ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો.
૧૯૦૧માં ઉધમસિંહના માતા અને ૧૯૦૭માં તેમના પિતાનું અવસાન થઇ ગયું. આ ઘટનાના લીધે ઉધમસિંહને તેમના મોટાભાઈ સાથે અમૃતસરના અનાથાશ્રમમાં રહેવું પડ્યું. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું. જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નવા નામ મળ્યા. ઉધમસિંહ સર્વધર્મના પ્રતીક સમાન હતા. એટલા માટે જેલવાસ દરમિયાન તેમણે પોતાનું નામ બદલીને "રામ મોહહમ્મદ સિંહ આઝાદ" રાખ્યું હતું જે ભારતના પ્રમુખ ધર્મોના પ્રતિક છે.
ઉધમસિંહ | |
---|---|
માઇકલ ડાયરની હત્યા પછી લઇ જવાતા ઉધમસિંહ (ડાબેથી બીજા) | |
જન્મની વિગત | ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ સુનામ, પંજાબ પ્રાંત, બ્રિટિશ ભારત |
મૃત્યુ | ૩૧ જુલાઇ ૧૯૪૦ પેન્ટનવિલે જેલ, યુકે |
સંસ્થા | ગદર પાર્ટી, હિંદુસ્તાન સોશિશ્યાલિસ્ટ રીપબ્લિક એશોશિએશન, ઇન્ડિયન વર્કર્સ એશોશિએશન |
ચળવળ | ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ |
અનાથાશ્રમમાં ઉધમસિંહનું જીવન પસાર થઇ રહ્યું હતું ત્યાંજ ૧૯૧૭માં તેમના ભાઈનું અવસાન થઇ ગયું અને તેઓ બધી રીતે અનાથ થઇ ગયા. ૧૯૧૯માં તેમણે અનાથાશ્રમ છોડી દીધું અને ક્રાન્તિકારીઓની સાથે મળી દેશની આઝાદીની ચળવળમાં ભળી ગયા.
રોલેટ એક્ટના વિરોધમાં ૩૦ માર્ચ અને ૦૬ એપ્રિલ ૧૯૧૯ના રોજ પંજાબમાં લોકોએ હળતાલ પાડી. અમૃતસરની સ્થિતિ અંકુશ બહાર ગઈ છે તેમ લાગતા તેમને લશ્કરના હવાલે કર્યું. ૧૩ એપ્રિલ ૧૯૧૯ વૈશાખી (પાક લણણીનો દિવસ) ના દિવસે સાંજે ૪:૩૦ વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને બધાના પ્યારા નેતાઓ ડૉ. કિચલું અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સભા ગેરકાયદેસર હોવાની જાહેરાત કર્યા વિના અને કશીયે પૂર્વ ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરવાનો ઓર્ડર જનરલ ડાયરે આપ્યો. જેમાં હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી.
આ આખી ઘટના ઉધમસિંહએ પ્રત્યક્ષ નિહાળી હતી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ જનરલ ડાયરની હત્યા કરશે.[ચકાસણી જરૂરી]
પોતાના આ મિશનને અંજામ આપવા અલગ અલગ નામોથી આફ્રિકા, નૈરોબી, બ્રાઝીલ અને અમેરિકાની યાત્રા કરી. ઈ.સ. ૧૯૩૪ માં ઉધમસિંહ લંડન પહોંચી ગયા. ત્યાં ૯ એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે યાત્રાના હેતુથી એક કાર લીધી હતી. ભારતના આ વીર ક્રાંતિકારી માઈકલ ઓ. ડાયરની હત્યા કરવા માટેના યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.
ઉધમસિંહને પોતાના ભાઈ-બહેનોની મોતનો બદલો લેવાનો મોકો ૧૯૪૦માં મળ્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડના ૨૧ વર્ષ પછી ૧૩ માર્ચ ૧૯૪૦માં રોયલ એશિયન સોસાયટીની લંડનના કાકસ્ટન હોલમાં બેઠક હતી. જ્યાં માઈકલ ઓ. ડાયર પણ વક્તાઓમાંનો એક હતો. ઉધમસિંહ તે દિવસે સમયસર પોતાની જગ્યાએ બેસી ગયા. તેમણે પોતાની રિવોલ્વર એક મોટી ચોપડીમાં છુપાવી હતી. અને તેના માટે તેમણે ચોપડીના પાનાને રિવોલ્વરના આકારમાં કાપી નાખ્યા હતા. જેનાથી જનરલ ડાયરની જાન લેનાર હથિયાર સરળતાથી છુપાવી સકાય.
બેઠક પુરી થઇ ત્યારબાદ દિવાલની પાછળથી ઉધમસિંહએ જનરલ ડાયરને ૨ ગોળીઓ મારી જેનાથી ડાયરનું તાત્કાલિક અવસાન થઇ ગયું. ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને તેઓએ આત્મસર્મપણ કરી દીધું. તેમના પર મુકદમો ચાલ્યો. ૪ જૂન ૧૯૪૦ના રોજ ઉધમસિંહને હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી અને ૩૧ જુલાઈ ૧૯૪૦માં પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.
This article uses material from the Wikipedia ગુજરાતી article ઉધમસિંહ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.