અશફાકુલ્લા ખાન (૨૨ ઓક્ટોબર ૧૯૦૦ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સહ-સ્થાપક હતા.
અશફાક ઊલ્લા ખાન | |
---|---|
અશફાક ઊલ્લા ખાન | |
જન્મની વિગત | શાહજહાંપુર, ઉત્તર પશ્ચિમ પ્રાંતના, બ્રિટીશ ભારત | 22 October 1900
મૃત્યુ | 19 December 1927 ફૈઝાબાદ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 27)
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | અશફાક ઊલ્લાહ ખાન |
સંસ્થા | હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન |
પ્રખ્યાત કાર્ય | ભારતીય સ્વાતંત્ર્ય સેનાની |
અશફાક ઊલ્લા ખાનનો જન્મ બ્રિટીશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં, શફીકુલ્લાહ ખાન અને મઝરૂનિસ્સા ને ઘેર થયો હતો. તેઓ તેમના છ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા.
ઈ. સ. ૧૯૨૨ માં, મહાત્મા ગાંધીએ ભારતમાં બ્રિટીશ શાસન સામે અસહકાર આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ ઈ.સ. ૧૯૨૨ માં ચૌરી ચૌરા કાંડ બાદ મહાત્મા ગાંધીએ આ આંદોલન પાછું ખેંચી લેવાનું નક્કી કર્યું. તે સમયે ખાન સહિત ઘણા યુવાનો હતાશ થઈ ગયા હતા. તે જ વખતે ખાને સમાન વિચારધારા ધરાવતા સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું જેના પરિણામે ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની રચના થઈ. આ સંગઠનનો હેતુ સ્વતંત્ર ભારત હાંસલ કરવા માટે સશસ્ત્ર ક્રાંતિઓનું આયોજન કરવાનો હતો.
પોતાની કાર્યવાહીને વેગ આપવા અને પ્રવૃત્તિઓને આગળ વધારવા, શસ્ત્રો અને દારૂગોળો ખરીદવા માટે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના ક્રાંતિકારીઓએ ૮ ઓગસ્ટ ૧૯૨૫ ના રોજ શાહજહાંપુરમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. ઘણા વિચાર વિમર્શ બાદ ટ્રેનોમાં લઈ જવાતા સરકારી ખજાનાને લૂંટવાનો નિર્ણય લેવામાં આવ્યો. ૯ ઑગસ્ટ ૧૯૨૫ ના દિવસે, અશફાક ઊલ્લા ખાન અને અન્ય ક્રાંતિકારીઓ, જેમ કે રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, ચંદ્રશેખર આઝાદ, કેશબ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુન્દી લાલ, મનમથનાથ ગુપ્તાએ લખનૌ નજીક કાકોરીમાં બ્રિટિશ સરકારનું નાણું લઇ જતી ટ્રેનને લૂંટી હતી.
બ્રિટિશ સરકારે એક મોટી તપાસ જાળી ફેલાવી રાખી હતી તેમ છતાં પણ ટ્રેન લૂંટાયા બાદ એક મહિનો વીતી ગયા છતાં પણ કોઈ પણ ધરપકડ કરી શકાઈ ન હતી. ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૫ ની સવારે બિસ્મિલને પોલીસે પકડ્યો હતો. છેવટે પોલીસ દ્વારા ન પકડી શકાયેલા અશફાક ઊલ્લા ખાન એક માત્ર ક્રાંતિકારી રહ્યા હતા. તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયા, બિહારથી તેઓ બનારસ ગયા, જ્યાં એમણે ૧૦ મહિના સુધી એક ઇજનેરી કંપનીમાં કામ કર્યું. સ્વતંત્રતા સંગ્રામમાં વધુ ઉપયોગી થવાના ઉદ્દેશ્યથી વધુ ઇજનેરી શીખવા માટે તેઓ વિદેશ જઈ અભ્યાસ કરવા માંગતા હતા. આથી દેશની બહાર જવાના રસ્તાઓ શોધવા માટે તેઓ દિલ્હી ગયા. તેમણે પોતાના એક પઠાણ મિત્રની મદદ લીધી જે ભૂતકાળમાં તેમના સહ-વિદ્યાર્થી હતો. પરંતુ આ મિત્રે પોલીસને તેના ઠેકાણાની માહિતી આપી દગો આપ્યો હતો.
અશફાક ઊલ્લા ખાનને ફૈઝાબાદની જેલમાં બંદી બનાવવામાં આવ્યા અને તેમના પર ખટલો ચાલ્યો. તેમનો ભાઈ રિયાસતુલ્લાહ ખાન વકીલ હતા. જ્યારે જેલમાં હતા ત્યારે અશફાકુલ્લા નિયમિત રીતે કુરાન વાંચતા અને નમાજ઼ પઢતા. રમઝાન મહિના દરમિયાન તેમણે કડક રોઝા પણ કર્યા હતા. કાકોરી લૂંટના કેસની અંતમાં ફેંસલો સંભળાવતા ન્યાયાધીશે બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી અને ઠાકુર રોશન સિંહને મૃત્યુ દંડ ફરમાવ્યો હતો. અન્યોને આજીવન કારાવાસની સજા થઈ હતી.
અશફાક ઊલ્લા ખાનને ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના દિવસે ફૈઝાબાદ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ ક્રાંતિકારી માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, તેની સ્પષ્ટ વિચારસરણી, હિંમત, દ્રઢતા અને નિષ્ઠાને કારણે ભારતીય લોકોમાં શહીદ અને દંતકથા સમાન બની રહ્યો.
અશફાકુલ્લાહ ખાન અને તેના દેશબંધુઓની ક્રાંતિને હિન્દી ફિલ્મ રંગ દે બસંતી (૨૦૦૬) માં દર્શાવવામાં આવી છે, જેમાં તેમના પાત્રને કૃણાલ કપૂરે ભજવ્યું હતું. સ્ટાર ભારત પરની ટેલિવિઝન સિરીઝ ચંદ્રશેખરમાં ચેતન્ય અદિબે ખાનનું પાત્ર ભજવ્યું હતું.
This article uses material from the Wikipedia ગુજરાતી article અશફાક ઊલ્લા ખાન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.