ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા.
ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ચાણક્ય | |
---|---|
કાર્યો | અર્થશાસ્ત્ર |
ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા.
ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો.
એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ.
વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે પાકિસ્તાનમાં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.
અલક્ષેન્દ્ર (અલિકસુંદર) તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો ઈરાનને જીતી ભારત પર - અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા અને એકબીજાના રાજ્ય પરત્વે અભિન્ન રહેતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે પર્વતેશ્વર (પોરસ) ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી એલેકઝાન્ડરમાં ભળી ગયો અને પર્વતેશ્વર સામે લડાઇ કરવા તેની સાથે થયો.
મગધ ત્યારે શક્તિશાળી રાજ્ય હોવાથી પોતાના વૈતક્તિક મતભેદો બાજુ પર રાખી, એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ ફરીથી પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ.
પાટલીપુત્ર છોડી તેઓ તક્ષશિલા જવા તૈયાર થયા. રસ્તામાં તેમણે બાળકોને રમતા જોયા જ્યા એક બાળક બીજા બધાનો રાજા બની તેમને ન્યાય આપતો હતો. બાળકની ન્યાયની સમજણ જોઇ ચાણક્યે તેને જ પાટલીપુત્રનો રાજા બનાવવા નિશ્ચય કર્યો અને તેને તેની માતા પાસેથી ખરીદી લીધો. તેણે માતાને સમજાવી કે તે તેના પુત્રને મહાન બનવાની શિક્ષા આપશે. આ પુત્ર એટલે ચંદ્રગુપ્ત અને તે મુરા દાસીનો પુત્ર હોવાથી તેને મૌર્ય કહેવાય છે.
તક્ષશિલામા આવી ચંદ્રગુપ્તને ભણવા મુકયો અને પોતે શિક્ષણ કાર્ય ચાલું રાખ્યું. તેમણે એલેક્ઝાન્ડરના સૈન્યમાં ભારતીય સૈન્યોની ઘણી અફવા ફેલાવી હતી; એલેક્ઝાન્ડરનું સૈન્ય લાંબા પ્રવાસથી થાકી ગયું હતું અને બધી અફવાથી તેમણે ભારતમાં આગળ યુદ્ધ ન કરવા બળવો કર્યો. એલેક્ઝાન્ડર પણ પોરસ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો આથી તેણે નિ:સહાય પાછા ફરવાનું નક્કી કર્યુ અને સેલ્યુકસને તે પ્રાંત સોંપી પોતે ગ્રીક જવા સિંધુ અને સમુદ્ર માર્ગે પાછો ફર્યો.
એલેક્ઝાન્ડરના પ્રસંગથી ચાણક્યને સમજાયું કે ભારતમાં એક શક્તિશાળી રાજ્ય હોવાની જરૂર છે જે તેની સંસ્કૃતિની રક્ષા કરી શકે. રાજાઓ તરફથી મદદ ના મળવાને કારણે તેમણે લોકજાગૃતિનું કામ કર્યુ. ચંદ્રગુપ્ત અને બીજા વિધ્યાર્થીઓની મદદ લઇ લોકોને ગ્રીક રાજકર્તા સામે ઉશ્કેર્યા. અને તેમણે નાના સૈન્યો બનાવ્યા. ગ્રીક લોકોને મારવાનું અને ગ્રીક રાજ્યના ભારતીય લોકોને નહી મારવાનું નક્કી કરી યુદ્ધો કર્યા જેથી બધા ભારતીયો એક થાય અને ગ્રીક લોકોને પોતાના જ ભારતીય સૈનિકોથી અવિશ્વાસ પેદા થાય. સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્ત રાજા બન્યો અને પછી ચાણક્ય પોતાના મુખ્ય હેતુ માટે પાટલીપુત્ર ફરીથી ગયા.
પાટલીપુત્રમાં તેમણે નાલંદા વિદ્યાપીઠ ઊભી કરવા રાજાને વિનંતિ કરી. તેમને ખબર હતી કે ધનનંદ આવી વાતની ના પાડશે સાથે સાથે આવી જ કોઇ વાતથી પાટલીપુત્રની પ્રજા રાજા સામે બળવો કરશે. ચાણક્યનો પ્રસ્તાવ રાજાએ ઠુકરાવ્યો અને બધા જ મંત્રીઓ રાજા પ્રત્યે નારાજ થયા. આ જ દરમિયાન ચાણક્યના વિશ્વાસુ લોકોએ ધનનંદના પુત્રને, સેનાપતિને ફોડી લીધા. નગરમાં એક રાત્રી યુદ્ધ પણ થયું અને ચાણકયએ ચંદ્રગુપ્ત જે ગુપ્તવેશે નગરમાં આવેલો તેને રાજા બનાવ્યો અને ધનનંદને સવાર પહેલા જ રથમાં બેસાડી નગર બહાર મોકલી આપ્યો. ધનનંદના જ મહામંત્રી રાક્ષસને મહાઅમાત્ય તરીકે નિયુક્ત કર્યા.
This article uses material from the Wikipedia ગુજરાતી article ચાણક્ય, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.