વસ્તુપાળ એ ૧૩મી સદીની શરૂઆતમાં વર્તમાન ગુજરાત ક્ષેત્રમાં શાસન કરનારા વાઘેલા વંશના રાજા વીરધવલ અને તેમના અનુગામી વિશળદેવના મહાઅમાત્ય (મંત્રી) અને દંડનાયક હતા.
તેમણે વહીવટી અને લશ્કરી વિભાગમાં સેવા આપી હોવા છતાં તેઓ કલા, સાહિત્ય અને લોકનિર્માણના આશ્રયદાતા પણ હતા. તેઓ તેમના ભાઈ તેજપાળ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે. તેમણે પોતાના ભાઈ તેજપાળ સાથે મળીને રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી અને લાટ, ગોધરા, કચ્છ અને દિલ્હી સલ્તનત વિરુદ્ધ અનેક અભિયાનોમાં સેવા આપી હતી. બંને ભાઈઓએ દેલવાડા મંદિરો અને ગિરનાર જૈન મંદિરો (ગિરનાર પર વસ્તુપાળ-વિહાર)ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વસ્તુપાળ | |
---|---|
મૃત્યુ | ઈ.સ. ૧૨૪૦ અંકેવાલિયા (હવે ગુજરાત, ભારતમાં) |
વ્યવસાય | વાઘેલા વંશના દરબારમાં મંત્રી |
જીવનસાથી | લલિતાદેવી, સોખુકાદેવી |
સંતાનો | જયંતસિંહ |
માતા-પિતા |
|
સંબંધીઓ | તેજપાળ (ભાઈ) અને અન્ય નવ ભાઇ-બહેનો |
વસ્તુપાળ અને તેમના ભાઈ તેજપાળનો જન્મ અણહિલવાડ પાટણમાં (વર્તમાન પાટણ) પ્રાગવટ અથવા પોરવાડ જૈન પરિવારમાં થયો હતો. નગેન્દ્ર ગચ્છ (એક યતિ સમુદાય)ના જૈન સાધુ વિજયસેનસુરી તેમના કુળગુરુ હતા. તેમના પૂર્વજો વિશેની વિસ્તૃત માહિતી સાહિત્યિક કૃતિઓ અને શિલાલેખોમાંથી મળી આવી છે : 'નરનારાયણ-આનંદ'માં વસ્તુપાળે ચંડપનો પોતાના પૂર્વજ તરીકે ઉલ્લેખ કર્યો છે અને આ વંશનો વિસ્તાર 'પ્રબંધ-કોશ' અને 'પુરાણ-પ્રબંધ-સંગ્રહ'માં કરવામાં આવ્યો છે.
ચંડપ સંભવતઃ ચાલુક્ય દરબારમાં મંત્રી હતા, જ્યાં તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. ચંડપ્રસાદની પત્ની જયશ્રીએ બે પુત્રો સુર અને સોમને જન્મ આપ્યો હતો. જેઓ ચાલુક્ય શાસક સિદ્ધરાજ જયસિંહના દરબારી રત્ન હતા. સોમની પત્ની સીતાને એક પુત્ર અશ્વરાજ (અથવા આશારાજા) હતો. બાદમાં અશ્વરાજ મંત્રી બન્યા અને પ્રાગવટ વણિક દંડનાયક અભુની પુત્રી કુમારદેવી સાથે લગ્ન કર્યા. કુમારદેવીએ અશ્વરાજ સાથે લગ્ન કર્યા ત્યારે તે એક વિધવા હતા. જોકે આ વિવરણ વિવાદાસ્પદ છે.
આ દંપતીને અગિયાર બાળકો હતા - સાત પુત્રીઓ : જલ્હુ (અથવા ભાઉ અથવા જલુ), મઉ, સાઉ, ધનદેવી, સોહાગા, વૈજુકા (અથવા તેજુકા) અને પદ્માદેવી. અને ચાર પુત્રો : લુનિગા, મલ્લદેવ, વસ્તુપાળ અને તેજપાળ. લુનિગાનું બાળપણમાં અવસાન થયું હતું જ્યારે મલ્લદેવ પુત્ર પૂર્ણસિંહના પિતા બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા.
અણહિલવાડ (હાલ પાટણ)ના પ્રાગવટ (પોરવાડ) જ્ઞાતિના ચંડપ અને તેના વંશજોને ચૌલુકય વંશના રાજાઓ સાથે લાંબા કાળથી સંબંધ હતો. તે જ વંશમાં જન્મેલા અશ્વરાજને કુમારદેવી થકી અગિયાર સંતાનો, ચાર પુત્ર અને સાત પુત્રી, હતા જે પૈકી નાના બે પુત્રો વસ્તુપાળ અને તેજપાળ હતા. તેઓ ચૌલુકય રાજા ભીમદેવ બીજાની નીચે કામ કરતા હતા પણ વિક્રમ સંવત ૧૨૭૬ (સન ૧૨૨૦)માં વીરધવલે બોલાવી વસ્તુપાળને સ્તંભતીર્થ (હાલ ખંભાત)ના દંડનાયક તરીકે નીમ્યા. તે પૂર્વે સ્તંભતીર્થ લાટમંડળ હેઠળ હતું. શાસનને સ્થિર કરવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
વસ્તુપાળે લાટમંડળના રાજા શંખ (સંગ્રામસિંહ)ને ભયંકર યુદ્ધમાં હરાવ્યો હતો જેથી શંખે તેમની સત્તા સ્વીકારવી પડી. વસ્તુપાળ અને તેજપાળની મદદથી વીરધવલે દિલ્હીના સુલતાન અલ્તમશ (મોજદિન)ને આબુ નજીક યુદ્ધમાં હરાવ્યો હતો જેની કથા જયસિંહસૂરિકૃત હમ્મીરમદમર્દનમાં મળે છે.
વસ્તુપાળને બે પત્ની હતી: લલિતાદેવી અને સોખુકાદેવી. તેમના પુત્ર જયંતસિંહે પછી સ્તંભતીર્થના અધિકારી તરીકે ફરજ બનાવી હતી.
આ ભાઈઓને પુષ્કળ ધનપ્રાપ્તિ થયેલી જેનો ઉપયોગ તેમણે જૈન દેરાસરો બંધાવવા અને યાત્રાઓ કરવામાં કરેલો. તેમણે ગિરનાર, શત્રુંજય, આબુ ઉપરાંત ડભોઇ, ધોળકા, પાટણ, ભરૂચ અને ખંભાતમાં પણ જૈન દેરાસરો બંધાવેલા. તેમણે મંદિરો, ધર્મશાળાઓ, વાવ, કુવા, તળાવો અને મસ્જિદો પણ બંધાવી આપેલી. તેમણે ભરૂચ, પાટણ, ખંભાતમાં જ્ઞાનભંડારો સ્થાપ્યાં હતા. તેમની શત્રુંજય અને ગિરનારની તેર યાત્રાઓના ઉલ્લેખ મળે છે.
તેમણે વિદ્વાનો, કવિઓ અને પંડિતોને આશ્રય આપ્યો હતો. તેમની જીવન અને કાર્યોની માહિતી તેઓના ગ્રંથોમાંથી મળે છે. જેમકે અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી, બાલચંદ્રકૃત વસંતવિલાસ. નાનાક, સુભટ, યશોવીર, મણિકયચંદ્ર, અમરચંદ્ર, હરિહર વગેરે તેમના સાથી વિદ્વાનો-કવિઓ હતા. વસ્તુપાળ પોતે કવિ અને વિદ્વાન હતા. તેમણે લખેલ મહાકાવ્ય નરનારાયણાનંદ; આદિનાથ, નેમિનાથ અને અંબિકાના સ્તોત્રો; અને સુભાષિતો ઉપલબ્ધ છે. તેમની વિદ્વવત્તા માટે તેમને 'કવિકુંજર', સરસ્વતીકંઠાભરણ', 'કવિચક્રવર્તી' અને 'કુર્ચાલસરસ્વતી' (દાઢીવાળી સરસ્વતી) જેવા ઉપનામ મળેલા.
વીરધવલના અવસાન બાદ વિક્રમ સંવત ૧૨૯૬ (સન ૧૨૪૦)માં શત્રુંજયની યાત્રાએ જતા માર્ગમાં અંકેવાલિયામાં વસ્તુપાલનું અવસાન થયું. ત્યારબાદ તેજપાળને મંત્રી બનાવવામાં આવેલા. તેમના ઘણા શિલાલેખો ગિરનારના મંદિરોમાં અને અન્ય સ્થાને ઉપલબ્ધ છે અને તેમના કેટલાય સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article વસ્તુપાળ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.