નવનિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી.
આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.
નવનિર્માણ આંદોલન | ||||
---|---|---|---|---|
તારીખ | 20 December 1973 | - 16 March 1974|||
સ્થળ | ગુજરાત, ભારત | |||
કારણો | જાહેરજીવનમાં મોંઘવારી અને ભષ્ટ્રાચાર | |||
ધ્યેયો | મુખ્યમંત્રીનું રાજીનામું અને વિધાનસભાની વિખેરી નાખવી | |||
વિરોધની રીતો | વિરોધ કૂચ, શેરી વિરોધ, રમખાણ, ભૂખ હડતાલ, હડતાલ | |||
પરિણામ | વિધાનસભાને વિખેરી નખાઇ અને નવી ચૂંટણીઓ | |||
આંદોલનમાં સામેલ પક્ષો | ||||
| ||||
મુખ્ય વ્યક્તિઓ | ||||
| ||||
હિંસા અને કાર્યવાહી | ||||
મૃત્યુઓ | ઓછામાં ઓછાં ૧૦૦ | |||
ઇજાગ્રસ્તો | ૧૦૦૦-૩૦૦૦ | |||
ધરપકડો | ૮૦૦૦ |
જુલાઇ ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમની સામે ભષ્ટ્રાચારના આરોપો હતા. ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.
૨૦ ડિસેમ્બર ૧૯૭૩ ના દિવસે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાનો વધારો થવાથી હડતાલ પર ઉતરી આવ્યા. આ પ્રકારની હડતાલ ૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઇ જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા. શૈક્ષણિક સંસ્થાનોમાં ૭ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ. તેમની માંગણી ભોજન અને શિક્ષણ સંબંધી હતી. અમદાવાદમાં મધ્યમ વર્ગ અને કેટલાક શ્રમિકો પણ આ વિરોધમાં જોડાયા અને તેમણે કેટલીક રેશનની દુકાનો પર હુમલો કર્યો. વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે પાછળથી નવનિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ.
આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગણી કરી. ૧૦ જાન્યુઆરી એ અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની. ૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ આયોજીત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણોની ઘટનાઓ બની. સરકારે ૪૪ શહેરોમાં સંચારબંધી લાગુ કરી અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું. ૨૮ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું.
આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઇ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે ૯ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું. રાજ્યપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. વિરોધ પક્ષે વિધાનસભાને વિખેરી નાખવાની માગણી કરી. કોંગ્રેસ વિધાનસભામાં ૧૪૦ સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસ (ઓ)ના ૧૫ સભ્યોએ ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજીનામાં આપ્યા જેને કારણે આંદોલને વેગ પકડ્યો. જન સંઘના ૩ ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૬૭ માંથી ૯૫ રાજીનામાંઓ મેળવ્યા. કોંગ્રેસ (ઓ)ના પ્રમુખ, મોરારજી દેસાઈ, ૧૨ માર્ચથી અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા. ૧૬ માર્ચના રોજ વિધાનસભાને વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.
આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૧૦૦૦ થી ૩૦૦૦ લોકો ઇજાગ્રસ્ત થયા અને ૮૦૦૦ લોકોથી ધરપકડ કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક સમિતિએ નવી ચૂંટણીઓ કરવાની માગણી કરી અને વિરોધપક્ષે તેનું સમર્થન કર્યું હતું. મોરારજી દેસાઈ આ માંગણીના ટેકામાં ૬ એપ્રિલ ૧૯૭૫ના રોજ અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી ગયા. છેવટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી જે ૧૦ જૂનના રોજ યોજવામાં આવી અને પરિણામો ૧૨ જૂન ૧૯૭૫ના રોજ જાહેર થયા. ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં ગોલમાલનો ચુકાદો પણ તે જ દિવસે આવ્યો જે પછીથી દેશમાં કટોકટીમાં પરિણમ્યો. આ દરમિયાન ચીમનભાઇ પટેલે પોતાના નવા પક્ષ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી અને અલગથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસે ચૂંટણીમાં હાર મેળવી અને માત્ર ૭૫ બેઠકો જીતી. કોંગ્રેસ (ઓ), જન સંઘ, PSP અને લોક દળનું સંગઠન જે જનતા મોર્ચા તરીકે જાણીતું હતું, તેમણે ૮૮ બેઠકો મેળવી અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. આ સરકાર ૯ મહિના ચાલી અને પછી માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું અને કિમલોપ અને અપક્ષના પક્ષ પલ્ટાથી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા. ૧૯૮૦માં થયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.
જયપ્રકાશ નારાયણે ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ ચીમનભાઇ પટેલના રાજીનામા પછી ગુજરાતની મુલાકાત લીધી, જોકે તેઓ આંદોલન સાથે સંકળાયેલા નહોતા. બિહારમાં તે વખતે બિહાર આંદોલન શરૂ થઇ ગયું હતું. નવનિમાર્ણ આંદોલને તેમને સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ આપ્યો જે કટોકટીમાં પરિણમ્યો. ત્યાર પછી જનતા મોર્ચો જનતા પક્ષમાં પરિવર્તિત થયો અને ૧૯૭૭માં ભારતની સામાન્ય ચૂંટણી પછી સૌ પ્રથમ બિન-કોંગ્રેસ સરકારની રચના થઇ અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા.
કોંગ્રેસે રાજકારણમાં મજબૂત બનવા માટે નવા જાતિ આધારિત ચૂંટણી વ્યૂહની રચના કરી જે KHAM (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) તરીકે જાણીતી બની. આનાથી ઉચ્ચ વર્ગે પોતાની રાજકીય પકડ અને મહત્વ પર ભય અનુભવ્યો અને તેમણે ૧૯૮૧માં લાગુ પડાયેલા આરક્ષણો સામે જલદ પ્રક્રિયાઓ આપી. આ પ્રક્રિયાઓ ૧૯૮૫માં મંડલ-વિરોધી રમખાણોમાં પરિણમી, જે પછીથી હિંદુ-મુસ્લિમ રમખાણોમાં પરિણમ્યા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય આ સમયગાળા દરમિયાન થયો.
ચીમનભાઇ પટેલ ભાજપના ટેકાથી ૧૯૯૦માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
આ આંદોલને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ અને તેના વિદ્યાર્થી પાંખ એબીવીપીના નેતાઓને રાજકારણમાં સ્થાપિત કરવામાં મદદ કરી. નરેન્દ્ર મોદી, જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા તેઓ તેમાનાં એક હતા.
નવનિર્માણ આંદોલને મધ્યમ વર્ગના લોકો અને વિદ્યાર્થીઓનો નાણાંકીય કટોકટી અને સરકારના ભષ્ટ્રાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
This article uses material from the Wikipedia ગુજરાતી article નવનિર્માણ આંદોલન, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.