દક્ષિણા, ગુરુના સન્માન સ્વરુપે આપવામાં આવતી ભેટ અથવા યજ્ઞ, શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક ક્રિયાકાંડોના સંબંધમાં આપવામાં આવતી ધન રાશિને કહેવામાં આવે છે.
ભારતવર્ષનાં ગુરુકુળોમાં વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરવા જતા હતા ત્યારે તેઓ ગુરુ અને તેના પરિવારની સેવા કરીને અથવા જો સંપન્ન પરિવારમાંથી આવતા હોય તો કંઇક વસ્તુ કે ધનરાશિ અર્પણ કરીને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, કિંતુ પ્રાય: કંઇક આપવાવાળા ઘણા ઓછા વિદ્યાર્થીઓ મળતા અને મોટેભાગે સેવાશુશ્રુષા કરીને જ વિદ્યા પ્રાપ્ત કરતા હતા. આવા વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ સમાપ્ત કરી જ્યારે પોતાના ઘરે જવા નીકળે ત્યારે ગુરુના સન્માન અને શ્રદ્ધા સ્વરુપ કંઇક ભેટ અર્પણ કરતા હતા, જેને ગુરુદક્ષિણા કહેવાતી હતી. ધીરે ધીરે ગુરુદક્ષિણાનો રિવાજ સ્થાપિત થઇ ગયો અને અત્યંત ગરીબ વિદ્યાર્થી પણ કંઇકને કંઇક દક્ષિણા અવશ્ય આપવાના યત્ન કરવા લાગ્યો. આ દક્ષિણા વિધાનમાં આવશ્યક રીતે યોગ્ય માનવામાં આવી હોય, એવું નહીં, પરંતુ શ્રદ્ધાળુ વિદ્યાર્થી સ્વેચ્છાથી ભેટ અર્પણ કરે એવો ક્રમ થઇ ગયો. આ રિવાજ આજે પણ પ્રાચીન પરંપરાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુરુપૂર્ણિમા (અષાઢ મહિનાની પૂનમ)ના દિવસે પોતાના ગુરુજનની દ્રવ્ય, ફળફળાદિ, પુષ્પ અને મિઠાઇ દક્ષિણા સહિત પૂજા કરે છે.
દક્ષિણા આપવા પાછળ એક ભાવના પોતાના ગુરુપરિવારના ભરણપોષણ અને આર્થિક આવશ્યકતાઓની પૂર્તિના ઉત્તરદાયિત્વ, જે વિદ્યાદાનને માટે ન તો કોઇ આવશ્યક અને નિશ્ચિત રાશિ માંગતા અને ન તો રાજ્ય શાસન પાસે અથવા સમાજ પાસે એ માટે કોઇ નિશ્ચિત વેતન મેળવતા. આ ઉત્તરદાયિત્વનું વહન પ્રજાને માટે કર્તવ્યનિષ્ઠ રાજાઓ માટે આવશ્યક માનવામાં આવતું હતું. કાલિદાસે કૌત્સને પોતાના ગુરુ વરતંતુને દક્ષિણા આપવા સંબંધી જે કથા લખી છે (रघुवंश, पण्चम्, 20-30) એ જોતાં દક્ષિણા વિશેની બધી જ માન્યતાઓનું સ્પષ્ટીકરણ થઇ જાય છે. જો ગરીબ શિષ્ય ગુરુને દક્ષિણા પોતે અર્પણ ન કરી શકે તો રાજા પાસે તે મેળવવાનો ગુરુને અધિકાર હતો અને તે કોઇપણ પરિસ્થિતિમાં વિમુખ કરી શકાતો ન હતો.
ગુરુને અપાતી દક્ષિણા સિવાય બીજી દક્ષિણા ધાર્મિક કાર્યો સંબંધિત છે. યજ્ઞ દક્ષિણા આપ્યા વગર પૂર્ણ થતો નથી અને એનું કોઇ ફળ મળતું નથી, યજ્ઞ પૂર્ણ થયા પછી બ્રાહ્મણ અને પુરોહિતને તરત જ દક્ષિણા આપવામાં આવે અને કોઇ પણ પરિસ્થિતિમાં તે બાકી ન રહી જવી જોઇએ. બાકી રહેલાથી તે સમયના અનુપાત સાથે વધતી જાય છે. દક્ષિણા ન આપનાર બ્રહ્મસ્વાપહારી, અશુચિ, દરિદ્ર, પાતકી, વ્યાધિયુક્ત તથા અન્ય કષ્ટોથી ગ્રસ્ત બની જાય છે, એની લક્ષ્મી ચાલી જાય છે, પિતૃઓ એનો પિંડ સ્વીકાર નથી કરતા અને એની કેટલીઈ પેઢીઓ આગળ તથા પાછળના પરિવારજનોને અધોગતિ મળે છે. (ब्रह्मवै. , प्रकृति. 42 वाँ अध्याय) આદિ વિધાનો અને ભયની ઉત્પત્તિ પાછળનું એક મુખ્ય કારણ હતું. યજ્ઞો અને અન્ય ધામિક કાર્યો કરાવનાર જે બ્રાહ્મણો અને પુરોહિતોનો જે વર્ગ હતો એમના જીવિકોપાર્જનનું સાધન ધીરે ધીરે દક્ષિણા જ રહી અને તે એનું શુલ્ક અને વૃત્તિ બની ગઈ, જેને કોઈ બાકી રાખી શકતું નહીં. દક્ષિણા ન મળે તો તેઓ ખાશે શું? પરિણામે ઍમણે સ્વંય તો નિયમ બનાવ્યો જ, સાથે રાજાઓ અને શાસકોને પણ સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાઔ દ્વારા આ વાત માટે વિવશ કર્યા કે તેઓ દક્ષિણા ન ચુકવનારાઓને દંડિત કરે. યજ્ઞની દક્ષિણા ન ચુકવનાર રાજા હરિશ્ચંદ્રને વિશ્વામિત્રએ જે પહેલાં એમના પુરોહિત રહી ચુક્યા હતા, કેવી રીતે દંડિત કર્યા, એ કથા પુરાણોમાં જોવા મળે છે (मार्कं., अध्याय 7-8; हिस्ट्री ऑव कोशल, विशुद्धानंद पाठक, पृष्ठ 137-8). આ દક્ષિણાઓ આજના સમયમાં પણ ભારતીય જીવનમાં ધાર્મિક કૃત્યો, યજ્ઞો અને પૂજાઓ શ્રાદ્ધો અને સંસ્કારિક અવસરોનું મુખ્ય અંગ રહ્યું છે. દક્ષિણા સ્વર્ણ, રજત, મહોર (સિક્કા), અન્ન, વસ્ત્ર વગેરે અનેક રુપે આપવામાં આવે છે અને યજમાનની આર્થિક પરિસ્થિતિ અને શ્રદ્ધા અનુસાર તેની માત્રા વધતી ઘટતી રહે છે. વૃત્તિ હોવા છતાં પણ એનું પ્રમાણ ક્યારેય નિશ્ચિત કરવામાં આવ્યું હોય, એવું નહીં કહી શકાય.
દક્ષિણાના સંબંધમાં ધાર્મિક ભાવ ઉત્તપન્ન કરવાની પરંપરામાં જ દક્ષિણાને યજ્ઞ પુરુષની સ્ત્રીના રુપમાં વર્ણવતી દેવકથાનો વિકાસ થયો (ब्रह्मवै., प्रकृति., 42 वाँ अध्याय) અને દક્ષિણાને પણ એક દેવી તરીકે માની લેવામાં આવી.
This article uses material from the Wikipedia ગુજરાતી article દક્ષિણા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.