એમિલ દર્ખેમ (Emile Durkheim), અથવા એમાઈલ દુર્ખાઈમ, (૧૫ અપ્રિલ ૧૮૫૮ – ૧૫ નવેમ્બર ૧૯૧૭) ફ્રેન્ચ સમાજશાસ્ત્રી હતા, જેમણે સમાજશાસ્ત્રને એક સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનું યોગદાન કર્યું હતું.
ઑગસ્ટ કૉમ્ત પછી ફ્રાન્સના સામાજિક વિચારકોમાં દર્ખેમનું નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે.
દર્ખેમનો જન્મ ૧૫ અપ્રિલ ૧૮૫૮ના રોજ ફ્રાન્સના લૉરેન પ્રાન્તના એપિનાલ નામના શહેરમાં થયો હતો. તેમનુ કુટુંબ યહુદી હતું અને હિબ્રુ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતું હતું. દર્ખેમે એપિનાલ અને પેરિસની કૉલેજમાં શિક્ષણ લીધું હતું, અને ૧૮૮૨માં શૈક્ષણિક વ્યવસાયની શરૂઆત કરી હતી.
૧૮૯૩માં ધ ડિવિઝન ઑફ લૅબર ઇન સોસાઇટી નામના મહાનિબંધ માટે તેમને ડૉક્ટરની ઉપાધી પ્રાપ્ત થઈ, અને ત્યારબાદ બૉર્ડેક્ષ યુનિવર્સિટીમાં સામાજિક શાસ્ત્રો અને શિક્ષણશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.
૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમના પુત્રનું મૃત્યુ થયું, એ આઘાત સહન ન કરી શકવાથી ૧૯૧૭માં નવેમ્બરની ૧૫મી તારીખે હ્રદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું.
દર્ખેમે સમાજશાસ્ત્રને તત્ત્વચિંતનમાંથી મુક્ત કરિને એક વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવામા મહત્ત્વનો ફાળો આપ્યો. સામાજિક ઘટનાઓ પણ 'વસ્તુ' છે અને ભૌતિક વિજ્ઞાનો ભૌતિક વસ્તુઓનો જેટલી તટસ્થતાથી અભ્યાસ કરી શકે છે તેટલી જ તટસ્થતાથી સામાજિક ઘટનાઓનો પન્ અભ્યાસ કરી શકાય એમ તેઓ માનતા હતા. આથી સામાજિક ઘટનાઓનું તટસ્થ રીતે નિરિક્ષણ અને સંશોધન કરવા માટેની પદ્ધતિઓ ઉપર વિચારણા કરવામાં તેમણે ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો. તેમણે સમાજશાસ્ત્રને સામાજિક તથ્યોનો અભ્યાસ કરનારું વિજ્ઞાન કહ્યું અને આવાં વિવિધ સામાજિક તથ્યોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની પદ્ધતિઓ સુચવી.
૧૮૯૩માં ધ ડિવિઝન ઑફ લૅબર ઇન સોસાઇટી નામનો તેમનો પીએચ.ડીનો મહાનિબંધ સૌથી પહેલા પુસ્તક તરીકે પ્રકાશિત થયો, જેમાં તેમણે શ્રમવિભાજન વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. જોકે આ ગ્રંથનું વિષયવસ્તુ અર્થશાસ્ત્રીય નથી, પરંતુ સમાજશાસ્ત્રીય છે. બે ભાગમાં વિભાજિત આ પુસ્તકના પહેલા ભાગમાં સામાજિક એકતા (social solidarity) સંબંધી વિચારોની ચર્ચા છે, જ્યારે બીજા ભાગમાં શ્રમવિભાજનનું સ્વરૂપ અને કારણોની સવિસ્તાર ચર્ચા છે. સમાજશાસ્ત્રીય સાહિત્યમાં આ પુસ્તક ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે.
૧૮૯૭માં આંકડાશાસ્ત્રીય સામગ્રીના આધારે તેમણે આત્મહત્યા પાછળ રહેલા સામાજિક તથ્યોનું પૃથ્થકરણ તેમના ધ સ્યુસાઇડ નામના પુસ્તક દ્વારા કર્યું છે. આ પુસ્તકમાં તેમણે આત્મહત્યા માટે જવાબદાર સામાજિક પ્રક્રિયાઓ અને તત્ત્વોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ આ પુસ્તકમાં તેમણે એમ પણ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે આત્મહત્યા એક સામાજિક ઘટના છે, કે જે મનુષ્યના સામૂહિક જીવનની અવ્યવસ્થાનું પરિણામ છે.
તેમનું છેલ્લુ પુસ્તક ધ ઇલેમેન્ટરી ફૉર્મ્સ ઑફ રિલિજિયસ લાઇફ ૧૯૧૨માં પ્રકાશિત થયું, જેમાં તેમનો હેતુ ધર્મ માટે એક શુદ્ધ સમાજશાસ્ત્રીય સિદ્ધાંત રજૂ કરવાનો હતો. આ પુસ્તકમાં તેમણે ધર્મનું સ્વરૂપ, ઉત્પત્તિ, તેનાં કારણો અને પ્રભાવની વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. એ ઉપરાંત પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે 'જ્ઞાનના સમાજશાસ્ત્ર' (Sociology of Knowledge)ની રૂપરેખાનો આછો ખ્યાલ આપ્યો છે જેનો ત્યારબાદ સમાજશાસ્ત્રની એક અતિ મહત્ત્વની શાખા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો.
દર્ખેમના મહત્ત્વના પુસ્તકો નીચે મુજબ છે:
મરણોત્તર પ્રકાશિત:
This article uses material from the Wikipedia ગુજરાતી article એમિલ દર્ખેમ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.