અરુંધતી (સંસ્કૃત: अरुन्धती) સપ્તર્ષિમાંના એક એવા ઋષિ વસિષ્ઠની પત્ની છે.
અરુંધતી | |
---|---|
અંગત | |
ધર્મ | હિંદુ ધર્મ |
જીવનસાથી | વસિષ્ઠ |
બાળકો | શક્તિ મહર્ષિ |
ઉર્સા મેજર (સપ્તર્ષિ) નામના નક્ષત્ર એક તારાને વસિષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અરુંધતીને સવારનો તારા (શુક્ર ગ્રહ) અને એલ્કોર નામના તારા સાથે પણ ઓળખવામાં આવી છે, અલ્કોર તારો ઉર્સા મેજર નક્ષત્રમાં માઈઝાર (ભારતીય ખગોળ અનુસાર સપ્તર્ષિમાં વસિષ્ઠ મહર્ષિ તરીકે ઓળખાતો તારો) સાથે જોડિયો તારો બનાવે છે. સપ્તર્ષિના સાત ઋષિઓમાંથી એકની જ પત્ની હોવા છતાં, અરુંધતીને સાત ઋષિ સમાન જ સન્માન આપવામાં આવે છે અને તેમની સાથે જ પૂજવામાં આવે છે. વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં તેમને પવિત્રતા, વૈવાહિક આનંદ અને પત્ની ભક્તિનું લાક્ષણિક ઉદાહરણ માનવામાં આવે છે. સંસ્કૃત અને હિન્દીમાં પૌરાણિક સાહિત્ય પછીના મહાકાવ્યમાં, તેમને "પવિત્ર અને આદરણીય" તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક અવું પાત્ર છે જે અડગ, પ્રેરણાદાયી અને અનુકરણ લાયક છે. હિંદુ સંસ્કૃતિમાં અરુંધતી પર કેન્દ્રિત અનેક માન્યતાઓ, પ્રથાઓ અને પરંપરાઓ પ્રચલિત છે જેમાં સપ્તપદી પછીના લગ્ન સમારંભમાં એક વિધિ, ઉપવાસ, નિકટવર્તી મૃત્યુને લાગતી માન્યતાઓનો સમાવેશ થાય છે.
વિવિધ હિંદુ શાસ્ત્રોમાં અરૂંધતીના જન્મ અને જીવનનો ઉલ્લેખ છે. અરૂંધતીના જન્મની કથા શિવ પુરાણ અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. બ્રહ્માએ અરૂંધતિને આપેલી સૂચનાનું વર્ણન રામચરિતમાનસના ઉત્તરાકાંડમાં આપવામાં આવ્યું છે. વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિ વચ્ચેની ચડસાચડસી ને કારણે તેણીના સો પુત્રો મૃત્યુ પામે છે તેનું વર્ણન વાલ્મિકી રામાયણના બાલકાંડમાં આપેલું છે. મહાભારત અને અનેક બ્રાહ્મણ ગ્રંથો શક્તિ સહિત તેના પુત્રો અને પૌત્ર પરાશરનું વર્ણન કરે છે. સીતા અને રામ સાથે અરુંધતિની બેઠકોનો ઉલ્લેખ રામાયણ, રામચરિતમાનસ અને વિનય પત્રિકામાં છે. શિવને પાર્વતી સાથે લગ્ન કરવા માટે મનાવવામાં તેણીની ભૂમિકાનું વર્ણન કાલિદાસના કુમારસંભવના છઠ્ઠા ખંડમાં આવે છે.
ભાગવત પુરાણ અનુસાર, કર્દમ અને દેવહુતિની નવ પુત્રીઓમાં અરૂંધતી આઠમું સંતાન છે. તે પરાશરની દાદી અને વ્યાસની મોટી-દાદી છે. શિવ પુરાણમાં તેમને અગાઉના જન્મમાં બ્રહ્માની વિચાર(મગજ)થી જન્મેલી પુત્રી સંધ્યા તરીકે વર્ણવાઈ છે. વસિષ્ઠની સૂચના પર, સંધ્યાએ પોતાને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યા કરી શિવને પ્રસન્ન કર્યા, શિવએ તેમને મેધાતીથીની અગ્નિમાં કૂદવાનું કહ્યું. તે પછી તે મેધાતીથીની પુત્રી તરીકે તેમનો જન્મ થયો હતો અને વસિષ્ઠ સાથે તેમના લગ્ન થયા. કેટલાક અન્ય પુરાણો તેમને કશ્યપની પુત્રી અને નારદ મુનિ અને પર્વતની બહેન તરીકે વર્ણવે છે, અને નારદે વસિષ્ઠ સાથે તેમના લગ્નન કરાવ્યા.
મહાભારત અરૃંધતિને એક તપસ્વીની તરીકે વર્ણવે છે જે સાત ઋષિઓને પણ પ્રવચનો આપતી હતી. અગ્નિની પત્ની સ્વાહા, અન્ય છ ઋષિઓની પત્નીઓનું રૂપ ધારણ કરી શકી, પરંતુ વસિષ્ઠની પત્ની અરુંધતિનું નહીં. મહાકાવ્યમાં એ પણ વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે ૧૨ વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે તેણીએ એકવાર શિવને પ્રસન્ન કર્યા અને મૂળ અને ફળ વિના પીડિત સાત ઋષિઓને સહાય કરી હતી. તેમની પવિત્રતતા અને પતિની સેવાનો ઉલ્લેખ મહાભારતમાં અપ્રતિમ છે.
વાલ્મીકિ રામાયણ મુજબ, તેણીને સો પુત્રો થયા, જેમને વિશ્વામિત્ર દ્વારા મૃત્યુનો શ્રાપ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને શક્તિ નામનો પુત્ર અને બાદમાં સુયજ્ઞ નામના બીજા પુત્રનો જન્મ થયો, જેણે વસિષ્ઠના આશ્રમમાં રામ સાથે અભ્યાસ કર્યો હતો. કેટલાક સ્રોત કહે છે કે તેમને શક્તિ અને ચિત્રકેતુ સહિત આઠ પુત્રો હતા.
હિંદુ લગ્નની એક ધાર્મિક વિધિમાં, વરરાજા કન્યાને વસિષ્ઠ અને અરૂંધતીના જોડિયા તારાઓને એક આદર્શ દંપતી તરીકે બતાવે છે, જે વૈવાહિક પરિપૂર્ણતા અને વફાદારીનું પ્રતીક છે. યુગલોને વૈવાહિક પ્રેમ અને સ્નેહનું પ્રતીક સમાન નક્ષત્ર શોધવાનું કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ બીજના દિવસે, ભારતના અમુક પ્રદેશોમાં, અરુંધતીના સન્માનમાં જેમના પતિ જીવિત છે, તેવી પત્નીઓ દ્વારા એક વ્રત રાખવામાં આવે છે. આ વ્રત એવી માન્યતા ધરાવે છે કે તેનું પાલન કરતી મહિલાઓ વિધવા નહીં થાય.
નરી આંખે અરુંધતી તારો એકદમ ઝાંખો દેખાય છે, એવી માન્યતા છે કે જ્યારે કોઈ મૃત્યુની નજીક હોય છે, ત્યારે તે અરૂંધતિ તારો જોઈ શકતા નથી. તેની ઝાંખપને લીધે, અરુંધતી તારાને શોધવા પહેલાં તેજસ્વી તારાઓ બતાવવામાં આવે છે, અને તેની મદદ લઈ અરુંધતી તારો નિર્દેશિત કરવામાં આવે છે. આને આધારે સંસ્કૃતમાં એક રૂઢિ પ્રયોગ બન્યો છે જેને અરુંધતી દર્શન ન્યાય (अरुन्धतीदर्शनन्यायः) કહે છે. જે અનુસાર જ્ઞાત પદાર્થોને ઓળખી, અજ્ઞાત અર્થ દર્શાવાય છે.
અરુંધતીના જીવન પર ૧૯૯૪ માં જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દ્વારા એક હિંદી મહાકાવ્ય અરુંધતી નામે રચવામાં આવ્યું છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article અરુંધતી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.