ધીણોધર ટેકરીઓ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાની અરલ ગામની નજીક આવેલી ટેકરીઓ છે.
નખત્રાણા)">નાની અરલ ગામની નજીક આવેલી ટેકરીઓ છે. આ ટેકરીઓ પર્યટન સ્થળ અને યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે.
ધીણોધર ટેકરીઓ સમુદ્ર સપાટીથી ૩૮૬ મીટર ઉંચાઈ ધરાવતો એક નિષ્ક્રીય જ્વાળામુખી છે.
આ ટેકરીઓના સૌથી ઊંચા શિખર ઉપર અમુક અંશે જર્જરિત એક શિખરબંધ મંદિર છે. આ મંદિર ચૂનાના પથ્થરો અને ગારાથી બનાવેલું છે તેના પર સિમેંટનું પ્લાસ્ટર કરેલું છે. આ મંદિરનું બાંધકામ ઈ.સ. ૧૮૨૧માં (સવંત ૧૮૭૭)માં બ્રહ્મક્ષત્રિય શેઠ સુંદરજી શિવજીએ કરાવેલું હતું. આ મંદિર પૂર્વમુખી અને તેને કોઈ દરવાજા નથી. આ મંદિર ચોરસાકાર છે જેની લંબાઈ ૫૩⁄૪ ફૂટ છે અને ઊંચાઈ ૬ ફૂટ છે. તેનો પ્રવેશ ૪ ૧/૨ ફૂટ ઈંચો અને ૨ ફૂટ પહોળો છે. આ મંદિર ધોરમનાથ કે ધરમનાથને સમર્પિત છે, તેમને માંડવીનો વિનાશ કર્યા બાદ, જીવહાનિ પર ખૂબ પસ્તાવો થયો હતો અને તેના પ્રાયશ્ચિત સ્વરૂપે તેમણે કોઈક એકલવાયી ટેકરી પર ઊંધે માથે ઊભા રહેવાનો નિશ્ચય કર્યો હતો. ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં તેમને જે સૌથી ઊંચી ટેકરી દેખાઈ તેના પર તે ચઢવા માંડ્યા. પણ જેમ જેમ તે ચઢતા ગયા તેમ તેમ તેમના પાપના ભારથી દબાતી હોય તેમ તે ટેકરી નાની થતી ગઈ અને આમ નાનાઓ (નાનકડો) ટેકરી બની. આ જોઈ તેમણે બીજી ટેકરી પસંદ કરી તેની ઉપર ચઢવાનું શરૂ કર્યું, પણ તેના પસ્તાવાનો ભાર ન ખમી શકતા તેના ટુકડા થતાં તે "જોર્યો" (તુટેલો) નામની ટેકરી બની. આમ થતાં તેમણે ત્રીજી ટેકરી પર ચઢવાનું શરૂ કર્યું, પણ આ ટેકરી પર તે ઉલટા ચઢ્યા, આથી આ ટેકરી તેનો ભાર સહન કરી ગઈ આથી તેનું નામ ધીણોધર (ધૈર્ય કે ધીરજ ધરનાર) પડ્યું. આ ટેકરી પર આવેલા એક શંકુ આકારના પથ્થર પર તે બાર વર્ષ ઊંધા માથે ઊભા રહ્યા. તે દરમ્યાન એક ચારણ મહિલા તેમને દૂધ પાતી રહી. તેમનું તપ જોઈને દેવો પ્રસન્ન થયા અને એક દેવ મંડળને તેની પાસે મોકલ્યું, જેણે તેમની તપસ્યા અટકાવવા વિનંતિ કરી. ધોરમનાથે જણાવ્યું કે, આંખો ખોલીને જોતા જે સ્થળે તેમની દ્રષ્ટી સૌ પ્રથમ પડશે તે ધરતી ઉજ્જડ બની જશે, આથી દેવોએ તેમને દરિયા પર દ્રષ્ટિ માંડવા કહ્યું. તેમ કરતાં તે સ્થળનો દરિયો સુકાતાં ત્યાં કચ્છનું રણ બન્યું. તે દરિયો સુકાતાં ઘણાં સમુદ્રી જીવ, માછલાં આદિનો નાશ થતા તેની કીર્તિને હાનિ પહોંચશે એમ જણાતા તેમણે પોતાની દ્રષ્ટી ફેરવી નાખી અને ટેકરી પર દ્રષ્ટીપાત કર્યો. એ સાથે જ તે ટેકરીના બે ટુકડા થઈ ગયાં. ત્યાર બાદ ધોરમનાથ નીચે આવ્યાં અને પોતાની ધૂણી ધખાવી, એક મઠ બાંધી કનફટ (ફાટેલા કાનવાળા) સંપ્રદાય શરૂ કર્યો. આ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે કંકુ ચોપડેલ એક ત્રિકોણ શંકુ આકાર પથ્થર છે, એમ કહેવાય છે કે આ પથ્થર ઉપર ધોરમનાથ માથું રાખી તપસ્યા કરતાં. આ મંદિરની બહાર જ મૂળ સમયની મહાત્માની ધૂણી છે જેને ભાદરવાના ત્રણ દિવસ પ્રગટાવવામાં આવે છે. તે સમય દરમ્યાન મઠના પીર અહીં પૂજા અર્ચના કરે છે અને પાડોશી ગામના લોકોની અંજલિ સ્વીકારે છે. ટેકરીની તળેટીમાં મઠની અન્ય ઈમારતો સાથે ધોરમનાથનું એક અન્ય મંદિર છે. આ મંદિર ઊંચા ઓટલા પર છે અને તે પૂર્વમુખી છે. આ મંદિરની લંબાઈ ૭ ફૂટ અને ઊંચાઈ ૭ ફૂટ છે. અંદર ધોરમનાથની ૩ ફુટ ઊંચી આરસની મૂર્તિ છે આ સાથે કેટલાક લિંગ, કેટલીક પિત્તળની છબીઓ છે. અહીં એક દીવો સદા બળતો રહે છે. બાજુમાં એક માંચડા નીચે ધૂણી ધખે છે. કહેવાય છે કે આ ધૂણી ધોરમનાથના સમયથી ધખે છે. જન્માષ્ટમી અને નવરાત્રીના તહેવારોના દિવસોએ અહીં લોકોને શીરો અને ભાત વહેંચવામાં આવે છે.
ધોરમનાથના મંદિરને કારણે આ સ્થળ યાત્રાધામ તરીકે વિકસ્યું છે.
ધીણોધરની ટેકરી ઉપરથી જોતાં કચ્છના રણ અને છારી ઢંઢના કળણનું સુંદર દ્રશ્ય દેખાય છે. ખાસ કરી સારા વરસાદ પછી આ દ્રશ્ય ખૂબ રમણીય લાગે છે. આ ક્ષેત્રમાં ઘણી વન્ય અને જીવ સંપત્તિ આવેલી છે અને પર્વતારોહકો માટે આ માનીતું સ્થળ છે.
ઈ.સ. ૨૦૧૧થી દર વર્ષે અહીં ડિસેમ્બર-જાન્યુઆરીમાં પર્વતારોહણ સ્પર્ધા યોજાય છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ધીણોધર ટેકરીઓ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.