કલ્પવૃક્ષ (દેવનાગરી: कल्पवृक्ष) અથવા કલ્પતરૂ અથવા કલ્પદ્રુમ અથવા કલ્પપાદપ તરીકે ઓળખાતું વૃક્ષ હિન્દુ પુરાણો, જૈન ધર્મ અને બોદ્ધ ધર્મ માં આલેખાયેલ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે .
પ્રારંભિક કાળના સંસ્કૃત સાહિત્ય સ્રોતોમાં તેનો ઉલ્લેખ છે. તે જૈન જ્યોતિષશાસ્ત્ર અને બૌદ્ધ ધર્મમાં પણ પ્રચલિત વિષય છે.
કલ્પવૃક્ષનો ઉદ્ભવ સમુદ્ર મંથન દરમ્યાન કામધેનુ (બધી જરૂરિયાતો પૂરી પાડતી દૈવી ગાય) સાથે થયો હતો. દેવતાઓનો રાજા, ઇન્દ્ર, આ વૃક્ષ સાથે સ્વર્ગમાં પાછો ફર્યો. ઘણા વૃક્ષોને કલ્પવૃક્ષ સાથે સરખાવવામાં આવે છે જેમકે પારિજાત (ઈરીથ્રીના વેરીગટા - Erythrina variegata), વડ (ફાઈકસ બેંઘાલેંસિસ), બાવળ, મહુડો (મધુકા લોન્ગીફોલીઆ), ખીજડો (પ્રોસોપીસ સેનેરારીઆ), ચિઉરા કે ચેઉલી (બાસિઆ બુટીરાસેઆ), અને શેતૂર. આ ઝાડને મૂર્તિ શાસ્ત્ર અને સાહિત્યમાં પણ ઉત્કૃષ્ટ સ્થાન મળ્યું છે.
કલ્પવૃક્ષ એ એક કલાત્મક અને સાહિત્યિક વિષય છે જે હિન્દુ ભાગવતો, જૈનો અને બૌદ્ધ ધર્મના લોકો માટે સામાન્ય છે.
જીવનનું વૃક્ષ કે કલ્પવૃક્ષ કે વિશ્વ વૃક્ષ નો ઉલ્લેખ વૈદિક શાસ્ત્રોમાં જોવા મળે છે. તેનો સૌથી પ્રારંભિક ઉલ્લેખ સમુદ્ર મંથનના વર્ણનમાં થયો છે. તે અનુસાર સમુદ્ર મંથન અથવા "દૂધના સમુદ્રનું મંથન" થયું ત્યારે કામધેનુ ગાયની સાથે કલ્પવૃક્ષ સમુદ્રમાંથી બહાર આવ્યા હતાં. કામધેનુ ગાય એ એક દૈવી ગાય છે જે બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ વૃક્ષને આકાશગંગા અથવા લુબ્ધક તારાનું (સીરીયસ તારો)નું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. દેવતાઓનો રાજા, ઇન્દ્ર આ કલ્પવૃક્ષ પોતાની સાથે સ્વર્ગમાં તેના નિવાસસ્થાન પર લઈ પાછો ગયો અને ત્યાં તેનું વાવેતર કર્યું. શિલ્પા શાસ્ત્રનો એક ભાગ એવા સંસ્કૃત પુસ્તક માનાસરમાં પણ આ વૃક્ષનો ઉલ્લેખ જોવા મળે છે. એક અન્ય માન્યતા અનુસાર કલ્પવૃક્ષ પૃથ્વી પર ઉગેલો હતો પણ લોકો આ વૃક્ષ પાસે પોતાની દુષ્ટ કામનાઓની ઈચ્છા પૂર્તિ કરાવીને તેનો દુરૂપયોગ કરવા લાગ્યા આથી ઇન્દ્ર તેને પોતાને ઘરે લઈ ગયા. તેમને મંડન, પરિજાત, સંતના, કલ્પવૃક્ષ અને હરિચંદન કહેવામાં આવે છે, આ દરેક વૃક્ષ વિવિધ ઇચ્છાઓ પૂરી કરે છે. એવી માન્યતા છે કે મેરૂ પર્વતની ટોચ પર ઇન્દ્રના "દેવવોલોક" માં પાંચ ઉદ્યાનની વચ્ચે કલ્પવૃક્ષ રોપાયેલા છે. આ વૃક્ષને કારણે જ દેવો અને દાનવો વચ્ચે સાશ્વતી યુદ્ધ શરૂ થયું હતું. આ વૃક્ષના ફળો અને ફૂલોને દેવતાઓને ભોગવવા મળ્યા જ્યારે અસુરોને તે વૃક્ષનો નીચે થડ અને મૂળનો ભાગ મળ્યો. પંગારો (આઇરથ્રીના ઈન્ડીકા) (સંસ્કૃત: પારીજાત)ને ઘણીવાર તેની કલ્પવૃક્ષના પાર્થિવ સમકક્ષ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વર્ણન કરતી વખતે મોટે ભાગે મેગ્નોલિયા અથવા ચંપા (અંગ્રેજી: ફ્રેંગીપાની, સંસ્કૃત: ચંપક)ના ઝાડની જેમ દર્શાવવામાં આવે છે. વર્ણન અનુસાર તેના મૂળ સોનાના, થડ ચાંદીના, ડાળીઓ લાજવર્દ અથવા રાજાર્વતની (અંગ્રેજી: Lapis lazuli) પાંદડા છીપલાના, ફૂલો મોતીના, કળીઓ રત્નોની અને ફળો હીરાના બનેલા હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે પાર્વતીને એકલતામાંથી રાહત આપવા માટે અશોકસુંદરીની રચના કલ્પવૃક્ષથી કરવામાં આવી હતી.
હિન્દૂ પૌરાણિક કથા અનુસાર જ્યારે રાક્ષસ અંધકાસૂરે આક્રમણ કર્યું ત્યારે શિવ અને પાર્વતીએ ખૂબ દુઃખી હૃદયે તેમના પુત્રી અરણ્યી વિદાય આપી અને તેને સુરક્ષિત રાખવા માટે દૈવી કલ્પવૃક્ષને સોંપવામાં આવી. પાર્વતીએ કલ્પવૃક્ષને તેમની પુત્રીને "સલામતી, શાણપણ, આરોગ્ય અને ખુશહાલી" સાથે ઉછેરવાની સલાહ આપી અને તેને ઉછેરી વનદેવી, વનની રક્ષક બનાવવા વિનંતી કરી.
જૈન જ્યોતિષશાસ્ત્ર અનુસાર કલ્પવૃક્ષ ઇચ્છા પૂર્ણ કરતો વૃક્ષ છે જે કાળ ચક્રના પ્રારંભિક તબક્કામાં લોકોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. તે પ્રારંભિક તબક્કામાં બાળકો જોડીમાં જન્મે છે (છોકરો અને છોકરી) અને કોઈ (પાપ) કર્મ કરતા નથી. ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે જે વિવિધ ૧૦ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે જેમકે નિવાસસ્થાન, વસ્ત્રો, વાસણો, ફળો અને મીઠાઇઓ સહિતના પોષણ, સુખદ સંગીત, આભૂષણ, સુગંધિત ફૂલો, ચમકતા દીવા અને રાત્રે અજવાળતો પ્રકાશ.
જૈન જ્યોતિષશાસ્ત્ર મુજબ, અવસર્પિણી કાળના ત્રણ આરા (અસમાન સમયગાળા) સુધી કલ્પવૃક્ષો લોકોને જરૂરી જીવન સામગ્રીઓ પૂરી પાડે છે, પરંતુ ત્રીજા આરાના અંત તરફ, તેમની ઉપજ લુપ્ત થાય છે. અમુક ગ્રંથોમાં આઠ પ્રકરના કલ્પવૃક્ષો વર્ણવવામાં આવ્યા છે, જેમાંના દરેક જુદી જુદી જરૂરિયાતો પૂરી પાડતા. દા.ત. "મધ્યાંગ વૃક્ષ" માંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીણાં મેળવી શકાતા; "ભોજનાંગ" માંથી, સ્વાદિષ્ટ ખોરાક; "જ્યોતિરાંગ" માંથી, સૂર્ય અને ચંદ્ર કરતાં વધુ પ્રકાશ; જ્યારે "દોપાંગ" માંથી ઘરની અંદરનો પ્રકાશ મળતો. અન્ય વૃક્ષો ઘરો, સંગીતનાં ઉપકરણો, રાચરચીલા, સરસ વસ્ત્રો, માળા અને સુગંધ પૂરા પાડતા.
તીલોયા પન્નતિ પુસ્તક કલ્પવૃક્ષોઓના પ્રકારની નીચેની યાદી આપે છે: પનંગ, તુરીયાંગ, ભુષણાંગ, વથ્થાંગ, ભોયાંગ, આલયાંગ, વિવીયાંગ, ભયણાંગ, માલાંગ, તેજાંગ. પહેલાં નવ વૃક્ષો ઉત્તમ પીણાં, સંગીત, અલંકારો, કપડાં, ખાવાની અને તૈયાર વાનગીઓ, રહેવા માટે દીવા સાથે હવેલીઓ, વાસણો અને ફૂલોના માળા વગરે આપે છે. જ્યારે છેલ્લું તેજાંગ સ્વપ્રકાશીત વૃક્ષ છે જે સ્વર્ગ સમાન અજવાળું આપે છે.
બોદ્ધ ધર્મ અનુસાર અમીતાયુષ અને ઉષ્નિષવિજય જેવા દીર્ઘાયુષ્ય આપતા દેવતાઓના હાથમાં જે "લાંબા જીવન ફૂલદાની" હોય છે તેના ઉપરના ભાગ પર કલ્પ વૃક્ષનું ચિત્ર હોય છે. શ્રમણ દેવી તેના ડાબા હાથમાં કલ્પવૃક્ષની ઝવેરાત ધરાવતી શાખા ધરે છે.
વિદિશામાં આવેલી બૌદ્ધ મૂર્તિમાં માનવહીન પૂજાના ભાગ રૂપે ન્યાગ્રોધના વૃક્ષની પૂજા દર્શાવવામાં આવી છે. બેસનગર અથવા વિદિશા ખાતે આવેલું આ શિલ્પ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીનું છે અને તે કલકત્તા મ્યુઝિયમમાં પ્રદર્શિત છે.
મ્યાનમારમાં થેરવાડા બોદ્ધ ધર્મ પ્રચલિત છે, અહીં કલ્પવૃક્ષના મહત્વ તરીકે કથીના (વસ્ત્રોનું દાન) નામના એક વાર્ષિક કર્મકાંડમાં ઉપાસકો સાધુને પૈસાના વૃક્ષની ભેટ આપે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article કલ્પવૃક્ષ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.