનો સમાવેશ થાય છે.
ભારત સરકારે ત્રણ દસકા કરતાં પણ વધુ પહેલાં 1962માં મધર ટેરેસાને પહ્મ શ્રી એનાયત કરીને તેમનું પહેલવહેલું બહુમાન કર્યું હતું. એ પછીના દાયકાઓમાં પણ તેમને સતત ભારતીય ઍવોર્ડ એનાયત થતાં રહ્યાં હતાં. 1972માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને 1980માં, ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન, ભારત રત્ન તેમને એનાયત કરવામાં આવ્યાં હતાં.
1992માં પ્રકાશિત થયેલી, મધર ટેરેસાની અધિકૃત જીવનકથા એક ભારતીય સરકારી કર્મચારી, નવીન ચાવલા દ્વારા લખવામાં આવી હતી.
મધર ટેરેસા અંગે ભારતીયોના વિચાર એકધારા પ્રશંસાત્મક નહોતા રહ્યા.કલકત્તામાં જન્મેલા અને ઉછરેલા પરંતુ લંડનસ્થિત તેમના ટીકાકાર અરુપ ચેટર્જીએ લખ્યું છે, "તેમના જીવનપર્યંત કદી તેઓ કલકત્તાની નોંધપાત્ર હસ્તી રહ્યાં નથી." પોતાના વતનની નકારાત્મક છબી ચિતરવા માટે પણ ચેટર્જી મધર ટેરેસાને દોષી ઠેરવે છે. તેઓ મોટા ભાગે હિન્દુ અધિકારોનો વિરોધ કરતાં આવ્યાં હોવાથી ભારતીય રાજકારણમાં તેમની હાજરી અને કામકાજથી જવાળાઓ ઊઠયા કરતી. ખ્રિસ્તી દલિતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટી તેમની સામસામે આવી ગઈ હતી, પરંતુ એ જ પાર્ટીએ તેમની અંતિમવિધિ વખતે પ્રશંસાના શબ્દો સાથે પોતાના પ્રતિનિધિ મોકલ્યા હતા. તો બીજી તરફ તેમના માટે રાજય કક્ષાની અંતિમવિધિ મંજૂર કરવાના સરકારના નિર્ણય સામે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો. "તેમની પહેલી ફરજ ચર્ચ પ્રત્યે હતી અને સામાજિક સેવા તો માત્ર આકસ્મિક હતી" એવું કહીને તેમના સચિવ ગિરિરાજ કિશોરે મરતી વ્યકિતઓને "ગુપ્ત ધર્મ દીક્ષા" આપવાનો તથા ખ્રિસ્તીઓ તરફ પક્ષપાતી વલણ દાખવ્યાનો આક્ષેપ કર્યો હતો. પણ મધર ટેરેસાને પોતાની પખવાડિક પૂર્તિ ફ્રન્ટલાઈન માં પહેલા પાને અંજલિ આપતા ઈન્ડિયન એકસપ્રેસે આ સઘળા આક્ષેપોને "સદંતર ખોટા" ગણાવીને કાઢી નાખ્યા હતા અને લખ્યું હતું કે "આ આક્ષેપોથી મધર ટેરેસાના કામ અંગે લોકો જે છાપ ધરાવે છે તેમાં કોઈ ફેર પડ્યો નથી, ખાસ કરીને કલકત્તામાં તો નહીં જ." તેમની "નિઃસ્વાર્થ કાળજી", ઊર્જા અને બહાદુરીની પ્રશંસા કરવા છતાં મધર ટેરેસાએ ગર્ભપાત વિરુદ્ધ ઉપાડેલા જાહેર અભિયાન અને તેના વિશે બિનરાજકીય હોવા વિશે તેમણે કરેલા દાવા પ્રત્યે તેમના વિશેની આ અંજલિના લેખક ટીકાત્મક હતા. ભારતીય દૈનિક ધ ટેલિગ્રાફ માં વધુ તાજેતરમાં લખાયું છે કે "તેમણે ગરીબોની સ્થિતિને સુધારવા માટે કંઈ કયુર્ં છે કે માત્ર માંદા અને મરતા લોકોની સારસંભાળ લીધી અને તેમનો વધુ લાગણીવશ-નૈતિક ધ્યેય માટે ઉપયોગ કર્યો -તેવી તપાસ કરવા માટે રોમને કહેવામાં આવ્યું છે."
સપ્ટેમ્બર 1997માં તેમની દફનવિધિ પહેલાં મધર ટેરેસાના મૃતદેહને સેન્ટ થોમસ, કલકત્તામાં એક અઠવાડિયા માટે રાખવામાં આવ્યો હતો. તેમણે ભારતના તમામ ધર્મોના ગરીબોની જે સેવા કરી, તેના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવા માટે ભારત સરકારે તેમને રાષ્ટ્રીય કક્ષાની અંતિમવિધિ બક્ષી હતી.
મધર ટેરેસાએ દક્ષિણ અથવા પૂર્વ એશિયામાં હાથ ધરેલા કાર્ય માટે તેમને 1962માં આંતરરાષ્ટ્રીય સમજણ માટે ફિલિપાઈન્સ-સ્થિત રોમન મેગ્સાસે એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના પ્રશસ્તિપત્રમાં લખાવામાં આવ્યું હતું, "એક વિદેશી ધરતી પર વસતા પતિત ગરીબો પ્રત્યેની તેમની કરુણાસભર દષ્ટિ, અને તેમની સેવાથી તેમણે ઊભો કરેલા નવા સમુદાયને ટ્રસ્ટીમંડળ બહુમાને છે." 1970ના દાયકાના પૂર્વાધમાં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતનામ વ્યકિત બની ગયાં હતાં. તેમની આ પ્રસિદ્ધિનો મોટો ભાગ માલ્કોમ મુગ્ગરીજે 1969માં બનાવેલ દસ્તાવેજી ચિત્ર સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ અને 1971માં એ જ શીર્ષક ધરાવતા તેમના પુસ્તકને આભારી હતો. એ વખતે મુગ્ગરીજ પણ પોતાની રીતે એક આધ્યાત્મિક યાત્રામાંથી પસાર થઈ રહ્યા હતા. દસ્તાવેજી ચિત્રનું ફિલ્માંકન કરતી વખતે લેવાયેલા ફૂટેજ અત્યંત નબળા પ્રકાશમાં લેવાયા હતા, ખાસ કરીને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેના ઘરનાં દશ્યો તો કાર્યકરોના મતે બિલકુલ વાપરી ન શકાય તેવી ગુણવત્તાના હતા. પણ ભારતથી પાછા ફર્યા બાદ, કોણ જાણે કઈ રીતે પણ એ ફૂટેજ અત્યંત સારા પ્રકાશમાન નીકળ્યા. મધર ટેરેસાના પોતાના "દૈવી પ્રકાશ"થી જ આ ચમત્કાર થયો તેમ મુગ્ગરીજ માનતા હતા. ટીમના અન્ય સભ્યોના મતે નવા પ્રકારની અત્યંત-સંવેદનશીલ કોડક ફિલ્મને કારણે આમ બનવા પામ્યું હોઈ શકે. પાછળથી મુગ્ગરીજે કૅથલિક ધર્મ સ્વીકાર્યો હતો.
લગભગ આ જ સમયગાળામાં, કૅથલિક વિશ્વે જાહેરમાં મધર ટેરેસાનું બહુમાન કરવાનું શરૂ કર્યું. 1971માં, પોલ છઠ્ઠાએ ગરીબોની સેવાનું તેમનું કાર્ય ખ્રિસ્તી પરોપકાર અને શાંતિ માટેના પ્રયત્નોને મૂર્તિમંત કરે છે એમ કહીને તેમને સર્વપ્રથમ પોપ જહોન ત્રેવીસમા પિસ પ્રાઈઝ એનાયત કર્યું. પાછળથી તેમને પેસમ ઈન ટેરિસ એવોર્ડ (1976) પણ મળ્યો. તેમના અવસાન બાદ, મધર ટેરેસાને સંત જાહેર કરવામાં આવ્યાં અને હમણાં તાજેતરમાં તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું.
સરકારો અને નાગરિક સંગઠનો એમ બંનેએ મધર ટેરેસાનું બહુમાન કર્યું હતું. 1982માં "ઓસ્ટ્રલિયાની કમ્યુનિટી અને એકદંર માનવતાની સેવા માટે" તેમને ઓસ્ટ્રેલિયાના ધ ઓર્ડરના માનદ્ માર્ગદર્શિકા પણ નીમવામાં આવ્યાં હતાં. તેમને યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સ એમ પ્રત્યેક તરફથી વારંવાર એવોર્ડ એનાયત થતા રહ્યા હતા, જેના પરિણામે 1983માં તેઓ ધ ઓર્ડરમાં બહુમાનની પરાકાષ્ઠાએ હતા, અને નવેમ્બર 16, 1996ના તેમને યુનાઈટેડ સ્ટેટ્સનું માનદ્ નાગરિકત્વ પણ આપવામાં આવ્યું હતું. 1994માં મધર ટેરેસાના વતન આલ્બેનિયાએ તેમને રાષ્ટ્રનું સુવર્ણ બહુમાન અર્પણ કર્યું હતું,, અને તે પહેલાં 1991માં પોતાનું નાગરિકત્વ પણ આપ્યું હતું. હેઈતીની સરકારે તેમને આપેલાં આ અને બીજાં બહુમાનો તેમણે સ્વીકાર્યાં એ બાબત પણ વિવાદાસ્પદ બની હતી. દુવાલિયર્સ અને ચાર્લ્સ કેઈટિંગ અને રોબર્ટ મેકસવેલ જેવા ભ્રષ્ટ વ્યાપારીઓને પોતાનો નિહિત ટેકો આપવા બદલ મધર ટેરેસા, ખાસ કરીને ડાબેરીઓ તરફથી ટીકાપાત્ર બન્યા હતા. કેઈટિંગના કિસ્સામાં તો તેમણે તેના ખરડા વખતે ન્યાયાધીશને દયાળુ વર્તન દાખવવા માટે પત્ર પણ લખ્યો હતો.
ભારત તેમ જ પશ્ચિમના વિશ્વવિદ્યાલયો(યુનિવર્સિટી)ઓએ તેમને માનદ્ પદવીઓ આપી હતી. તેમને એનાયત થયેલ અન્ય નાગરિક એવોર્ડમાં, લોકોમાં માનવતા, શાંતિ અને ભાઈચારો પોષવા માટે તેમને બાલ્ઝન પ્રાઈઝ (1978), અને આલ્બર્ટ સ્વાઈત્ઝર ઈન્ટરનેશનલ પ્રાઈઝ (1975)નો સમાવેશ થાય છે.
1979માં, મધર ટેરેસાને "જે શાંતિને પણ જોખમમાં મૂકે છે તે ગરીબી અને દુર્દશામાંથી બહાર આવવાનો સંઘર્ષ હાથ ધરવા બદલ" શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ એનાયત થયું. તેમણે વિજેતાઓને આપવામાં આવતી પરંપરાગત મિજબાનીને નકારતાં કહ્યું કે આ દુન્યવી ઈનામો તો જ મહત્ત્વના ઠરે છે જો તે તેમને વિશ્વના જરૂરિયાતમંદોને મદદ કરવા માટે મદદરૂપ બને અને 192,000 ડૉલર ભારતના ગરીબોને આપવા જણાવ્યું હતું. જયારે મધર ટેરેસાએ આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે "વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?" એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, "ઘેર જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો." પોતાના નોબલ લેકચરમાં આ જ વિષય પર તેમણે વધુ ઊંડાણપૂર્વક વાત કરી હતી, "માત્ર ગરીબ દેશોમાં જ નહીં, પણ આખા વિશ્વમાં, પશ્ચિમના દેશોમાં પણ મને ગરીબી જોવા મળી છે, મિટાવવી ઘણી વધુ મુશ્કેલ હોય તેવી ગરીબી. જયારે હું ગલીમાં કોઈ ભૂખી વ્યકિતને જોઉં છું, તેને ભાતની થાળી અને બ્રેડનો ટુકડો આપું છું, ત્યારે મને ખબર છે કે મેં તેની ભૂખ સંતોષી દીધી છે, એ ભૂખ દૂર કરી છે. પણ જેના હોઠ સીવેલા છે અને જે અંદરથી પોતાની જાતને વણજોઈતી કે પ્રેમના અભાવથી ઘેરાયેલી, ભયગ્રસ્ત અનુભવે છે, એ વ્યકિત કે જે પોતાને સમાજમાંથી બહાર ફેંકાયેલી અનુભવે છે- આ ગરીબી એટલી નુકસાનકારક છે અને એટલી બધી છે કે મને તેને દૂર કરવી ઘણી મુશ્કેલ લાગે છે." તેમણે ગર્ભપાતને પણ "વિશ્વમાં શાંતિના સૌથી મોટા વિધ્વંસક" તરીકે ઓળખાવ્યો હતો.
તેમના જીવનના અંત સમયની આસપાસ, પશ્ચિમના પ્રસાર-માધ્યમોમાં મધર ટેરેસા અંગે થોડું નકારાત્મક પ્રગટ થયું હતું. પત્રકાર ક્રિસ્ટોફર હિચેન્સ તેમના સૌથી સક્રિય ટીકાકારોમાંના એક હતા. બ્રિટિશ ચેનલ 4 માટે મધર ટેરેસા પર હેલ્સ એન્જલ (નરક-દૂત) નામનું દસ્તાવેજી ચિત્રના લેખન અને કથન માટે સહ-લેખકની કામગીરી ક્રિસ્ટોફરને સોંપવામાં આવી હતી, આ પ્રકારની ફિલ્મ બનાવવી જોઈએ એવું અરુપ ચેટર્જીનું પ્રોત્સાહન હતું પણ અંતિમ ફિલ્મ જોઈને અરુપ ચેટર્જી તેના "સનસનાટીયુકત અભિગમ"થી નારાજ હતા. 1995માં હિચેન્સે ધ મિશનરી પોઝિશન નામના પોતાના પુસ્તકમાં પોતાની ટીકાઓને વિસ્તારપૂર્વક આલેખી.
ચેટર્જીએ લખ્યા મુજબ, જયારે મધર ટેરેસા જીવિત હતાં ત્યારે પણ તેમણે અને તેમના અધિકૃત જીવનકથા-લેખકોએ ચેટર્જી સાથે પોતાની તપાસમાં જોડાવા માટે સ્પષ્ટ ના પાડી હતી અને આમ તેઓ પશ્ચિમના પ્રેસમાં ટીકાત્મક લખાણ સામે પોતાની જાતનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.બ્રિટિનના ધ ગાર્ડિયન માં પ્રકાશિત થયેલ અહેવાલનું ઉદાહરણ ટાંક્યું હતું,"તેમનાં અનાથાલયોની સ્થિતિની કડક (અને વિગતવાર) સમીક્ષા કરવામાં આવી હતી... (જેમાં) શારીરિક અને ભાવનાત્મક દુરુપયોગ અને સદંતર ઉપેક્ષાના આરોપનો સમાવેશ થતો હતો", અને આ ઉપરાંત યુરોપના દેશોમાં મધર ટેરેસાઃ ટાઈમ ફોર ચેન્જ? નામનું એક બીજું દસ્તાવેજી ચિત્ર પણ પ્રસારિત થયું હતું. અલબત્ત, ચેટર્જી અને હિચેન્સ બંનેને પણ પોતાનાં મંતવ્યો માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
મધર ટેરેસાના અવસાનની પહેલી વરસી પર સ્ટર્ન નામના જર્મન સામયિકે એક આલોચનાપૂર્ણ લેખ પ્રકાશિત કર્યો. નાણાકીય બાબતો અને દાનના નાણાના ખર્ચ બાબતના આક્ષેપોની વાત તેમાં છેડવામાં આવી હતી. એકદમ જુદા દેખાવ અને દર્દીઓની જરૂરિયાતો અંગેની અગ્રિમતાઓમાંથી ઉદ્ભવેલી તેમના અંગેની ટીકાઓને મેડિકલ પ્રેસે પણ સ્થાન આપ્યું હતું. તેમના અન્ય ટીકાકારોમાં ન્યૂ લેફટ રીવ્યૂ ના સંપાદકમંડળના સભ્ય તારીક અલી, અને જન્મે આઈરિશ એવા શોધ પત્રકાર દોનાલ મૅકઈન્ટયારનો સમાવેશ થાય છે.
તેમના અવસાનથી બિનસાંપ્રદાયિક અને ધાર્મિક એમ બંને સમુદાયના લોકો શોકાતુર બન્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપતા, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે તેઓ "એક દુર્લભ અને અદ્વિતીય વ્યકિત હતા જેઓ ઉચ્ચતમ હેતુઓ માટે લાંબું જીવ્યા. ગરીબો, માંદા અને વંચિતોની કાળજી પ્રત્યેનું આજીવન સમર્પણ એ માનવતાની સેવાના સર્વોત્તમ ઉદાહરણોમાંથી એક છે." યુનાઈટેડ નેશન્સના ભૂતપૂર્વ સચિવ-જનરલ જાવિએર પેરેઝ દ સ્યુલાર્સે કહ્યું, "મધર ટેરેસા જાતે જ યુનાઈટેડ નેશન્સ છે. વિશ્વની શાંતિ તેઓ જ છે." ગૅલપ (Gallup) પ્રમાણે તેમના જીવનકાળ દરમ્યાન અને તેમના અવસાન પછી પણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તેઓ એક માત્ર સૌથી વધુ વ્યાપક પ્રશંસાપાત્ર વ્યકિત રહ્યાં હતાં, અને 1999માં યુનાઈટેડ સ્ટેટ્સમાં કરાયેલા એક સર્વેક્ષણ મુજબ તેઓ "વીસમી સદીના સૌથી વધુ પ્રશંસા પામનારી વ્યકિત" તરીકે ક્રમાંકિત થયા હતા. બહુ નાની વ્યકિતઓ સિવાય તમામ મુખ્ય વસતી વિભાગોમાં તેઓ લોકોની પ્રથમ પસંદ રહ્યાં હતાં અને તેમણે બાકીના તમામને ખૂબ મોટા અંતરથી પાછળ રાખી દીધા હતાં.
તેમનાં કાર્યો અને સિદ્ધિઓનું વિશ્વ્લેષણ કરતાં, જહોન પોલ બીજાએ પૂછ્યું હતું: "પોતાની જાતને અન્યોની સેવામાં સંપૂર્ણપણે ખૂંપાવી દેવાની શકિત અને ખંત મધર ટેરેસા કયાંથી મેળવતાં હતાં? તેમને એ શકિત અને ખંત પ્રાર્થનામાંથી અને જિસસ ક્રિસ્ટના મૂક ચિંતનમાંથી, તેમના પવિત્ર ચહેરામાંથી, તેમના શુદ્ધ હૃદયમાંથી મળતી હતી. અંગત ધોરણે, પોતાની ધાર્મિક માન્યતાઓ અંગે મધર ટેરેસાને સંશય ઉદ્ભવતા હતા અને આ સંઘર્ષ લગભગ પચાસેક વર્ષો સુધી, તેમના અંતિમ સમય સુધી ચાલ્યો, તે દરમ્યાન તેમના પોસ્ટુલેટર પૂજય બ્રાયન કોલોડાઈજચુકના શબ્દોમાં, "તેમને પ્રભુની કોઈ પ્રકારની હાજરી વર્તાઈ નહોતી", "ન તો તેમના હૃદયમાં કે ન તો ખ્રિસ્તમાં." મધર ટેરેસાએ પ્રભુનું અસ્તિત્વ હોવા અંગે ગંભીર શંકાઓ અભિવ્યકત કરી હતી અને પોતાના આ શ્રદ્ધાના અભાવ બાબતે દુઃખ પણ વ્યકત કર્યું હતું:
Where is my faith? Even deep down ... there is nothing but emptiness and darkness ... If there be God—please forgive me. When I try to raise my thoughts to Heaven, there is such convicting emptiness that those very thoughts return like sharp knives and hurt my very soul ... How painful is this unknown pain—I have no Faith. Repulsed, empty, no faith, no love, no zeal, ... What do I labor for? If there be no God, there can be no soul. If there be no soul then, Jesus, You also are not true.
ઉપરના શબ્દોને ટાંકીને તેમના પોસ્ટુલેટર પૂજય બ્રાયન કોલોડાઈજચુકે (શુદ્ધીકરણ બાબતે પુરાવા એકઠા કરવા માટે જવાબદાર અધિકારી) ચેતવતાં કહ્યું હતું કે કેટલાક લોકો તેમના શબ્દોનો ખોટો ભાવાર્થ કાઢે તેવું જોખમ છે, પણ તેમના થકી ઈશ્વર કામ કરી રહ્યો છે એવી તેમની શ્રદ્વા કદી ડગમગી નહોતી, ભલે ઈશ્વર સાથેનો સામીપ્યનો ભાવ ઘટતો જતો હોવાનું તેમણે અનુભવ્યું હતું પણ ઈશ્વરના અસ્તિત્વ અંગે તેમને કોઈ પ્રશ્ન હતો નહીં. આ પ્રકારના ધાર્મિક સંશયો અથવા તો કૅથેલિકો જેને આધ્યાત્મિક કસોટીઓ ગણે છે તે બીજા અનેક સંતોને પણ અનુભવાયા છે, ઉદાહરણ તરીકે જેમના નામ પરથી મધર ટેરેસાનું નામ છે તે લિસિએકસના સંત થેરેસે તેને "કશા વિનાની, વિહોણી રાત્રિ" કહી છે. ભલે કેટલાકને એવું લાગે કે સંતત્વ તરફની યાત્રામાં તેમણે વ્યકત કરેલા સંશયો અંતરાયરૂપ બની શકે, પણ એ માન્યતા ભૂલભરેલી છે, તેનાથી તદ્દન વિપરીત સાચું છે; સંતત્વના રહસ્યના અનુભવ સાથે આમ થવું એકદમ સુસંગત છે.
મધર ટેરેસાએ પોતાના દસ વર્ષના શંકાના ગાળા પછી, તેમની શ્રદ્ધા પુનર્જીવિત થઈ હોય તેવા ટૂંકા ગાળાનું વિવરણ કર્યું છે. 1958ની પાનખરમાં પોપ પાયસ બારમાના મૃત્યુ સમયે, તેમના માટે અંતિમ પ્રાર્થના કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતે "ખૂબ લાંબા અંધકારઃ એ વિચિત્ર વેદના"માંથી મુકત થયા છે. જો કે, પાંચ અઠવાડિયાં પછી, તેમણે ફરીથી શ્રદ્ધા જાળવી રાખવામાં પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી.
66 વર્ષના ગાળા દરમ્યાન મધર ટેરેસાએ પોતાના ઉપરીઓ અને કન્ફેસર્સ(પાપનો એકરાર સાંભળનાર પાદરીઓ)ને અનેક પત્રો લખ્યા હતાં. પોતાના આ પત્રોનો નાશ કરવામાં આવે તેવી ઇચ્છા તેમણે વ્યકત કરી હતી, નહીં તો "લોકો મારા વિશે વધુ, અને જિસસ વિશે ઓછું વિચારશે." જો કે, તેમની આ વિનંતી છતાં તેમનો પત્રવ્યવહાર મધર ટેરેસાઃ કમ બિ માય લાઈટ (ડબલડે)માં સંકલિત કરવામાં આવ્યો છે. પોતાના આધ્યાત્મિક રહસ્યમિત્ર પૂજય મિશેલ વાન દેર પીટને લખેલો એક પત્ર, જે જાહેર થઈ ચૂકયો છે, તેમાં તેમણે લખ્યું હતું, "તમારા પર જિસસને બહુ વિશેષ પ્રકારનો પ્રેમ છે. (પણ) મારા માટે, મૌન અને શૂન્યતા એટલા મહાન છે, કે હું જોઉં છું અને મને દેખાતું નથી, - સાંભળું છું અને શબ્દો મારા કાને નથી પડતા- જીભ હલે છે (પ્રાર્થનામાં) પણ કશું કહેતી નથી... હું ઇચ્છું છું કે તમે મારા માટે પ્રાર્થના કરો- કે હું તેને મુકત દોર આપું."
અનેક સમાચાર માધ્યમોએ મધર ટેરેસાનાં લખાણોને "શ્રદ્ધાની કટોકટી" તરીકે વર્ણવ્યા છે. તેમની જાહેર છબિ માત્ર પ્રસિદ્ધિ માટે જ મુખ્યત્વે ઊભી કરવામાં આવી છે; તેમની અંગત માન્યતાઓ અને વ્યવહાર જુદા છે અને તેમનાં લખાણો તેના પુરાવારૂપ છે એવું ક્રિસ્ટોફર હિચેન્સ જેવા તેમના કેટલાક ટીકાકારો કહ્યું. હિચેન્સે લખ્યું, "તો, વધુ આઘાતજનક શું છેઃ તે કે શ્રદ્ધાળુએ બહાદુરીપૂર્વક એ હકીકતને પડકારવી જોઈએ કે તેમની નાયિકાઓમાંથી એક પાસે બધું છે, પરંતુ તે પોતાની શ્રદ્ધા ખોઈ બેઠી છે, કે પછી તે કે ચર્ચ જાણી જોઈને પ્રસિદ્ધિ માટે અનુકૂળ વ્યકિતને ગોઠવે છે, એક મૂંઝાયેલી વૃદ્ધા જે માન્યામાં ન આવે તેવા એકદમ વ્યવહારિક હેતુઓ બરાબર જાણે છે?" જો કે, કમ બિ માય લાઈટ ના સંપાદક બ્રાયન કોલોદિએજચુક જેવા બીજા કેટલાક 16મી સદીના રહસ્યમય ક્રોસના સંત જહોન સાથે સરખામણી કરે છે, સંત જહોને અમુક આધ્યાત્મિક શિક્ષકોના વિકાસના અમુક ચોક્કસ તબક્કાને વર્ણવવા માટે "આત્માની કાળીડિબાંગ રાત્રિ" જેવો શબ્દપ્રયોગ નિપજાવ્યો હતો. તેમના આ પત્રો તેમની સંતત્વ તરફની પ્રગતિને અસર નહીં કરે તેવું વેટિકને સૂચવ્યું હતું. ખરેખર, તેમના પોસ્ટુલેટર, પૂજય બ્રાયન કોલોડાઈજચુકે જ આ પુસ્તકનું સંપાદન કર્યું હતું.
બેનેડીકટ સોળમાએ પોતાના પોપ તરીકેના પહેલા પરિપત્ર, ડ્યૂસ કારીટાસ ઈસ્ત માં કલકત્તાની ટેરેસાનો ત્રણ વખત ઉલ્લેખ કર્યો હતો અને પરિપત્રમાં પોતાના મુખ્ય મુદ્દાઓમાંના એકને સમજાવવા માટે પણ તેમના જીવનનું ઉદાહરણ ટાંકયું હતું."કલકત્તાના બ્લેસિડ ટેરેસાના ઉદાહરણથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે પ્રભુની પ્રાર્થનામાં ગાળેલો સમય, આપણા પાડોશીઓની અસરકારક અને પ્રેમાળ કાળજી રાખવામાં ઘટાડો નથી કરતો, પરંતુ ખરેખર તો સેવા કરવા માટે એ આપણો અખૂટ ઊર્જાનો સ્રોત બને છે." મધર ટેરેસાએ સ્પષ્ટ કર્યું હતું કે "માત્ર મનથી પ્રાર્થના અને આધ્યાત્મિક વાંચનથી જ આપણે પ્રાર્થનાની ભેટને કેળવી શકીએ છીએ."
આમ તો મધર ટેરેસાના સંગઠન અને ફ્રાંસિસકન સંગઠન વચ્ચે કોઈ સીધું જોડાણ નહોતું, પણ તેઓ એસિસીના સંત ફ્રાંસિસના બહુ મોટો પ્રશંસક તરીકે જાણીતા હતાં. એ જ પ્રમાણે, તેમના પ્રભાવ અને તેમના જીવન પર ફ્રાંસિસિકન આધ્યાત્મિકતાનો પ્રભાવ જોવા મળતો હતો. દરરોજ સવારે બિરાદરીની સભા પછી થેંકસગિવિંગ (ઉપકાર ઉત્સવ) દરમ્યાન ચૅરિટિની સિસ્ટર્સ સંત ફ્રાન્સિસની શાંતિપ્રાર્થનાનું પઠન કરે છે અને મધર ટેરેસાના સંગઠનની ઘણી શપથવિધિઓ અને તેમના પાદરીઓની મહત્ત્વની બાબતો ઘણા અંશે સરખા છે. સંત ફ્રાન્સિસ ગરીબાઈ, પવિત્રતા, આજ્ઞાકિંતતા અને ખ્રિસ્તની શરણાગતિ પર ભાર મૂકે છે. તેમણે જાતે પણ પોતાના જીવનનો મોટો ભાગ ગરીબોની સેવા કરવામાં, ખાસ કરીને તે જયાં વસતા હતા ત્યાંના રક્તપિતીયાઓની સેવા કરવામાં વીતાવ્યો હતો.
1997માં મધર ટેરેસાના અવસાન બાદ, પવિત્ર બિશપપીઠે સંતત્વ તરફ બીજું પગલું, એટલે કે મુકિતની પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા માટે મધર ટેરેસાની મધ્યસ્થિથી કરવામાં આવેલા કોઈક ચમત્કારનું દસ્તાવેજીકરણ આવશ્યક છે. વર્ષ 2002માં, વેટિકને એક ભારતીય સ્ત્રી, મોનિકા બેસરાના પેટની ગાંઠ, મધર ટેરેસાની તસવીરવાળું લોકેટ પહેર્યા પછી દૂર થયાનો ચમત્કાર નોંધ્યો છે. મધર ટેરેસાની તસવીરમાંથી એક પ્રકાશનો પટ્ટો નીકળ્યો, અને તેનાથી કેન્સરગ્રસ્ત ગાંઠ મટી ગઈ એવું મોનિકા બેસરાએ કહ્યું હતું. બેસરાનો કેટલોક તબીબી સ્ટાફ અને શરૂઆતમાં બેસરાના પતિએ પણ તેમની ગાંઠ પરંપરાગત તબીબી ઉપચારથી દૂર થઈ હોવાનો દાવો કર્યો હતો. આ દાવા સામે મોનિકાના તબીબી રેકોર્ડોમાં મોજૂદ સોનોગ્રામ, પ્રિસ્ક્રીબ્શન્સ અને સામાન્ય ડૉકટરની નોંધો પરથી આ ચમત્કાર હતો કે નહીં તે સાબિત કરી શકાય તેવો પણ એક દષ્ટિકોણ હતો. આ તમામ રેકોર્ડ મિશનરિઝ ઓફ ચૅરિટિના સિસ્ટર બેટ્ટા પાસે છે તેવો મોનિકાનો દાવો હતો. સિસ્ટર બેટ્ટાએ આ અંગે કોઈ પણ નિવેદન આપવાની ના પાડી હતી. જે હોસ્પિટલમાં મોનિકાની તબીબી સારવાર થઈ રહી હતી તે બાલુરઘાટ હોસ્પિટલના અધિકારીઓના કહેવા મુજબ આ ગાંઠ દૂર થવાની બાબતને ચમત્કાર તરીકે ઘોષિત કરવા માટે તેમના પર કૅથેલિક સંગઠન દબાવ કર્યો હતો.
વેટિકને પ્રણાલિકાગત, આ જ પ્રકારનો હેતુ સર કરતી "શેતાનના વકીલ"ની ભૂમિકાનો છેદ ઉડાવી દીધો હોવાથી એક માત્ર ક્રિસ્ટોફર હિચેન્સને તેમણે મધર ટેરેસાની મુકિત અને સંતત્વની પ્રક્રિયાના પુરાવા જોવા માટે સાક્ષીરૂપે બોલાવ્યા હતા. "તેમનો ઈરાદો લોકોને મદદ કરવાનો નહોતો", તેવી દલીલ સાથે હિચેન્સે આક્ષેપ કર્યો હતો કે તેઓ (મધર) દાનના ઉપયોગ બાબતે તેમના યોગદાતાઓને ખોટું કહેતાં હતાં. હિચેન્સે કહ્યું, "તેમની સાથે વાત કરવાથી મને આ વાતની ખબર પડી, અને તેમણે મને ખાતરી પણ આપી, કે તેઓ ગરીબી દૂર કે ઓછી કરવા માટે કામ નથી કરી રહ્યાં. તેઓ કૅથલિકોની સંખ્યા વધારવા માટે કામ કરતાં હતાં. તેમણે મને કહ્યું હતું, ‘હું કોઈ સામાજિક કાર્યકર નથી. હું આ એ કારણસર નથી કરતી. હું આ ખ્રિસ્ત માટે કરું છું. હું આ ચર્ચ માટે કરું છું.’" મુકિત અને સંતત્વ માટે ટેરેસા યોગ્ય છે કે કેમ તે ઠેરવવા માટે રોમન કુરિયા(ધ વેટિકન)એ તેમના જીવન અને કાર્ય અંગે પ્રકાશિત અને અપ્રકાશિત એવા ઢગલાબંધ દસ્તાવેજો એકઠા કર્યા હતા. વેટિકનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારની બાબતો માટે વિશેષ રૂપે કામ કરતી એજન્સી, સંતો માટેનું ઉપાસકમંડળ(ધ કોનગ્રેગેશન ફોર ધ કોઝિસ ઓફ સંત્સ)-એ હિચેન્સના આક્ષેપો અંગે તપાસ કરી હતી અને તેમને મધર ટેરેસાની મુકિત પ્રક્રિયા આડે કોઈ અંતરાય જણાયો નહોતો. તેમના પર જેટલા ટીકા-ટિપ્પણીના હુમલા કરવામાં આવ્યા હતા, તેના પરથી કેટલાક કૅથેલિક લેખકો તેમને વિરોધાભાસનું પ્રતીક કહે છે. ઑકટોબર 19, 2003ના મધર ટેરેસાની મુકિતની પ્રક્રિયા કરવામાં આવી, અને તેના ઉપક્રમે તેમને "બ્લેસિડ" બિરુદ આપવામાં આવ્યું હતું. તેમને સંતત્વ, સંતોની શ્રેણીમાં મૂકવા માટે એક બીજો ચમત્કાર આવશ્યક છે.
મધર ટેરેસાના નામે વિવિધ પ્રકારના સ્મારક ઉત્સવો ઉજવાય છે. મધર ટેરેસાની સ્મૃતિમાં સ્મારક સંગ્રહાલયો બનાવવામાં આવ્યાં છે, સંરક્ષક તરીકે તેમના નામે વિવિધ ચર્ચો સોંપવામાં આવ્યા છે અને વિવિધ માળખાઓ અને માર્ગ પણ તેમના નામે કરવામાં આવ્યા છે. તેમની જીવનકથાના લેખક નવીન ચાવલા કૃત વિવિધ શ્રદ્ધાંજલિઓ ભારતીય સમાચારપત્રો અને સામયિકોમાં પ્રકાશિત થઈ હતી.
" Mother Teresa and the joy of giving"
This article uses material from the Wikipedia ગુજરાતી article મધર ટેરેસા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.