ગોહિલ વંશે ૧૨મી સદીથી ૧૯૪૮ સુધી સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગો પર તાબેદારી અને સ્વતંત્ર શાસન કર્યું હતું.
તેમનું મૂળ ગુજરાતના ગુહિલ વંશનું જાણવા મળે છે અને તેઓ લગભગ ૧૨મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા હતા. ગોહિલોનો સૌથી પહેલો જાણીતો શિલાલેખ માંગરોળમાંથી મળી આવ્યો છે. તેઓએ પાછળથી સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે પોતાના રાજ્યની સ્થાપના કરી અને આ પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાયો અને 1947માં ભારતની આઝાદી સુધી શાસન કર્યું. ભાવનગર, પાલિતાણા, લાઠી, વળા અને રાજપીપળાના રજવાડાઓ ગોહિલ શાસકોના હતા.
ગોહિલોનું મૂળ શાલિવાહન નામના રાજવંશથી મળે છે. ડી.આર. ભંડારકર, સી.વી. વૈદ્ય અને ગૌરીશંકર ઓઝા વગેરે મેડાપતા(મેવાડના)ના ગુહિલા વંશ સાથે ગોહિલોના મૂળનેે જોડે છે. ગુહિલાઓ પોતાને સૂર્યવંશી માનતા હતા.
ગુહિલા ઠક્કુરા મુલુકાનો માંગરોળ પથ્થર-શિલાલેખ જૂનાગઢ નજીક માંગરોળ શહેરમાં એક પગથિયાંની દિવાલ સાથે જોડાયેલા કાળા પથ્થરના સ્લેબ પર છેદાયેલો મળી આવ્યો હતો. તે ગોહિલ વંશનો સૌથી જૂનો આલેખ છે. તે વિ.સં. 1202/સિંહ સંવત 32 (15 ઓક્ટોબર 1145 સોમવાર)ની અશ્વિન વદી 13 તારીખનો છે. તેની 25 પંક્તિઓ ઓમ નમઃ શિવાય સાથે ખુલે છે અને શિવનું આહ્વાન કરે છે. તેમાં તે પછી જયસિંહ સિદ્ધરાજાના અનુગામી ચૌલુક્ય રાજા કુમારપાલની પ્રશંસા કરાયેલી છે. પછી તે ગુહિલા, સહારાના પરિવારનો ઉલ્લેખ છે, જે ચૌલુક્યોના સેનાપતિ હતા; તેનો સૌથી મોટો પુત્ર મુલુકા, સૌરાષ્ટ્રનો રક્ષક; તેમના નાના ભાઈ સોમરાજા જેમણે સોમનાથ ખાતે મહેશ્વર (શિવ) મંદિર બંધાવ્યું અને તેના પિતાના નામ પરથી તેનું નામ સહજીગેશ્વર રાખ્યું. આ શિલાલેખ પાશુપત શિક્ષક પ્રસર્વજ્ઞા દ્વારા રચાયેલ છે.
આ શિલાલેખ માંગરોળ નજીકના ઘેલાણા ગામમાં કામનાથ મહાદેવના મંદિરમાંથી મળી આવ્યો હતો. વલ્લભી વર્ષ 911નો છે. તે ઠાકુર મુલૂના પુત્ર રાણક રાણા નો ઉલ્લેખ કરે છે, જેમણે ભૃગુ મઠમાં ભગવાનની પૂજા માટે આસનપટ્ટા આપ્યા હતા. તેની નકલ હવે વોટસન મ્યુઝિયમમાં સંગ્રહિત છે.
આ શિલાલેખ પરનાળા ગામના જૈન મંદિરમાં ચતુર્ભુજ જૈન મૂર્તિના પગથિયાં પર મળી આવ્યો હતો. તે વિક્રમ સંવંત 1453નો છે. તેમાં ગોહિલ રાજા પ્રતાપમલ્લની પત્ની ભવલાદેવી દ્વારા મૂર્તિના અભિષેક વિશેનું વર્ણન છે.
ભાવનગર નજીક મહુવાના દરબારગઢ પાસે લક્ષ્મી નારાયણ મંદિરની મૂર્તિના પગથિયાંના કાળા પથ્થરના સ્લેબમાં જોડાયેલ શિલાલેખ મળ્યો છે. આ સંસ્કૃત શિલાલેખમાં કૂવો ખોદવાની જાણકારી છે અને તેમાં આ મંદિરનો ઉલ્લેખ ન હોવાથી આ લેખ અન્ય જગ્યાએથી અહીં લાવવામાં આવ્યો હશે તેવું લાગે છે. તે વિ.સં. 1500નો છે. આ શિલાલેખમાં ગોહિલ રાજા સારંગજીનો ઉલ્લેખ છે.
આ શિલાલેખ ભાવનગર નજીક વરતેજમાં વિ.સં. 1674ના પાળિયા પર જોવા મળે છે. તે ગોહિલ રાજા રાવલ ધુનાજી દ્વારા થયેલસ દાનની નોંધ કરે છે. ધુનાજી સિહોરના ગોહિલ સરદાર અને ભાવનગરના શાસકોના પૂર્વજ વિસોજીના પુત્ર હતા. તેઓ 1619માં કાઠીીઓ સામે લડતા મૃત્યુ પામ્યા હતા.
હળવદમાં 36 થાંભલાવાળા મંદિર પાસે ઊભેલા પાળિયા પરનો શિલાલેખ વિ.સં. 1722માં રાજા ગજસિંહજી માટે લડતા ગોહિલ લાખાજીના મૃત્યુની નોંધ કરે છે. તેની નજીકના પાળિયા પરના અન્ય એક શિલાલેખમાં ગોહિલ વસાજીનો ઉલ્લેખ છે, જેઓ વિ.સં. 1749 માં મહારાજા જસવંતસિંહજી માટે લડાઈમાં મૃત્યુ પામ્યા હતા.
ઘોઘા નજીકના ગુંદી ગામમાં એક પાળિયામાં વિ.સં. 1755 નો શિલાલેખ છે જેમાં ગોહિલ કનોજીના મૃત્યુનો ઉલ્લેખ છે. કનોજી વિજોજીના અનુગામી હતા, જે ઉમરાળાના જાગીરદાર હતા, અને ભાવનગરના શાસકોના પૂર્વજ હતા.
લાઠીના ભીડભંજન મહાદેવ મંદિરમાં વિ.સં. 1808 ના શિલાલેખમાં ગોહિલ શ્રીસિંહજીના શાસનકાળ દરમિયાન થયેલ મંદિરના બાંધકામનો ઉલ્લેખ છે. ગણેશની મૂર્તિની શિલા પર અન્ય એક શિલાલેખમાં ગોહિલ લાખાજીના શાસન દરમિયાન થયેલાં તેના અભિષેકનો ઉલ્લેખ કરે છે.
એવું કહેવાય છે કે શાલીવાહનોનાં વંશજો જોધપુર રાજ્યમાં લુણી નદીના કિનારે ખેરાગઢમાં સ્થાયી થયાં હતાં. ખેરાના છેલ્લા રાજકુમાર મોહડાસાની કનૌજના રાઠોડ શાસક જયચંદ્રના પૌત્ર સિયાજી દ્વારા હત્યા કરવામાં આવી હતી.
કહેવાય છે કે મોહડાસાના પૌત્ર, સેજકજી વિ.સં. 1250 ની આસપાસ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરીને જૂનાગઢથી શાસન કરતા ચુડાસમા રાજા મહિપાલની સેવામાં દાખલ થયા હતાં. તેમણે સાપુરની આસપાસના 12 ગામો મેળવ્યા હતાં અને તેમના વંશમાંથી જ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોના ગોહિલ વંશો થયાં. એક મત અનુસાર, તે ચુડાસમા રાજા કેવતની સેવામાં દાખલ થયાં હતાં અને તેમની પુત્રી વાલમકુંવરબાના લગ્ન કેવતના પુત્ર ખેંગાર સાથે કરાવ્યા હતાં. કેવતે તેમને શાહપુર અને આસપાસના બાર ગામોની જાગીર આપી. સેજકજીના પુત્રો શાહજી અને સરનજીએ તેમની બહેન વલમકુંવરબાના હિતમાં માંડવી ચોવીસી અને અર્થીલા ચોવીસી મેળવી હતી. પાલિતાણા રાજ્ય અને લાઠી રાજ્યના શાસકો આ બે ભાઈઓનાં વંશજો હોવાનું જણાય છે. સેજકજીએ સેજકપુર નામના નવા ગામની સ્થાપના કરી અને તેની આસપાસના ઘણા ગામો જીત્યા હોવાનું કહેવાય છે.
પાલિતાણા અને લાઠી રાજ્યોના શાસકો સેજકજીના બે પુત્રો શાહજી અને સરનજીને તેમના પૂર્વજો માને છે.
મોખડાજીનો મોટો પુત્ર ડુંગરજી ઉંડ-સરવૈયાવાડ ભાગી ગયો હતો પરંતુ તેને દિલ્હીની સેનાએ પકડી લીધો હતો. પાછળથી તેને ઘોઘાના વડા તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમના અનુગામી વિસોજી સિહોરના ઔદિચ્ય બ્રાહ્મણ જમીનદારોના જાની અને રાણા કુળના વિવાદમાં સામેલ હતા. જાની કુળએ વિસોજીને બોલાવ્યા હતાં જ્યારે રાણા કુળએ ગારિયાધારના કાંધોજી ગોહિલને બોલાવ્યા. વિસોજીએ કંધોજીને હરાવી સિહોર કબજે કર્યું હતું, તેની કિલ્લેબંધી કરી અને તેનેે પોતાની રાજધાની બનાવી હતી. તેમના પુત્ર ભાવસિંહજીએ 1722-23 માં ભાવનગરની સ્થાપના કરી હતી અને સિહોરથી ખસેડીને તેને તેમના રાજ્યની રાજધાની બનાવી. વળા રાજ્યની સ્થાપના 1740 માં ભાવસિંહજીના પુત્ર અખેરાજજીએ કરી હતી.
મોખડાજીના નાના પુત્ર સમરસિંહજીને ઉજ્જૈનના પરમાર વંશના જુનારાજ (જૂના રાજપીપળા)ના રાજા ચોકરાણા પાસે લઈ જવામાં આવ્યા હતા. ચોકરાણાને કોઈ વારસદાર ન હોવાથી, સમરસિંહજીએ એક નવું નામ અર્જુનસિંહજી લઈને તેમના પછી ગાદી સંભાળી. રાજપીપળા રાજ્યના શાસકો તેમના વંશજો છે.
સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશમાં ઘણી નાની જાગીરો ઉછરેલી હતી. આ જાગીર-રાજ્યોએ સદીઓ સુધી શાસન ચલાવ્યું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ ભારત સંધમાં ભળી ગયા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article ગોહિલ વંશ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.