રા' નવઘણ જુનાગઢનો રાજા હતો.
એવી લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસાં(ઘન) એટલે કે નવ વર્ષ રહ્યો હતો, તેથી તેનું નામ નવઘણ પડ્યું. તે ચુડાસમા રાજા રા' દિયાસનો પુત્ર હતો. તેણે જુનાગઢના વનસ્થલી (વંથલી) પર ઇસ. ૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું. પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા' દિયાસનો પરાજય થતા, રા' નવઘણની માતા રાણી સોમલ દે સતી થઈ અને તેની દાસી વાલબાઈ છૂપા વેશે નવઘણને લઈ જઈને ચુડાસમા રાજના વફાદાર એવા દેવાયત બોદર નામના આહિરના ઘેર ઉછેર્યો હતો.. સોલંકી રાજાએ રા' દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદાથી તેના સૈન્યને એ કુંવરને શોધી લાવવા મોકલ્યું હતું. સિપાઈઓ શોધતા-શોધતા દેવાયતના ઘરે પહોંચ્યા. જ્યાં આહિર અને આહિરાણીએ પોતાના સગા દિકરા વાસણ(ઉગા)નું બલિદાન આપીને રા' નવઘણને બચાવ્યો હતો..
રા' નવઘણ | |
---|---|
શાસન | ઇ.સ. ૧૦૨૫-૧૦૪૪ |
પુરોગામી | રા' દિયાસ |
અનુગામી | રા' ખેંગાર |
વંશ | ચુડાસમા રાજવંશ |
ધર્મ | હિંદુ |
જ્યારે નવઘણ નાનો હતો ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી. સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. નવઘણે મોટા થઈને તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે વનસ્થલી પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી
રા' નવઘણે વિસેક વર્ષ સુધી જુનાગઢ પર રાજ કર્યું. તેના શાસનકાળ દરમ્યાન તેની માનેલી બહેન જાહલ, મૂળે આહિરની દિકરી હતી અને કાઠિયાવાડમાં દુકાળ પડ્યો હોવાને કારણે સિંધમાં જઈને વસી હતી. તે કાળે તેના રૂપથી મોહિત થયેલા સિંધના સુલતાન હમિર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યું. તેણે યુક્તિ કરીને હમિર સુમરાને એમ સમજાવ્યું કે તેણે એવી માનતા માની છે કે તે છ મહિના સુધી કુંવારી રહેશે, જે પૈકીના ત્રણ મહિના વીતી ચૂક્યાં હતા અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા. હમિર માની ગયો અને જાહલે છાનામાના એક પત્ર લખીને રા' નવઘણને મોકલાવ્યો. નવઘણ પત્ર મળતા જ તેની વહારે આવ્યો અને એક વાયકા મુજબ વરુડી માની કૃપાથી તેણે હમિર સુમરાને મારી નાખ્યો અને જાહલને બચાવીને લઈ ગયો..
રા' નવઘણનો પુત્ર રા' ખેંગાર તેના પછી વંથલીની ગાદીએ બેઠો હતો. રા' નવઘણને ચાર પુત્રો હતા. રા' નવઘણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી, ૧. હરરાજ મહિડાનો વધ કરવો, ૨. ભોંયરાનો ગઢ ભાંગવો, ૩. મિસાણ ચારણના ગાલ ફાડવા અને ૪. પાટણનો દરવાજો પાડવો. તેણે ચારે પુત્રોને બોલાવી કહ્યુ કે "જૂનાગઢના રા' પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે", કહી ચાર પ્રતિજ્ઞા સંભળાવી. પ્રથમ ત્રણ પુત્રોએ કોઈ એક, બે કે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી અને એ પ્રમાણે તેમને ગરાસ મળ્યો. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું જેથી ગાદીએ બેઠો. 'દયાશ્રય' અને 'કુમાર પ્રબંધ' નામના બન્ને પ્રખ્યાત ઇતિહાસ ગ્રંથોમાં રા' નવઘણ અને રા' ખેંગાર બન્નેને આહિર રાણા ગણાવવામાં આવ્યા છે, જેનું કારણ રા' નવઘણનો આહિરના ઘરમાં થયેલો ઉછેર છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article રા' નવઘણ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.