બિંદુસાર મૌર્ય સામ્રાજ્યનો બીજા ક્રમાંકનો રાજા હતો.
તે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર અને મૌર્ય સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક અશોકનો પિતા હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૯૭ થી ઈ.સ.પૂ. ૨૭૩ સુધીનો માનવામાં આવે છે.
બિન્દુસાર | |
---|---|
અમિત્રઘાત | |
બિંદુસારના સમયગાળા દરમિયાનનો મૌર્ય સામ્રાજ્યનો ચલણી સિક્કો (૧ કર્ષાપણ) | |
બીજો મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ. ૨૯૭ થી ઈ.સ.પૂ. ૨૭૩ |
રાજ્યાભિષેક | ઈ.સ.પૂ. ૨૯૭ |
પુરોગામી | ચંદ્રગુપ્ત મૌર્ય |
અનુગામી | અશોક (પુત્ર) |
મૃત્યુ | ઈ.સ.પૂ. ૨૭૩ |
જીવનસાથી | સુભદ્રાંગી |
વંશજ | સુસીમા, અશોક, વિતશોકા |
વંશ | મૌર્ય |
પિતા | ચંદ્રગુપ્ત મૌર્ય |
માતા | દુર્ધરા (જૈન મત પ્રમાણે) |
બિંદુસારના જીવન વિશે સચોટ આલેખન જોવા મળતું નથી. પ્રાચીન ગ્રંથોમાં બિંદુસાર માટે જુદા જુદા નામો મળે છે. જૈન ગ્રંથોમાં તેને ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે દર્શાવવામાં આવ્યો છે. સંસ્કૃત ગ્રંથોમાં તેના માટે અમિત્રઘાત (શત્રુઓનો વિનાશક) નામ મળે છે, જ્યારે ગ્રીક ઇતિહાસગ્રંથોમાં તેને મળતો 'અમિત્રચેટ્સ' શબ્દ પ્રયોજાયો છે. પુરાણોમાં તેનું નામ બિંદુસાર આપવામાં આવ્યું છે. ચીની સાહિત્યમાં 'બિંદુપાલ' નામનો ઉલ્લેખ મળે છે.જૈન વિદ્વાન હેમચંદ્ર તથા તિબ્બતી ઇતિહાસકાર તારાનાથના મતે ચંદ્રગુપ્તના અવસાન બાદ પણ ચાણક્ય જીવિત હતો તથા તે બિંદુસારનો પણ મંત્રી હતો.
બિંદુસારને પિતા તરફથી ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારત તેમજ અફઘાનિસ્તાન બલુચિસ્તાનનો થોડોક ભાગ — એમ વિશાળ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. તેણે પોતાના રાજ્યનો વિસ્તાર દક્ષિણ ભારત સુધી વિસ્તાર્યો હતો.બિંદુસારના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યના વિદેશી રાજ્યો સાથેના સંબંધો મૈત્રીસભર રહ્યા હતા. સિરિયાના રાજવી એન્ટિયોક્સ પહેલાએ પોતાના રાજદૂત ડાયમૅક્સને તેમજ ગ્રીક રાજવી ટૉલકેમીએ પોતાના રાજદૂત ડાયોમિસિયસને બિંદુસારના દરબારમાં મોકલ્યા હતા. પુરાણો અનુસાર બિંદુસારનું શાસન ૨૪ વર્ષ તથા મહાવંશ અનુસાર તેનું શાસન ૨૭ વર્ષ રહ્યું હતું. ડૉ. રાધામુકુદ મુખરજીના મત અનુસાર બિંદુસારનું મૃત્યુ ઈ.સ.પૂ. ૨૭૨માં થયું હતું. અન્ય કેટલાક વિદ્વાનોના મતે બિંદુસારનું મૃત્યુ ઈ.સ.પૂ. ૨૭૦માં થયું હતું. તેનું અવસાન થતા તેનો પુત્ર અશોક મૌર્ય વંશની ગાદીએ આવ્યો હતો.
૧૬મી સદીના તિબેટીયન બૌદ્ધ લેખક તારાનાથના મતે ચાણક્યએ ૧૬ શહેરોના કુલીનો અને રાજાઓને નષ્ટ કરી દીધા અને બિંદુસારને પશ્ચિમી અને પૂર્વી સમુદ્રો (અરબી સમુદ્ર અને બંગાળી ખાડી) વચ્ચેના તમામ ક્ષેત્રનો માલિક બનાવી દીધો. કેટલાક ઇતિહાસકારોના મતે આ ઘટના બિંદુસારના દક્ષિણ વિજયને દર્શાવે છે જ્યારે અન્ય કેટલાકના મતે તે કેવળ વિદ્રોહોના દમનને દર્શાવે છે.
ઇતિહાસકાર શૈલેન્દ્રનાથ સેનના મત પ્રમાણે મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન જ પશ્ચિમી સમુદ્ર (સૌરાષ્ટ્ર) અને પૂર્વી સમુદ્ર (બંગાળ) સુધી વિસ્તરેલુ હતુ. આ ઉપરાંત, દક્ષિણ ભારતમાંથી પ્રાપ્ત થયેલા અશોકના શિલાલેખોમાં ક્યાંય પણ બિંદુસારના દક્ષિણ વિજય વિશે કોઇ ઉલ્લેખ જોવા મળતો નથી. આ આધારે શૈલેન્દ્રનાથ એ નિષ્કર્ષ આપે છે કે બિંદુસારે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર નથી કર્યો પરંતુ ચંદ્રગુપ્ત પાસેથી વિરાસતમાં મળેલા ક્ષેત્રોને પ્રશાસનિક રીતે સાચવી રાખવામાં સફળ થયેલ છે.
બીજી તરફ કે. કૃષ્ણા રેડ્ડીનો એ તર્ક છે કે જો અશોકે દક્ષિણ ભારત પર વિજય મેળવ્યો હોત તો જરૂરથી તેના શિલાલેખોમાં તેનો ઉલ્લેખ જોવા મળતો અલબત રેડ્ડીના મતે બિંદુસારના શાસનકાળ દરમિયાન જ મૌર્ય સામ્રાજ્ય મૈસૂર સુધી વિસ્તર્યું હશે. તેમના અનુસાર દક્ષિણી રાજ્યો મૌર્ય સામ્રાજ્યનો હિસ્સો ન હતા પરંતુ આ રાજ્યો મૌર્ય સામ્રાજ્યના દયાપાત્ર રહ્યા હશે.
એલેન ડેનીયલનું માનવુ છે કે, બિંદુસારને એક એવું સામ્રાજ્ય વિરાસતમાં મળ્યું હતુ કે જેમાં દક્ષિણનો ક્ષેત્રિય વિસ્તાર પણ સમાવિષ્ટ હતો તથા બિંદુસારે તેમાં કોઇ ક્ષેત્રીય વધારો કર્યો નથી. તેનો આ તર્ક સંગમ સાહિત્યમાં નોંધાયેલ વમ્બા મોરિયાર (મૌર્ય વિજય) પર આધારિત છે. જોકે, સંગમ સાહિત્યમાં મૌર્ય અભિયાનો વિશે કોઇ વિવરણ આપેલ નથી. આમ, ડેનિયલ મંતવ્ય પ્રમાણે બિંદુસારની મુખ્ય ઉપલબ્ધિ ચંદ્રગુપ્ત દ્વારા વિરાસતમાં મળેલ સામ્રાજ્યની અખંડતા માત્ર હતી.
ઐતિહાસિક સાક્ષ્ય પ્રમાણે બિંદુસારનું મૃત્યુ ઇ.સ.પૂ. ૨૭૦માં થયું હતું. એલેન ડેનીયલના મતાનુસાર બિંદુસારનું મૃત્યુ ઇ.સ.પૂ. ૨૭૪માં થયું હતું.શૈલેન્દ્રનાથ સેનના મત પ્રમાણે તેનું મૃત્યુ ઇ.સ.પૂ. ૨૭૩-૨૭૨માં થયું હશે તથા તેના મૃત્યુના ચાર વર્ષ સુધી ઉત્તરાધિકારના સંઘર્ષ બાદ ઇ.સ.પૂ. ૨૬૯-૨૬૮માં તેનો પુત્ર અશોક મૌર્ય વંશની ગાદીએ આવ્યો હતો.
મહાવંશ અનુસાર બિંદુસારે ૨૮ વર્ષ સુધી શાસન સંભાળ્યું હતું. વાયુ પુરાણ તેનો શાસનકાળ ૨૫ વર્ષનો દર્શાવે છે. બૌદ્ધ સ્ત્રોત મંજૂશ્રી મૂળકલ્પ પ્રમાણે તેણે ૭૦ વર્ષ સુધી શાસન કર્યું હતું જે ઇતિહાસની દ્રષ્ટિએ વિશ્વસનીય નથી.
લગભગ બધા જ સંદર્ભો એકમત રીતે અશોકને તેના ઉત્તરાધિકારી તરીકે આલેખે છે. જોકે ઉત્તરાધિકાર માટેના તેના સંઘર્ષ અને પરિસ્થિતિઓનું અલગ અલગ વિવરણ જોવા મળે છે. મહાવંશ અનુસાર અશોકને ઉજ્જૈનનો પ્રશાસક નિમવામાં આવ્યો હતો. તથા તેના પિતાની ઘાતક બીમારી વિશેની જાણ થતાં જ તે રાજધાની પાટલીપુત્ર પહોંચ્યો હતો, જ્યાં તેણે તેના ૯૯ ભાઇઓની હત્યા કરી રાજગાદી મેળવી લીધી હતી.
This article uses material from the Wikipedia ગુજરાતી article બિન્દુસાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.