દમયંતી જોશી (૫ સપ્ટેમ્બર ૧૯૨૮ – ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૪) કથક નૃત્ય સ્વરૂપના જાણીતા પ્રખર પ્રતિપાદક હતા.
તેઓ માનતા હતા કે કથક એ વાર્તા કહેવાની કળા છે. તેમણે ૧૯૩૦ના દાયકામાં મેડમ મેનકાની મંડળીમાં નૃત્ય કરવાની શરૂઆત કરી હતી, જેણે વિશ્વના ઘણા ભાગોમાં પ્રવાસ કર્યો હતો. તેઓ જયપુર ઘરાનાના સીતારામ પ્રસાદ પાસેથી કથક શીખ્યા હતા અને ખૂબ જ નાની ઉંમરે કુશળ નૃત્યાંગના બન્યા હતા, અને બાદમાં લખનૌ ઘરાનાના અચન મહારાજ, લચ્છુ મહારાજ અને શંભુ મહારાજ પાસેથી તાલીમ લીધી હતી, આમ બંને પરંપરાઓમાંને ઝીણવટપૂર્વક આત્મસાત કરી હતી. તેઓ ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર થયા અને ૧૯૬૦ના દાયકામાં ખ્યાતિ પ્રાપ્ત કરી, ત્યારબાદ તેઓ મુંબઈની તેમની નૃત્ય શાળામાં ગુરુ બની ગયા.
દમયંતી જોશી | |
---|---|
જન્મની વિગત | મુંબઈ, ભારત | 5 September 1928
મૃત્યુ | 19 September 2004 મુંબઈ, ભારત | (ઉંમર 76)
વ્યવસાય | નૃત્યાંગના, કોરિયોગ્રાફર, નૃત્ય પ્રશિક્ષક |
નોંધપાત્ર કાર્ય | કલા, કથક |
તેમને ૧૯૭૦માં પદ્મશ્રી અને ૧૯૬૮માં નૃત્ય માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ લખનઉમાં યુ.પી. કથક કેન્દ્રના નિયામક રહ્યા હતા.
૧૯૨૮માં મુંબઈના એક હિન્દુ પરિવારમાં જન્મેલા દમયંતી, જનરલ ડૉ.સાહેબ સિંઘ સોખે અને તેમના પત્ની લીલા સોખે (જન્મે રોય)ના ઘરે ઉછર્યા હતા. મૅડમ મેનકા તરીકે જાણીતા લીલા સોખીએ પોતાનું બાળક ગુમાવ્યું હતું અને તેણીએ જોશીને દત્તક લેવાનું નક્કી કર્યું હતું. જોશીની માતા વત્સલા જોશીએ તેમની પુત્રીને છોડી ન હતી અને તેઓ સંયુક્ત વાલી બનવા સંમત થયા હતા. પાલક માતા મેનકાની મંડળીમાં તેણી પંડિત સીતારામ પ્રસાદ પાસેથી કથક વિશે શીખી હતી. દસ વર્ષ પછી, જ્યારે તેણી ૧૫ વર્ષની હતી ત્યારે તેમણે યુરોપના મુખ્ય શહેરોમાં નૃત્ય પ્રદર્શન કર્યું હતું. સોખે પરિવારે દમયંતીની માતાને પોતાને ત્યાં નોકરીએ રાખી હતી અને જોશીએ શિક્ષણ મેળવ્યું હતું. મૅડમ મેનકાના સમકાલીનોમાં શિરીન વજીફદાર પણ હતા, જેઓ પારસી સમુદાયના અગ્રણી શાસ્ત્રીય નૃત્યાંગના હતા. તેઓ મુંબઈના શ્રી રાજરાજેશ્વરી ભારત નાટ્ય કલા મંદિરના પ્રથમ વિદ્યાર્થીની હતા, જ્યાં તેમણે ગુરુ ટી. કે. મહાલિંગમ પિલ્લાઈ પાસેથી ભરતનાટ્યમ શીખ્યા હતા.
૧૯૫૦ના દાયકાના મધ્યભાગ પછી દમયંતીએ પોતાની જાતને એક સફળ એકલ (સોલો) કથક નૃત્યાંગના તરીકે પ્રસ્થાપિત કરી, તેમણે અચન મહારાજ, લચ્છુ મહારાજ અને લખનૌ ઘરાનાના શંભુ મહારાજ તથા જયપુર ઘરાનાના ગુરુ હીરાલાલ જેવા પંડિતો પાસેથી તાલીમ લીધી. ખાસ કરીને કથક કેન્દ્ર, દિલ્હી ખાતે તેમણે શંભુ મહારાજના હાથ નીચે તાલીમ લીધી હતી. કથક નૃત્યમાં "સાડી"ને વેશભૂષા તરીકે રજૂ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
તેમણે ઇન્દિરા કલા વિશ્વવિદ્યાલય, ખૈરગઢ અને લખનૌમાં કથક કેન્દ્રમાં કથક શીખવ્યું હતું. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર (૧૯૬૮) અને પદ્મશ્રી (૧૯૭૦)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ બિરેશ્વર ગૌતમના પ્રશિક્ષક હતા.
તેઓ ૧૯૭૧માં ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા કથક પરની ડૉક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યા હતા અને હુકુમત સરીન દ્વારા નિર્દેશિત "દમયંતી જોશી" નામની અન્ય એક ફિલ્મ ૧૯૭૩માં બનાવવામાં આવી હતી.
દમયંતી જોશીનું ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૪, રવિવારના રોજ મુંબઈમાં તેમના ઘરે અવસાન થયું હતું. તેઓ બીમાર હતા અને હૃદયઘાતનો હુમલો આવ્યા પછી લગભગ એક વર્ષથી પથારીવશ હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article દમયંતી જોશી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.