નેપોલિયન બોનાપાર્ટ (જન્મનું નામ: નેપોલિયન ડિ બોનાપાર્ટ-Napoleone di Buonaparte) ૧૫ ઓગસ્ટ ૧૭૬૯ – ૫ મે ૧૮૨૧) ફ્રેન્ચ લશ્કરી વડો, ફ્રાન્સનો પ્રથમ કોન્સલ અને પછીથી ફ્રાન્સનો શાસક હતો.
તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલો (Napoleon I) તરીકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રાન્સ) પદે રહ્યો.
નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.
નેપોલિયનનો જન્મ ૧૫ ઑગસ્ટ ૧૭૬૯ના રોજ કોર્સિકાના અજેસિયો શહેરમાં એક સામાન્ય સ્થિતિના બોનાપાર્ટ કુટુંબમાં થયો હતો. બોનાપાર્ટો મૂળ ઈટાલીના હતા, પરંતુ વર્ષોથી તેઓ કોર્સિકામાં રહેતા હતા. નેપોલિયનના જન્મના થોડા જ સમય પહેલાં જિનોઆએ કોર્સિકા ટાપુ ફ્રાન્સને વેચ્યો હતો તેથી તેઓ ફ્રાન્સના પ્રજાજનો બન્યા હતા. નેપોલિયનના પિતા કાર્લો બોનાપાર્ટ વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા. શરૂઆતમાં કાર્લો કોર્સિકાને ફ્રેંચ અંકુશમાંથી મુક્ત કરવા માટે સ્થપાયેલા પક્ષના સભ્ય હતા, પરંતુ પાછળથી તેઓ ફ્રાન્સતરફી બન્યા હતા.
બોનાપાર્ટો ઉમરાવ કુટુંબના હોવા છતાં શ્રીમંત ન હતા. આથી તેમણે કિશોર નેપોલિયનને બ્રિયેન તથા પૅરિસની લશ્કરી શાળાઓમાં ધર્માદા શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરવા મોકલ્યો હતો. પરિણામે તે બંને જગ્યાએ તેને શ્રીમંત વિદ્યાર્થીઓ તરફથી ઉપેક્ષા અને ઉપહાસ સહન કરવા પડ્યા હતાં. આને કારણે તે શરૂઆતથી જ ગંભીર, અતડો અને અધ્યયનપ્રિય વિદ્યાર્થી બન્યો હતો. ઈતિહાસ, ભૂગોળ અને ગણિતશાસ્ત્ર તેના પ્રિય વિષયો હતા; તે ઉપરાંત સાહિત્ય, રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં પણ તેને ઊંડો રસ હતો.
૧૬ વર્ષની વયે તેણે લશ્કરી શાળા છોડી અને તે લશ્કરી તોપદળના લેફ્ટનન્ટ તરીકે ભરતી થયો. પરંતુ પોતાની માતૃભૂમિ કોર્સિકા તરફ તેને તીવ્ર આકર્ષણ હોવાથી તે વારંવાર લાંબી રજાઓ પર કોર્સિકા ચાલ્યો જતો. આવી અનિયમિતતાને કારણે તેને થોડા જ સમયમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો. ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન કેટલાક ઉમરાવો પરદેશ ચાલ્યા જતાં લશ્કરમાં જગ્યાઓ ખાલી પડી. આથી નોકરીની શોધમાં તે ૧૭૯૨માં ફરી ફ્રાન્સ આવ્યો. અહીં તેણે ક્રાંતિના કેટલાક મહત્ત્વના બનાવો (રાજમહેલ પર પૅરિસના ટોળાઓનું આક્રમણ, સપ્ટેમ્બરની કત્લેઆમ વગેરે) નજરે નિહાળ્યા અને તેની સહાનુભીતિ જેકોબિન વિચારસરણી અને જેકોબિન પક્ષ તરફ વધી. આને કારણે તેને પહેલાંનો હોદ્દો ફરીવાર પ્રાપ્ત થયો. તે પછી તુરત જ તેને એપ્રિલ ૧૭૯૩માં ટુલોં શહેરનો રાજાશાહી-તરફી બળવો દબાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું, જેમાં તેણે સફળતા મેળવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આથી તેને બ્રિગેડયર જનરલ તરીકે બઢતી આપવામાં આવી. પરંતુ ઠોડા સમયમાં જેકોબિન નેતા રોબ્સપિયરના મૃત્યુ બાદ તેને પણ રોબ્સપિયરનો અનુયાયી ગણીને અન્ય જેકોબિનો સાથે જેલમાં મોકલી દેવામાં આવ્યો. પછીથી ત્રાસના સામ્રાજ્યમાં તેણે કોઈ ભાગ ભજવ્યો હોવાનો પુરાવો ન મળતાં તેને છોડી મૂકવામાં આવ્યો.
થોડા જ સમય બાદ ફ્રાન્સની બંધારણસભાએ ઘડેલા નવા બંધારણ સામે પેરિસનાં ટોળાઓ અને કેટલાક રાજાશાહી તરફી તત્ત્વોએ બળવો કરી બંધારણસભાના મકાન પર હલ્લો કર્યો ત્યારે તેનું રક્ષણ કરવાની જવાબદારી નેપોલિયનને સોંપવામાં આવી, જે સફળતાપુર્વક નિભાવી. નવા બંધારણ પ્રમાણે રચાયેલી 'ડાયરેક્ટરી'એ તેની સેવાની કદરરૂપે તેને ફ્રાન્સના આંતરીક લશ્કરના સેનાપતિ તરીકે બઢતી આપી.
૫ મે ૧૮૨૧ના રોજ દક્ષિણ એટલાંટિક મહાસાગરમાં આવેલા બ્રિટનના અંકુશ હેઠળના સેંટ હેલેના નામના ટાપુ પર તે હોજરીના કેન્સરથી મૃત્યુ પામ્યો હતો.
This article uses material from the Wikipedia ગુજરાતી article નેપોલિયન બોનાપાર્ટ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.