ખંડકાવ્ય એ કાવ્યનો એક પ્રકાર છે.
આ કાવ્ય પ્રકાર સંસ્કૃત સાહિત્ય પરથી ઉતરી આવ્યો છે. આ પ્રકાર જીવનની કોઈ એક ખાસ ઘટના કે ખંડને આવરી લે છે.
ખંડકાવ્યમાં માનવજીવનના એકાદ વૃત્તાંતનું, એના જીવનના અમુક ખંડનું અને ચાર પુરુષાર્થોમાંથી એકાદ પુરુષાર્થનું નિરૂપણ થતું હોય છે. ખંડકાવ્ય એ નર્યા પ્રસંગને નિરૂપતું પ્રસંગકાવ્ય કે કથા-અંશને નિરૂપતું કથાકાવ્ય નથી; પરંતુ વૃત્તાંતનો ટેકો લઈને માનવસંવેદનને (પછી ભલે એ મૃગ કે ચક્રવાકનું કથાપ્રતિક બનીને આવતું હોય) ઉત્કટતાથી આલેખીને જીવનના ખંડપ્રદેશના નિરૂપણ દ્વારા જીવન સમગ્રને આલોકિત કરતું હોય છે.
વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં ખંડકાવ્યની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે ગુજરાતીમાં ડોલરરાય માંકડે પણ ખંડકાવ્યને રુદ્રટને અનુસરીને લઘુકાવ્ય – પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવ્યું છે.
ગુજરાતી સાહિત્યમાં કથાકાવ્યોની પરંપરા જૂની છે. પરંતુ કવિકાન્તે આ સાહિત્ય પ્રકારને નવો વળાંક આપ્યો. કવિ કાન્તે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યકલાના સુભગ સમન્વયરૂપે આ સાહિત્યપ્રકાર નિપજાવ્યો અને તે કૃતિઓ ‘ખંડકાવ્ય’નામે પ્રચલિત બન્યો. તેમણે લખેલા વૃત્તાંતકાવ્યો (‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’)ને ખંડકાવ્યો તરીકે ઓળખાયા છે.
આ કાવ્ય પ્રકારને કવિ નરસિંહરાવ દિવેટિયા ‘પરલક્ષી સંગીતકાવ્ય’ અને ઉમાશંકર જોશી તેને ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ કે ‘કથનોર્મિકાવ્ય’ તરીકે પણ ઓળખાવે છે. પરંતુ ખંડ કાવ્ય આ નામ વધુ પ્રચલિત બન્યું છે.
પ્રાયઃ ખંડકાવ્યનો આરંભ પાત્રની ઉક્તિથી કે પરિસ્થિતિ કે પ્રકૃતિના ચિત્રણથી થતો જોવા મળે છે. પાત્રના મનોમંથનમાં થતા બે વિરોધી ચિત્તવૃત્તિઓનું નિરૂપણ તેમાં જોવા મળે છે એમાં સંઘર્ષનું પ્રગટીકરણ થાય છે.
કાન્તનાં ખંડકાવ્યો ગુજરાતીમાં ખંડકાવ્યના ઉત્તમ માનદંડ તરીકે સ્થાપિત થયાં છે.
સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ અને ‘ઋતુસંહાર’ ખંડકાવ્યના ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યના ઉદાહરણો આ મુજબ છે:
આ ઉપરાંત ‘જટાયુ’ સિતાંશુ યશશ્ચન્દ્ર , બાહુક (ચિનુ મોદી), અશ્વત્થામાની સ્વગતોક્તિ (નલિન રાવળ), ‘શિખંડી’ (વિનોદ જોશી) પૌરાણિક વિષયોનો કથાસંદર્ભ લઈ લખાયેલા અન્ય ખંડ કાવ્યો છે.
ઈ.સ. ૧૯૫૭માં ‘આપણાં ખંડકાવ્યો’- નામે ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટે બે પુરવણીઓમાં ૩૦ ખંડાકાવ્યો સંપાદિત કર્યા હતા. એ પછી ૧૯૮૫માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’- નામે ચિનુ મોદી અને સતીશ વ્યાસે એક સંપાદન બહાર પાડ્યું જેમાં એમણે ૧૪ શિષ્ટ, ૬ વિશિષ્ટ અને ૩ પરિશિષ્ટ એવા ત્રણ વિભાગમાં ખંડકાવ્યો સંપાદિત કર્યાં છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article ખંડકાવ્ય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.