હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક (૫ ઓગસ્ટ ૧૯૩૮) ગુજરાતી ભાષાના કવિ, ટૂંકી વાર્તા લેખક, સંપાદક અને બાળ વાર્તા લેખક છે.
હરિકૃષ્ણ પાઠક | |
---|---|
હરિકૃષ્ણ પાઠક, જાન્યુઆરી ૨૦૧૮ | |
જન્મ | હરિકૃષ્ણ રામચંદ્ર પાઠક 5 August 1938 બોટાદ, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એસસી. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત યુનિવર્સિટી |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | કુમાર સુવર્ણચંદ્રક (૧૯૬૭) |
જીવનસાથી | ચંદ્રિકા (લ. 1961) |
સહી |
તેમનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ મોંઘીબેન અને રામચંદ્રભાઇને ત્યાં થયો હતો. તેમનું જન્મસ્થળ બોટાદ અને તેમનું વતન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ છે. ૧૯૫૬માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૧-૬૨માં સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેમણે મિજલસ અને બૃહસ્પતિ સભા જેવા સાહિત્યિક વર્તુળોનું સંચાલન કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. તેઓ ચિત્રકાર, રેખાચિત્રકાર તેમજ ગાયક પણ છે.
તેમનું પ્રથમ સર્જન નાટકનો તખ્તો ચાંદની માં પ્રગટ થયું હતું, જ્યારે તેમની પ્રથમ કવિતા કુમારમાં પ્રગટ થઇ હતી.સૂરજ કદાચ ઊગે (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવા પચીસી (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. મોરબંગલો (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે.
તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. કોઈનું કંઈ ખોવાય છે (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. દોસ્તારની વાતો (૧૯૯૩) બાળકો માટેની વાર્તાઓનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી (૧૯૭૯) નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. હલ્લો-ફલ્લો (૨૦૦૫) પણ બાળસાહિત્યનું પુસ્તક છે.
તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭), ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (૧૯૮૪), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર મળ્યો હતો.
૧૯૬૧માં તેમના લગ્ન ચંદ્રિકાબેન સાથે ભાવનગર ખાતે થયા હતા અને તેમને ૬ સંતાનો છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article હરિકૃષ્ણ પાઠક, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.