કુન્દનિકા કાપડિયા (૧૧ જાન્યુઆરી ૧૯૨૭ – ૩૦ એપ્રિલ ૨૦૨૦) એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા.
કુન્દનિકા કાપડિયા | |
---|---|
કુન્દનિકા કાપડિયા | |
જન્મ | લીંબડી, ગુજરાત, ભારત | 11 January 1927
મૃત્યુ | ૩૦ એપ્રિલ ૨૦૨૦ નંદીગ્રામ, વાંકલ (તા.વલસાડ) વલસાડ |
વ્યવસાય | નવલકથાકાર, વાર્તા લેખક, નિબંધકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૫) |
જીવનસાથી | મકરંદ દવે (લ. 1968) |
તેમનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.
તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી નવનીતના સંપાદક પણ રહી ચુક્યા છે.
૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું.
સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે તેમના બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો છે.
તેમને મુખ્યત્વે ભારતના ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર અને બહારના દેશોના શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું તેઓ જણાવે છે. આ લેખકોના વાંચનથી એમની સાહિત્ય દ્વારા કશુંક યોગદાન આપવાની ભાવના ઘડાઈ. ‘સ્નેહધન’ તેમનું તખલ્લુસ હતું.
એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. જન્મભૂમિ પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત થયેલી. એમના વાર્તાસંગ્રહોમાં પ્રેમનાં આંસુ (૧૯૫૪) તથા વધુ ને વધુ સુંદર (૧૯૬૮), કાગળની હોડી (૧૯૭૮) અને જવા દઈશું તમને (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.
એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતાં પહેલાં (૧૯૬૮)' જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. અગનપિપાસા (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. સાત પગલાં આકાશમાં (૧૯૮૪)' નામની એમની બહુચર્ચિત દીર્ઘનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.
એમણે છ જેટલા અનુવાદ આપ્યા છે: લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ વસંત આવશે (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ દિલભર મૈત્રી (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ પૂર્ણકુંભ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ દ્વાર અને દીવાલ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન પરમસમીપે (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.
સાત પગલાં આકાશમાં (૧૯૮૪) : સ્ત્રી અને પુરુષો વચ્ચેના સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, કુંદનિકા કાપડિયાની નવલકથા, કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવનનું વ્યવધાન સુચવાય છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાય છે. પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પડછે વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિંનિધિ જેવું ચીતર્યું છે તેમાં અસંતુલિત આલેખન કળાઈ જાય છે. વળી, ઘણા બધાં પાત્રો અને સમસ્યાઓનું એકસાથે નિરુપણ કરવા જતાં નવલકથાના આકારની સુરેખતા પણ સઘાયેલી નથી અને તેથી આનંદગ્રામની યોજનાની વાસ્તવિકતા સંશય પ્રેરે તેવી છે. આમ છતાં પાત્રોનાં મનોવિશ્લેષણો અને મનોમંથનો કથાને રસપ્રદ બનાવે છે.
તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૮૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે મળ્યો. ૧૯૮૪માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article કુન્દનિકા કાપડિયા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.